20 જૂનના મહત્વના સમાચાર : રાજ્યમાં હવે ચોમાસુ હાથ વેંત દૂર, 21 થી 25 જૂન દરમિયાન થઈ શકે છે વરસાદનું આગમન, તો અમરેલીમાં જામ્યો વરસાદી માહોલ
આજે 20 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 20 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જામનગર : બ્રાસના એકમો પર GST વિભાગના દરોડા
જામનગર : બ્રાસના એકમો પર GST વિભાગે દરોડા કર્યા. રાજ્યભરની 20 જેટલી GSTની ટીમનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ. દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં એકસાથે 20થી વધુ ટીમે સર્ચ હાથ ધરી. બ્રાસ ભંગારના વ્યવસાય સાથે જોડાયેલા એકમો તપાસના ઘેરામાં છે. આર્થિક વ્યવહારો અને હિસાબી દસ્તાવેજોની ચકાસણી શરૂ છે. બિલિંગ અને ટેક્સ સંબંધિત રેકોર્ડની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ .
-
અમદાવાદ: CTM ડબલ ડેકર બ્રિજ પર યુવકનો આપઘાતનો પ્રયાસ
અમદાવાદ: CTM ડબલ ડેકર બ્રિજ પર યુવકનો આપઘાતનો પ્રયાસ કર્યો. CTM બ્રિજ પર આપઘાતના પ્રયાસનો વીડિયો વાયરલ થયો છે. યુવક બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસ અને સ્થાનિકોએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો. લાંબી સમજાવટ બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારાયો
-
-
અમદાવાદ: સંકલન સમિતિની બેઠકમાં ગાજ્યો ગંદા પાણીનો મુદ્દો
અમદાવાદમાં સંકલન સમિતિની બેઠકમાં ગંદા પાણીનો મુદ્દો ગાજ્યો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સંકલન સમિતિની બેઠકમાં ગંદા પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો. ધારાસભ્યે તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું કે અમદાવાદ શહેરના મધ્યઝોન સહિત અનેક વિસ્તારોમાં અવારનવાર ગંદા પાણીની સમસ્યા સામે આવે છે..પરંતુ તંત્રએ નક્કર પગલા લીધા નથી. તંત્ર દૂષિત પાણીની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ ગયાનો ધારાસભ્યનો આક્ષેપ. ઈમરાન ખેડાવાલાએ મનપા કમિશનરે ગંદા પાણીની સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી
-
રાજકોટ: ઈમીટેશનના કામના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ
રાજકોટ: ઈમીટેશનના કામના બહાને પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. દુષ્કર્મ આચર્યા બાદ ફોટા પાડી પરિણીતાને બ્લેકમેઈલ કરી. ઈમીટેશનનું જોબવર્ક આપતા વ્યક્તિએ દુષ્કર્મ કર્યુ. પતિને છુટાછેડા આપવા પણ મહિલાનેમજબૂર કરી. પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરતા રીંકલ આંબલિયા નામના વ્યક્તિની ધરપકડ કરાઈ.
-
ગાંધીનગરઃ ખેડૂતોને જળસંચય માટે મુખ્યમંત્રીએ હાંકલ કરી
ગાંધીનગરઃ ખેડૂતોને જળસંચય માટે મુખ્યમંત્રીએ હાંકલ કરી. આ વર્ષે અલનીનોની અસરથી ઓછો વરસાદ થવાનું અનુમાન છે. સરકારે તળાવ અને ડેમમાં પાણી ભરવાનું શરૂ કર્યું છે. જળસંગ્રહ માટે ‘ખેત બચાવો અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યુ ઓછા વરસાદથી ગભરાવવાની જરૂર નથી. ઓછા પાણીએ થાય તેવા બિયારણ પર ધ્યાન આપવુ જરૂરી છે. સરકાર તરીકે અમે આગોતરું આયોજન કર્યું છે.
