24 એપ્રિલના મહત્વના સમાચાર : અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, એક મહિલાનું મોત
Gujarat Live Updates : આજ 24 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલા સામે જરા પણ નમતું જોખવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજ આજથી આંદોલનના બીજા તબક્કાનો પ્રારંભ કરશે. કચ્છ અને રાજકોટથી ધર્મરથોના પ્રસ્થાન થશે. તો આંદોલનને ડામવા યુદ્ધના ધોરણે કવાયત શરુ કરાઇ છે. બનાસકાંઠાના ડીસામાં ગૃહરાજ્યપ્રધાને બંધ બારણે આગેવાનો સાથે બેઠક કરી હતી. તો વિરોધના વંટોળ છતાં ભાજપ નેતાઓના વાણી વિલાસ યથાવત્ છે. જૂનાગઢમાં કિરીટ પટેલ બાદ ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે અભદ્ર શબ્દો વાપર્યા છે. કોંગ્રેસે નિવેદનને શરમજનક ગણાવ્યું છે. બનાસકાંઠાની પેપરમીલમાં ગેસ ગળતરથી 4 મજૂરોને અસર થઇ છે. 2 ના મોત, એકની હાલત ગંભીર છે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર…
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ શહેરમાં આવેલા વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, એક મહિલાનું મોત
અમદાવાદ શહેરમાં આવેલા વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ થવા પામી છે. વસ્ત્રાપુરમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે પત્થરમારો થયો હતો. પત્થરમારામાં 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા છે. ઘટનાની જાણ થતા જ વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળ દોડી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વસ્ત્રાપુર ગામમાં મંદિરને લઇને માથાકૂટ થવા પામી હતી. રાધાકૃષ્ણ મંદિરની પત્રિકા મામલે થઈ હતી માથાકૂટ. સમગ્ર માથાકૂટમાં લીલીબેન ભરવાડ નામના મહિલાનું મૃત્યુ નિપજ્યું છે.
-
રુપાલાનો વિરોધ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રસર્યો, બારડોલીમાં યોજાશે ક્ષત્રિય મહા સંમેલન
રાજકોટ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા વિરુદ્ધ ક્ષત્રિયનો આક્રોશ હવે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રસર્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય સભા યોજાઈ રહી છે. આગામી 28 તારીખે બારડોલીમાં ક્ષત્રિય મહા સંમેલનનું આયોજન કરાયું છે. વેલાછા સહિત આજુબાજુના ગામના ક્ષત્રિયો મોટી સંખ્યામાં ક્ષત્રિય સભામાં હાજર રહ્યા હતા.
-
-
બોટાદના બરવાળા તાલુકાના વાઢેળા ગામે ભાજપના પ્રચાર માટે આવેલા નેતાઓને પાદરમાંથી જ કાઢી મૂક્યા
બોટાદના બરવાળા તાલુકાના વાઢેળા ગામે ક્ષત્રિયોએ ભાજપ આગેવાનોને પ્રચાર કરતા અટકાવ્યા હતા. બોટાદ જિલ્લા પંચાયત દંડકના પ્રતિનિધિ સહિતના સ્થાનિક ભાજપના આગેવાનો ભાજપના પ્રચાર માટે આવ્યા હતા. ગામના ક્ષત્રિયોએ હાય રૂપાલા હાયના નારા બોલાવીને, ભાજપ આગેવાનોને ગામમાં દાખલ થવા દીધા નહોતા. ગામના મુખ્ય ચોકમાં BOYCOTT RUPALA ના બેનર પણ લગાવાયા છે. બોટાદ જિલ્લા પંચાયત દંડકના પ્રતિનિધિ સહિતના સ્થાનિક ભાજપના આગેવાનોને વાઢેળા ગામના પાદરમાંથી જ પાછા કાઢ્યા હતા.
-
ભરૂચમાં સી આર પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનોએ મચાવ્યો હોબાળો
ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ પરશોત્તમ રુપાલાની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. હાય રૂપાલા હાય હાયના નારા સાથે ક્ષત્રિય યુવાનોએ કાર્યક્રમમાં વિરોધ દર્શાવ્યો હતો. સ્થળ ઉપર ઉપસ્થિત પોલીસે ક્ષત્રિય સમાજના યુવાનોની અટક કરી હતી.
