22 જુલાઈના મહત્વના સમાચાર : પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈથી ધરપકડ, પૂર્વ મેનેજર સાથે ચાલી રહ્યો છે વિવાદ
Gujarat Live Updates : આજ 22 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ-ત્રણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે. તો મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા 22 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 8 ઈંચ તો સુરતના પલસાણામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. રાજ્યમાં ચાંદીપુરાએ મચાવ્યો કહેર. 32 બાળકોના શંકાસ્પદ મોત થયા છે. તો 20થી વધુ જિલ્લામાં અત્યારસુધી 84 ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકી હુમલાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. સેનાના કેમ્પ પર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન શરૂ થયુ. આજથી સંસદનું બજેટસત્ર શરૂ થશે. 12 ઓગસ્ટ સુધી 6 બિલ રજૂ કરાશે. આવતીકાલે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. બાઈડન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નહીં લડે. કહ્યું અમેરિકા અને પાર્ટીના હિતમાં નિર્ણય કર્યો. મૂળ ભારતીય કમલા હેરિસને બાઈડને સમર્થન આપ્યુ. તો હેરિસે કહ્યું ટ્રમ્પના એજન્ડાને હરાવીશું.
LIVE NEWS & UPDATES
-
પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈથી ધરપકડ, પૂર્વ મેનેજર સાથે ચાલી રહ્યો છે વિવાદ
પીઢ પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પૂર્વ મેનેજરે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
-
લાલુ યાદવ સમજતા નથી અથવા બિહારના લોકોની મજાક કરે છે : ગિરિરાજ સિંહ
બિહારને ‘સ્પેશિયલ સ્ટેટ’નો દરજ્જો આપવાના કેન્દ્ર સરકારના ઇનકાર પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ કાં તો સમજતા નથી અથવા બિહારના લોકો સાથે મજાક કરી રહ્યા છે. જ્યારે તેઓ કોંગ્રેસના ખોળામાં બેઠા હતા અને ‘કિંગ મેકર’ બન્યા હતા, તે સમયે પણ વિશેષ દરજ્જાનો કાયદો હતો જ. તેઓ કેમ તે સમયે બિહાર માટે વિશેષ દરજ્જો ના અપાવી શક્યા. PM નરેન્દ્ર મોદીએ બિહાર માટે 1.25 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. 2 લાખ કરોડ રૂપિયા બિહારમાં ખર્ચ્યા છે.
-
-
સંસદમાં પ્લેકાર્ડ સ્વીકાર્ય નથી: લોકસભા સ્પીકર બિરલા
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બીએસી બેઠકમાં પાર્ટીના નેતાઓને કહ્યું કે, તમે ગૃહમાં વિરોધ કરી શકો છો, પરંતુ પ્લેકાર્ડ સ્વીકાર્ય નથી. જો કોઈ ગૃહમાં વિરોધ પ્રદર્શનમાં પ્લેકાર્ડ બતાવશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.
-
દ્વારકાના ચાચલાણા ગામે વરસાદી પાણી ભરાયાં, કલ્યાણપુરને જોડતો રસ્તો બંધ થયો
દ્વારકાના ચાચલાણા ગામે વરસાદી પાણી ભરાયાં. કલ્યાણપુરને જોડતો રસ્તો બંધ થયો છે. બેઠાપુલ પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ છે. ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. માલઢોર અને લોકોએ અન્ય સલામત જગ્યા પર સ્થળાંતર થવું પડ્યું છે. અમુક લોકો મકાનની છત પર બેસી દિવસ પસાર કરવા મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું છે. અનેક વખત રજૂઆત છતા પુલ બાબતે કોઈ યોગ્ય ઉકેલ નથી આવી રહ્યો તેવી ફરિયાદ લોકો કરી રહ્યાં છે.
-
બાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ પરત ફર્યા
બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી ગયા છે. CM ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં MBBSના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી.
-
-
રાજકોટ : ધોરાજીના પીપળીયામાં ભારે વરસાદથી હાલાકી
રાજકોટ : ધોરાજીના પીપળીયામાં ભારે વરસાદથી હાલાકી સર્જાઇ છે. પીપળીયામાં અનરાધાર 6 ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થયા છે. ભારે વરસાદને કારણે ગામમાં નદીઓ વહેતી થઇ છે. ઇન્દિરા નગર વિસ્તારના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. સમગ્ર સોસાયટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. પીપળીયા ગામથી ઇન્દિરા નગર સોસાયટી તરફ જવાનો રસ્તો બંધ થયો છે.