-
-
વડોદરા : NEETની પરીક્ષાનો લઇને લોખંડી સુરક્ષા
વડોદરા : NEETની પરીક્ષાનો લઇને લોખંડી સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વડોદરામાં 17 કેન્દ્રો પર 6048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પેપર લીકનું પુનરાવર્તન ન થાય તે માટે મોકડ્રીલ યોજાઇ હતી. પરીક્ષા કેન્દ્રો ખાતે NTA સહિતની એજન્સીઓ દ્વારા સંયુક્ત મોકડ્રીલ કરવામાં આવી. સ્ટ્રોંગ રૂમથી લઇ પરીક્ષા કેન્દ્ર સુધી જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો. અગાઉ પેપર લીક કાંડમાં સંડોવાયેલાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
-
વડોદરાઃ ત્રણ વર્ષ પછી ફરી ગાજ્યો ભાજપનો પત્રિકાકાંડ
વડોદરાઃ ત્રણ વર્ષ પછી ફરી ભાજપનો પત્રિકાકાંડ ગાજ્યો છે. પૂર્વ મેયર નિલેશ રાઠોડે માનહાનીનો દાવો કર્યો છે. અલ્પેશ લિમ્બાચિયા પર પૂર્વ મેયરે માનહાનીનો દાવો કર્યો. અલ્પેશ લિમ્બાચિયા, અમિત લિમ્બાચિયા અને આકાશ નાઇ સામે દાવો માંડ્યો. પૂર્વ મેયરે જણાવ્યુ આ મારો વ્યક્તિગત વિષય, તેને પાર્ટી સાથે કોઇ સંબંધ નથી. પત્રિકા કાંડથી મારી વ્યક્તિગત અને રાજકીય છબીને નુકશાન થયુ છે. વડોદરાના પૂર્વ મેયર નિલેશ રાઠોડ સામે જૂન 2023માં પત્રિકા ફરતી કરવામાં આવી હતી.જેમાં તત્કાલીન મેયર નિલેશ રાઠોડ સામે ગંભીર આક્ષેપો કરાયા હતા.જે તે સમયે ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશ લિમ્બાચિયા સહિત ત્રણની ધરપકડ કરી હતી પરંતુ હવે નિલેશ રાઠોડે સમગ્ર કેસને માનહાનીની સાથે જોડીને વકીલ મારફતે માનહાનીનો દાવો કર્યો છે. જે તે સમયે અલ્પેશ લિમ્બાચિયાને પત્રિકાકાંડ મામલે ભાજપમાંથી સસ્પેન્ડ પણ કરાયા હતા અને ફરી ભાજપમાં તેમની વાપસી પણ થઈ હતી.
-
અમદાવાદ: ગુરુ શિષ્યના સંબંધોને લાંછન, શિક્ષકે કર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
અમદાવાદના ધોળકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાએ ચકચાર મચાવી છે. સરકારી શાળાના શિક્ષક પર 13 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો.. પોલીસે સંવેદનશીલ ઘટનાને પર તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી શિક્ષકની ધરપકડ કરી. સમગ્ર બનાવની વાત કરીએ તો, ધોળકાના બામણપીઠ ખાતે આવેલી કુમાર શાળા નંબર-4 માં આરોપી વિજય સોલંકી શિક્ષક તરીકે નોકરી કરે છે. તેઓએ ધોરણ 8ના વિદ્યાર્થી સાથે જાતીય સતામણી કરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. જેમાં ભોગ બનાર વિદ્યાર્થીને શિક્ષકે શાળાના કોમ્પ્યુટર લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હતા. તેમજ કોઈને આ ઘટનાની જાણ કરે તો મારી નાંખવાની પણ ધમકી આપી હતી.
નરાધમ શિક્ષક વિજય સોલંકીએ કરેલા કૃત્યથી વિદ્યાર્થી ગભરાઈ જતા સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીએ પિતાને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો.. અને પોલીસે પોક્સો સહિતનો કલમો હેઠળ. ગુનો નોંધી આરોપી શિક્ષક વિજય સોલંકીની ધરપકડ કરી છે. સાથે શિક્ષકે અન્ય કોઈ વિદ્યાર્થી સાથે શારીરિક અડપલા કર્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
-
ગાંધીનગર : NEETની પરીક્ષાને લઇને પોલીસ તેમજ તંત્ર સંપૂર્ણ સજ્જ
ગાંધીનગર : NEETની પરીક્ષાને લઇને પોલીસ તેમજ તંત્ર સંપૂર્ણ સજ્જ થયુ છે. NEETની પરીક્ષાને લઇને IGP મકરંદ ચૌહાણે જણાવ્યુ કે કેન્દ્ર અને રાજ્ય તમામ એજન્સીઓ સાથે સંકલનમાં છે . વિદ્યાર્થીઓ કેન્દ્ર પર સમયસર પહોંચે તેને લઇને તૈયારી હાથ ધરાઈ છે. પરીક્ષાનું સુચારૂ આયોજન થાય એ માટે ગુજરાત પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ ન બેસે તે માટે વિશેષ તકેદારી રખાઈર હી છે. પેપર ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
-
અમદાવાદ: TET પરીક્ષામાંથી મુક્તિ માટે શિક્ષકોએ છેડ્યુ આંદોલન
અમદાવાદ: TET પરીક્ષામાંથી મુક્તિ માટે શિક્ષકોએ આંદોલનના મંડાણ કર્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરી બહાર શિક્ષકો દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા. 2010 પહેલાના શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવા માગ કરાઈ છે. પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યુ છે અનુભવી શિક્ષકોને પરીક્ષા આપવાનું કહેવાતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યુ. 2005 પછીના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માગ કરાઈ છે. ધોરણ 6થી 8ના શિક્ષકોને અલગ ગ્રેડ પે આપવાની પણ માગ કરાઈ છે. શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવાની માગ કરાઈ છે.