-
રસ્તાનું કામ પુરુ ના થતા વિસાવદર બગસરા રસ્તા ઉપર સ્થાનિકોએ કર્યા ચક્કાજામ
જૂનાગઢના વિસાવદર બગસરા રસ્તા ઉપર સ્થાનિકોએ રસ્તાના અધૂરા કામથી કંટાળી જઈને ચક્કાજામ કર્યો હતો. મોટા ભલગામ સહિત ગામના લોકોએ રસ્તા પર કર્યો ચક્કાજામ. છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું અધૂરું કામ છોડી દેવામાં આવ્યું હતું. અવારનવાર રજૂઆત કરવા છતાં રસ્તાનું કામ ન થતા સ્થાનિકો રોષે ભરાયા હતા. જ્યાં સુધી યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી રસ્તો બંધ રાખવા સ્થાનિકો ચક્કાજામ કર્યો હતો. રસ્તા પર મોટા પથ્થરો મૂકીને સ્ટેટ હાઈવેનો માર્ગ અવરોધી દેવામાં આવ્યો હતો. ચક્કાજામના કાર્યક્રમમાં મોટા ભલગામ તથા આસપાસના ગામના લોકો જોડાયા હતા.
-
-
હાથરસના BJP સાંસદ રાજવીર દિલેરનું હાર્ટ એટેકથી નિધન, પાર્ટીએ આ વખતે ટિકિટ નહોતી આપી
યુપીની હાથરસ લોકસભા મતવિસ્તારના સાંસદ રાજવીર દિલેરનું હાર્ટ એટેકથી નિધન થયું છે. અલીગઢની વરુણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. 2019માં તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. જોકે, આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ આપી નહોતી.
-
મહારાષ્ટ્ર : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર બેભાન થયા
મહારાષ્ટ્રમાં જાહેર સભામાં સંબોધન કરતા સમયે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર બેભાન થયા હોવાની ઘટના બની છે. હાજર નેતાઓએ નીતિન ગડકરીને સારવાર માટે ખસેડ્યા હતા
-
ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે પોરબંદરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી
લોકસભાની ચૂંટણી માટે ભાજપે કમર કસી છે.ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે પોરબંદરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી છે. અર્જુન મોઢવાડિયા અને બાબુ બોખરિયા સહિત 150 કાર્યકરો બેઠકમાં સામેલ થયા. સીઆર પાટીલે કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું છે. પોરબંદરથી પેટાચૂંટણી લડી રહેલા અર્જુન મોઢવાડિયા અને બાબુ બોખરિયા બન્ને બેઠકમાં સામેલ થયા હતો જ્યારે રમેશ ધડુક ,જયેશ રાદડિયા સહિતના નેતાઓ બેઠકમાં ગેરહાજર હતા.
-
સાળંગપુર મંદિર માટે દાનના આવેલી રૂ 2 કરોડની રકમ ચાઉં કરનાર પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે પોલીસ સકંજામાં
વડોદરાનાં ઠગબાજ પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેનો પુત્ર રિશી આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે. સાળંગપુર મંદિર માટે દાનના આવેલી રૂ 2 કરોડની રકમ ચાઉં કરી ગયો હતો.જામીન પર છૂટ્યા બાદ રિશી લાંબા સમયથી ફરાર થઈ ગયો હતો.જેને પકડવા વડોદરા SOGની ટીમ સતત કામે લાગેલી હતી.જે દરમિયાન રિશીનું લોકેશન ગોવામાં હોવાનું મળતા જ પોલીસે તેને ગોવાની હોટેલ બહારથી દબોચી લીધો છે.
-
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, યુવતીના બીભત્સ ફોટા વાળા પોસ્ટર લગાવ્યાનો આક્ષેપ
ઓલ ઇન્ડિયા ચેમ્પિયન ટેનિસ ખેલાડી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. માધવિન કામત વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. માધવિન કામતે એક યુવતીના બીભત્સ ફોટા વાળા પોસ્ટર લગાવ્યા હતા. પોસ્ટરમાં યુવતીનો ફોટો અને મોબાઈલ નંબર લખ્યો હોવાનું સામે આવ્યુ છે. દેહવ્યેપાર કરવા માટે સંપર્ક કરવો લખાણવાળું પોસ્ટર લગાવ્યા હતા.
