ભાજપ-કોંગ્રેસની મિલીભગત અને જનતા રઝળી પડી! નેતાઓએ ‘ભૂતિયા ડિમોલિશન’નો મોટો ખેલ ખેલ્યો, જુઓ Viral Video
સુરતના નાસિર નગરમાં ઝૂંપડા ખાલી કરાવવા માટે 385 લોકોને 80-80 હજાર રૂપિયા અપાયા હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. આ મામલે ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ અને કોંગ્રેસ નેતાની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે.

સુરત શહેરના નાસિર નગરમાં થયેલા ‘ભૂતિયા ડિમોલિશન’નો મામલો હવે ભારે ગરમાયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં જ આ આખા કિસ્સામાં અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
વાયરલ વીડિયોના આધારે દાવો કરાયો
વાયરલ વીડિયોના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2023માં અહીંના ઝૂંપડા ખાલી કરાવવા માટે આશરે 385 જેટલા ઝૂંપડાવાળાઓને 80-80 હજાર રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આ આખો આર્થિક વહીવટ ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ અને કોંગ્રેસના એક નેતા દ્વારા મળીને કરવામાં આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે.
દાવો છે કે, આ વહીવટ ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ ઝાકીર શાહ તેમજ કોંગ્રેસના મરહુમ ઐયબ દ્વારા કરાયો હતો. આ સમગ્ર મામલે જ્યારે વિવાદ વધ્યો અને મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ ઝાકીર શાહ આ બાબતે સીધો જવાબ આપવાને બદલે ગોળ ગોળ વાતો કરતા નજરે પડ્યા હતા.
‘વાયરલ વીડિયો’ બાદ રાજકારણમાં ‘ગરમાવો’
તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે, અગાઉ પણ અહીં ઝૂંપડપટ્ટી ધારકોને પાકા મકાનો મળ્યા હતા, તેથી આ લોકોને પણ મકાન મળવા જોઈએ. જો કે, આ ‘ભૂતિયા ડિમોલિશન’ના મામલામાં ઝાકીર શાહની ભૂમિકા પહેલેથી જ શંકાના દાયરામાં રહી છે અને હવે આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.