-
ભાવનગરઃ મહુવાના ગઢડા ગામે સિંહના હુમલામાં યુવકના મોતનો કેસ
ભાવનગરઃ મહુવાના ગઢડા ગામે સિંહના હુમલામાં યુવકના મોત બાદ વન વિભાગ હવે સજાગ બન્યુ છે અને વધુ એક શંકાસ્પદ સિંહવે પાંજરે પુર્યો છે. સિંહના સેમ્પલની તપાસ બાદ હુમલો કરનારા સિંહની ઓળખ થશે.
આજ વિસ્તારમાંથી અગાઉ એક સિંહણને પકડવામાં આવી હતી. થોડા દિવસ પહેલા 30 વર્ષનો યુવાન જ્યારે પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો તે સમયે અચાનક સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા બાદ યુવકના અવશેષો માત્ર મળ્યા હતા.
-
વાવ થરાદમાં ટ્રિપલ અકસ્માતમાં એક યુવકનું મોત
વાવ થરાદમાં ટ્રિપલ અકસ્માતમાં એક યુવકનું મોત થયુ છે. ડીસા-થરાદ હાઈવે પર ગૌમાતા સર્કલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ડમ્પરે બાઇક અને ટ્રેક્ટરને ટક્કર મારી. અકસ્માતમાં બાઈકસવારનું ઘટનાસ્થળે મોત થયુ છે. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનામાં અન્ય બે લોકો પણ ઇજાગ્રસ્ત થયા ડમ્પરચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો.
-
અમરેલી : બાબરા પાસે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
અમરેલી : બાબરા પાસે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો છે. ટ્રકમાંથી વિદેશી દારૂની 6288 બોટલો ઝડપાઇ છે. કુલ 9.61 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે. ફરાર ટ્રકચાલકને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી છે.
-
મહીસાગરઃ નળ સે જળ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ
મહીસાગરઃ નળ સે જળ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ છે. કૌભાંડના આરોપમાં કોન્ટ્રાક્ટર કૌશિક જોષની ધરપકડ કરાઈ છે. જિલ્લામાં 44 કામમાં ગેરરીતિ આચર્યાનો કોન્ટ્રાક્ટર પર આરોપ છે. મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના 31 ગામમ, કડાણા તાલુકાના 8 ગામ અને લુણાવાડા તાલુકાના 4 ગામ અને સંતરામપુર તાલુકાનું એક ગામ એમ મળી કુલ 44 ગામોમાં કૌભાંડ આચર્યું હતું
-
છોટાઉદેપુર: પાવી જેતપુરમાં 11 વર્ષની કિશોરી પર દીપડાનો હુમલો
છોટાઉદેપુર: પાવી જેતપુરમાં 11 વર્ષની કિશોરી પર દીપડાએ હુમલો કર્યો. ખેતરમાં બેસેલી કિશોરી પર દીપડાએ હુમલો કરતાં આસપાસમાં ફફડાટ ફેલાયો છે. ઘટનામાં કિશોરીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. વન વિભાગે દીપડાને પકડવા કવાયત હાથ ધરી
-
સાબરકાંઠા: ઈડરમાંથી ડબ્બા ટ્રેડિંગ કરતા બે શખ્શો ઝડપાયા
સાબરકાંઠા: ઈડરમાંથી ડબ્બા ટ્રેડિંગ કરતા બે શખ્શો ઝડપાયા. મોબાઈલ એપથી શેરબજારની વધઘટના આધારે ટ્રેડિંગ કરતા હતા. લોકોને ઉંચુ વળતર આપવાની લાલચે ફસાવતા હતા. ખોટી ઓળખ વડે રોકાણકારોને જાળમાં ફસાવી પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. ઈડર પોલીસ મથકે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. બે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
-
સાબરકાંઠા: ઈડરમાંથી પ્રેમી યુગલને તાલીબાની સજા થતા ખળભળાટ