-
અમદાવાદમાં સવારના 8 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ
અમદાવાદમાં સવારના 8 થી રાતના 10વાગ્યા સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. ખાનગી લકઝરી સંચાલકોની અપીલ હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી છે. 2004માં 18 જેટલા રૂટ પર 24 કલાકની મંજૂરી અપાઈ હતી.એ રૂટ પર મંજૂરી ચાલુ રાખવાની રજૂઆત કોર્ટે ફગાવી છે. કોર્ટે જણાવ્યુ છે કે છેલ્લા બે દાયકામાં વાહનો વધતા અકસ્માત વધ્યા છે. લક્ઝરી સુવિધાનો ઉપયોગ કરવા માગે છે તેમની વ્યવસ્થાની જવાબદારી સંચાલકોની છે. વૈકલ્પિક રૂટ આપવાની રજૂઆત પણ કોર્ટે ફગાવી છે. RTO નિયમો ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ કોર્ટમાં આપ્યો હતો પડકાર
-
સુરતઃ નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ
સુરતમાં નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરુ થઇ છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા વરાછા પોલીસ સ્ટેનશમાં ફરિયાદ નોંધાવાનો પ્રયાસ છે. નિલેશ કુંભાણીએ મતાધિકાર છીનવી લીધાનો આરોપ છે. વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નહીં લેવામાં આવે તો કાછડિયા કોર્ટમાં ફરિયાદ કરશે.
-
રાજકોટમાં કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગરે કર્યો આપઘાત
રાજકોટમાં કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગરે આપઘાત કર્યો છે. મવડી હેડ ક્વાર્ટરમાં છલાંગ લગાવી મોતને અપનાવ્યુ છે. હેડ ક્વાર્ટરના દસમા માળેથી છલાંગ લગાવીને કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે.
-
શહેરા વિધાનસભા બેઠકના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણનું રાજીનામું
પંચમહાલના શહેરા વિધાનસભા બેઠકના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણે રાજીનામું આપ્યુ છે. દુષ્યંત ચૌહાણ સહિત 30થી વધુ કોંગ્રેસના ઉમેદવારોએ કોંગ્રેસને રામ-રામ કર્યા છે. પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહને ટિકિટ આપતા નારાજ દુષ્યંત ચૌહાણ હતા. નારાજગી બાદ પ્રદેશ પ્રભારીની હાજરીમાં સમાધાન પણ થયું હતું.
-
આજથી ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ-2 શરૂ કરી દીધુ
આજથી ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ-2 શરૂ કરી દીધુ છે. ભાજપ વિરોધ મતદાન માટે ક્ષત્રિયોએ ધર્મરથનો સહારો લીધો છે, પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ. બિલ્કુલ પણ નમતું જોખવાના મૂડમાં નથી. તે અંતર્ગત જ "ક્ષત્રિય આંદોલન પાર્ટ-2"ની શરૂઆત થઈ ગઈ છે. આંદોલનની શરૂઆત કચ્છમાં માતાના મઢ અને રાજકોટમાં આશાપુરા માતાના મંદિરેથી કરવામાં આવી છે. આ બંન્ને સ્થળ પરથી "ક્ષત્રિય અસ્મિતા ધર્મ-રથ"નું પ્રસ્થાન કરવામાં આવ્યું છે.
-
રાજકોટઃ B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં તપાસ
રાજકોટમાં B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં તપાસ કરવામાં આવી છે. નેશનલ કમિશન ફોર હોમીયોપેથીની ટીમે તપાસ કરી છે. તપાસ દરમિયાન કોલેજમાં ગેરરીતિ સામે આવી છે. કોલેજ અને હોસ્પિટલમાં 80 ટકા સ્ટાફ નકલી હોવાનું ખૂલ્યું છે. કોલેજમાં લાયકાત ધરાવતો સ્ટાફ જ નથી. સ્ટાફની નિમણૂકો માત્ર કાગળ પર હોવાનો ખુલાસો થયો છે. પગાર ચૂકવવામાં પણ ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે. અગાઉ માર્કશીટ કૌભાંડમાં કોલેજનું નામ ખૂલ્યું હતું.
-
સુરતમાં પોલીસે મહિલા સહિત બે લોકોને MD ડ્રગ્સ સાથે પકડ્યા
સુરતમાં પોલીસે મહિલા સહિત બે લોકોને MD ડ્રગ્સ સાથે પકડ્યા છે. 79 હજારની કિંમતનું 7.9 ગ્રામ ડ્રગ્સ પકડાયુ છે. 2 લોકો ઘરેથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. ડ્રગ્સ કોની પાસેથી લાવતા હતા તે દિશામાં પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
-
સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટ ઉપર, નિફ્ટી 22400 આસપાસ ખુલ્યુ
બજારની શરૂઆત આજે તેજી સાથે થઈ છે. સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 22,400ની ઉપર જોવા મળી રહી છે. સિપ્લા અને એરટેલ ટોપ ગેઇનર્સ છે. બજારનું સેન્ટિમેન્ટ વધતા શેરોની તરફેણમાં છે. લગભગ 1,716 શેરોએ વેગ પકડ્યો છે. 407 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે 98 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. બીજી તરફ, ભારતીય બજારે 23 એપ્રિલે વેચાણના છેલ્લા કલાકમાં દિવસનો મોટા ભાગનો લાભ ગુમાવ્યો હતો અને સતત ત્રીજા સત્રમાં નજીવા વધારા સાથે બંધ થયું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 89.83 પોઈન્ટ્સ અથવા 0.12 ટકા વધીને 73,738.45 પર અને નિફ્ટી 31.60 પોઈન્ટ્સ અથવા 0.14 ટકા વધીને 22,368 પર હતો.