-
વલસાડ: ધોધમાર વરસાદથી મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક
વલસાડ: ધોધમાર વરસાદથી મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. મધુબન ડેમની સપાટી 72.25 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં 29 હજાર 261 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમનું રુલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાયું છે. મધુબન ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. 14,883 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. દમણગંગા નદીના પટમાં લોકોને ન જવા તંત્રની સૂચના આપી છે.
-
ગીર સોમનાથ : ઉનાની મછુન્દ્રી નદીમાં આવ્યું ઘોડાપૂર
ગીર સોમનાથ : ઉનાની મછુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મછુન્દ્રી નદીમાં સીઝનમાં બીજી વાર ઘોડાપૂર આવ્યું છે. ગીર જંગલમાં ભારે વરસાદને કારણે મછુન્દ્રી નદી ગાંડીતૂર બની છે. લોકોને નદીના પટથી દૂર રહેવા વહીવટી તંત્રએ સૂચના આપી છે.
-
સંસદના ચોમાસુ સત્રમાં PM મોદીનું સંબોધન
પીએમ મોદીએ કહ્યું કે, આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું દેશવાસીઓને સાવનનાં પહેલા સોમવારે શુભેચ્છા પાઠવું છું. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે આખા દેશની નજર તેના પર છે. સત્ર સકારાત્મક અને લોકોલક્ષી હોવું જોઈએ અને દેશવાસીઓના સપના પૂરા કરવા જોઈએ.
-
રાજકોટ: ગોંડલના રાણસીકી ગામના બે બાળકોના મોત
રાજકોટ: ગોંડલના રાણસીકી ગામના બે બાળકોના મોત થયા છે. ચાંદીપુરા વાયરસના કારણે મોત થયાની શક્યતા છે. બીજા બાળકનું ઘરે જ મોત થયું હોવાનું સરપંચનું નિવેદન છે. રાણસીકી ગામના સીમ વિસ્તારમાં આ ઘટના બની છે. આરોગ્ય તંત્ર કાર્યવાહી કરે તેવી સરપંચની માંગ છે.
-
અમદાવાદ: ધોળકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
અમદાવાદ: ધોળકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડીરાત્રે પ્રચંડ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઇ. વરસાદ પડતા ખેડૂતોના પાકને નવું જીવતદાન મળશે.
-
છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં નોધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોધાયો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો. સુરતના કામરેજમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. સુરતના પલસાણામાં પણ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. 10 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો. 9 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
-
હવેથી RSSના કાર્યક્રમોમાં સામેલ થઇ શકશે સરકારી કર્મચારીઓ
RSS અને ભાજપ વચ્ચે ચાલી રહેલા મતભેદો વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. હવેથી RSSના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓ સામેલ થઇ શકશે. કેન્દ્રની મોદી સરકારે 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો છે. હવે સરકારી કર્મચારીઓ RSSની તમામ ગતિવિધિઓમાં સામેલ થઇ શકશે. અગાઉ RSSના કાર્યક્રમોમાં સામેલ થવા બદલ કડક કાર્યવાહીની જોગવાઇ હતી.
-
ખેડા: શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ભરડામાં મહેમદાવાદના બાળકનું મોત
ખતરનાક વાયરસ ચાંદીપુરા ગુજરાતમાં એક પછી એક બાળકોને ભરડામાં લઈ રહ્યો છે. ખેડાના મહેમદાવાદના ભાવસિંગપુરામાં પણ એક બાળકના મોતની ઘટના સામે આવી છે. અહીંના ખેડૂત પરિવારના 4 વર્ષના હિતેષ ચૌહાણ નામના બાળકનું શંકાસ્પદ વાયરસથી મોત નીપજ્યું છે.
-
સુરતમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ
સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અનેક વિસ્તારમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ઉધનામાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરમાં જળ સામ્રાજ્યના દ્રશ્યો સામે આવ્યા છે.તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
Published On - Jul 22,2024 7:31 AM