સાબરકાંઠા: ઈડરમાંથી પ્રેમી યુગલને તાલીબાની સજા થતા ખળભળાટ મચ્યો છે. ખાનગી હોસ્પિટલમાંથી સાત શખ્સોએ અપહરણ કર્યાના આક્ષેપ થયો છે. અપહરણ બાદ યુવકને વડગામ વિસ્તારમાં લઈ જઈ ગોંધી રાખ્યો હતો. યુવકને બાંધીને ઢોર માર માર્યા બાદ તેનું મુંડન કરી દીધાનો આક્ષેપ છે. યુવકને નપુસંક કરવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આરોપ છે. પોતાના જ સમાજની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા બાદ 9 લોકોએ ત્રાસ ગુજાર્યો. યુવકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરીને કડક કાર્યવાહીની માગ કરી છે. યુવકના મુંડનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
-
મહેસાણાઃ કડીમાં રાત્રી દરમ્યાન 2 ઇંચ વરસાદ
મહેસાણાઃ કડીમાં રાત્રી દરમ્યાન 2 ઇંચ વરસાદ પડ્યો. જિલ્લામાં કડી અને વિસનગરમાં રાત્રિ દરમ્યાન વરસાદ વરસ્યો. સવાર સુધી 2 ઇંચ વરસાદ ખાબકી જતા કડી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. વરસાદથી ખેડૂતો સહિત તમામને રાહત મળી છે.
-
મહેસાણા: સિવિલ હોસ્પિટલના નામે બોગસ મેડિકલ સર્ટીના કૌભાંડનો પર્દાફાશ
મહેસાણા: સિવિલ હોસ્પિટલના નામે બોગસ મેડિકલ સર્ટીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારી નોકરી માટે ડૉક્ટર્સના નકલી સહી-સિક્કાનું ષડયંત્ર સામે આવ્યુ છે. RMO સહિત અન્ય તબીબોના નામના 3 નકલી સિક્કા જપ્ત કરાયા છે. સિવિલ હોસ્પિટલના સર્જનની સતર્કતાથી ભાંડો ફૂટ્યો છે. ફરિયાદ બાદ સમગ્ર મામલે એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ગુનામાં કોણ-કોણ સંડોવાયેલું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
મહેસાણાની જનરલ સિવિલ હોસ્પિટલના નામે બોગસ મેડિકલ ફિટનેસ સર્ટી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીં હોસ્પિટલમાં અલગ-અલગ કંપનીઓમાંથી કર્મચારીઓ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા આવતા હોય છે. ત્યારે ઓએનજીસી તરફથી 4 ઉમેદવારોના ફોર્મ “O” પર કાઉન્ટર સહી કરાવવા એક વ્યક્તિ હોસ્પિટલ આવી હતી. તેના પર સિવિલ સર્જનની સહી કરાવવાની હતી.
જ્યારે હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. ગોપી પટેલે આ દસ્તાવેજોની ચકાસણી કરી તો તેમના ધ્યાને આવ્યું કે 4માંથી 3 ઉમેદવાર અગાઉ હોસ્પિટલ આવ્યા હતા અને રિપોર્ટ સાચા હતા. પરંતુ, ચોથા ઉમેદવાર અંગે તેમને શંકા ગઈ.
-
અમરેલી: શહેરમાં મેઘરાજાની એન્ટ્રી
અમરેલી: શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. બપોર બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. મેઘરાજાના આગમનથી ઉકળાટ અને બફારા વચ્ચે લોકોને રાહત મળી છે. વરસાદનું આગમન થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.
-
સાબરકાંઠામાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ, ઈડરમાંથી બે શખ્સોની ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ કરતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓ મોબાઈલ એપ્લિકેશન મારફતે શેરબજારની વધઘટના આધારે ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ તપાસ મુજબ આરોપીઓ લોકોને શેરબજારમાં રોકાણ પર ઊંચું વળતર મળવાની લાલચ આપીને ફોન કોલ દ્વારા સંપર્ક કરતા હતા. ત્યારબાદ ખોટી ઓળખ અને ભ્રામક માહિતીના આધારે રોકાણકારોને વિશ્વાસમાં લઈ તેમને પોતાની જાળમાં ફસાવતા હતા.