-
સીનિયર કોંગ્રેસ લીડર સેમ પિત્રોડાના નિવેદનથી વિવાદ
બીજા તબક્કાના મતદાન પહેલા સીનિયર કોંગ્રેસ લીડર સેમ પિત્રોડાના નિવેદનથી વિવાદ થયો છે. પિત્રોડાએ વિરાસતની સંપત્તિ પર ટેક્સ લગાવવાની વકાલત કરી છે. સેમ પિત્રોડાએ જણાવ્યુ હતુ કે ભારતમાં સંપત્તિમાં સમાનતા લાવવાની જરૂર છે. ભારતમાં સંપત્તિનું સમાન વિતરણ થવું જોઈએ. ભારતમાં પણ વિરાસત ટેક્સ જેવી નીતિની જરૂર છે. સેમ પિત્રોડાએ અમેરિકાના વિરાસત ટેક્સનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે અમેરિકામાં માત્ર 45 ટકા સંપત્તિ પર પરિવારનો હક છે. US સરકાર સંપત્તિનો 55 ટકા ભાગ લઈ લે છે.
-
27 એપ્રિલે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં બે સભાઓ કરશે
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે, સચિન પાયલોટ સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવશે. 27 એપ્રિલે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં બે સભાઓ કરશે. 27 એપ્રિલ પ્રિયંકા ગાંધીની ધરમપુરમાં પણ ચૂંટણી સભા છે. જે પછી અન્ય એક સભા મધ્ય કે ઉત્તર ગુજરાતમાં સંબોધશે. રાહુલ ગાંધી અને સચિન પાયલોટની સભા અંગે આજે નિર્ણય લેવામાં આવશે. આજે મળનાર બેઠકમાં કયા નેતા કયા સભા કરશે એ અંગે નિર્ણય લેવાશે.
-
સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો
સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરતો જાય છે. મનપાએ જાહેર કરેલા આંકડા તો એવુ જ દર્શાવી રહ્યા છે. એપ્રિલ મહિનાનાં 20 જ દિવસમાં ઝાડા ઉલ્ટીના 1 હજાર 45, ટાઇફોઇડના 231, કમળાના 115 અને કોલેરાના 13 જેટલા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત જો મચ્છરજન્ય રોગચાળાના કેસ પણ સામે આવ્યા જેમાં સાદા મેલેરિયાના 20 અને ડેન્ગ્યૂના 26 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. શહેરના રખિયાલ, સરસપુર, ગોમતીપુર, સરખેજ, નવરંગપુરા અને જોધપુર વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પાણીજન્ય રોગોના કેસ સામે આવ્યા છે. ત્યારે કોર્પોરેશન પણ પાણીના સેમ્પલની તપાસ કરી રહી છે.
-
બનાસકાંઠા: પેપર મીલમાં ગેસ ગળતરની ઘટનામાં 2 મજૂરોના મોત
બનાસકાંઠાના પેપર મીલમાં ગેસ ગળતરની ઘટનામાં 2 મજૂરોના મોત થયા છે. પાલનપુર ડીસા હાઈવે પરની પેપર મીલમાં ગેસ ગળતરની ઘટના બની છે. કુવામાં ગેસ ગળતર થતા 4 મજૂરોને અસર થઇ છે. 108 અને ફાયરની ટીમે મજૂરોને કુવામાંથી બહાર કાઢ્યા છે. 3 મજૂરોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2ના મોત થયા છે, એક ગંભીર છે. તપાસમાં પેપર મિલના માલિકની મોટી બેદરકારી સામે આવી છે. કોઇ પણ સલામતી ઉપકરણો વગર કુવામાં મજૂરોને ઉતાર્યા હોવાનું સામે આવે છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રી પહોંચશે
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી ગરમીનું જોર વધશે. ગુજરાતમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રી પહોંચશે. ગઇકાલે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 40.7 ડિગ્રી તાપમાન હતું. અમદાવાદમાં 41થી 42 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. રાજ્યમાં અત્યારે ઉત્તર પશ્ચિમની દિશામાં હવા ફુંકાઈ રહી છે.
Published On - Apr 24,2024 7:12 AM