આરોપીઓ વિવિધ ઓનલાઈન માધ્યમો દ્વારા રોકાણકારો પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવતા અને શેરબજારના નામે ગેરકાયદે સટ્ટાકીય પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર કામગીરી મોબાઈલ એપ્લિકેશન અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે સંચાલિત કરવામાં આવતી હતી.
-
અમદાવાદ: શહેરભરની હોટલો પર ફાયર વિભાગની તવાઈ
અમદાવાદ શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન સામે ફાયર વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. મોટેરા, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારની હોટલોમાં તપાસ દરમિયાન ફાયર NOC વિના ચાલતી અનેક હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ 7 જૂન અને 18 જૂને કુલ 37 હોટલોને નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ હવે સીલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચાંદખેડા વિસ્તારમાં ચાર હોટલોને ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરવું તેમજ જરૂરી ફાયર સાધનો ઉપલબ્ધ ન હોવાને કારણે ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર વિભાગ અને AMCના એસ્ટેટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
-
રાજકોટ: વિશ્વ યોગ દિવસે RMCની મહત્વની પહેલ
રાજકોટમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનોખી અને મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરને ‘15 મિનિટ યોગા સિટી’ તરીકે વિકસાવવાના આયોજન હેઠળ રાજકોટમાં 426 યોગ સેન્ટરો તૈયાર કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરના દરેક નાગરિકને તેમના રહેઠાણથી માત્ર 15 મિનિટના અંતરે યોગની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રોજેક્ટ સફળ બનશે તો રાજકોટ વિશ્વનું આ પ્રકારનું પ્રથમ શહેર બનશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે MoU પણ કરશે. યોજનાના ભાગરૂપે દરરોજ સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન તમામ યોગ સેન્ટરો પર યોગ સત્રો યોજવામાં આવશે.
-
સુરત: માંગરોળના પીપોદ્રા GIDCમાં લાગી ભીષણ આગ
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદ્રા GIDC વિસ્તારમાં આવેલા એક વેસ્ટેજ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે આસપાસના ઉદ્યોગો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આગની જાણ થતાં બે જેટલી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
-
આગામી સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાના એંધાણ છે. ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવા અને દરિયો ખેડતા પહેલાં હવામાનની માહિતી મેળવવા સૂચના આપવામાં આવી છે.
-
અમદાવાદમાં સારથી અને વાહન પોર્ટલ ખોરવાયુ હતુ, આજથી ફરી બંને પોર્ટલ પૂર્વવત થયા
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી ખોરવાયેલા સારથી અને વાહન પોર્ટલ આજે ફરી પૂર્વવત કાર્યરત થઈ ગયા છે. પોર્ટલમાં આવેલી ટેક્નિકલ ખામીને કારણે અરજદારોને વિવિધ સેવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં નોન-ફેસલેસ સેવાઓ પણ નિયમિત રીતે શરૂ થઈ ગઈ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. જોકે કેટલાક ટેક્નિકલ કારણોસર ટેસ્ટ ટ્રેકની કામગીરી અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી છે. જેના કારણે ટેસ્ટ ટ્રેક માટે અગાઉ આપવામાં આવેલી એપોઈન્ટમેન્ટ્સને રિ-શિડ્યૂલ કરવામાં આવી છે. સંબંધિત અરજદારોને આ અંગે જાણ પણ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
-
વડોદરા: RTOમાં સર્વર ધીમું પડતાં અરજદારોને હાલાકી
વડોદરામાં RTOના સર્વર ધીમું પડતાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન સર્વર સ્લો થતા કામગીરીમાં વિઘ્ન ઊભું થયું હતું. સર્વર ખોટવાતા RTOના અન્ય કાર્યો પર પણ તેની અસર જોવા મળી હતી અને અરજદારોને લાંબી રાહ જોવી પડી હતી. આ મામલે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર કેતન ખપેડે જણાવ્યું કે બે દિવસ સુધી સર્વર ડાઉન રહેતાં મુશ્કેલી સર્જાઈ હતી. તેમનું કહેવું છે કે હાલથી સર્વર રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ ગયું છે. છેલ્લા બે દિવસમાં લગભગ 400 એપોઇન્ટમેન્ટ્સમાં ફેરફાર કરવો પડ્યો હોવાનું પણ જણાવાયું છે.
-
અમદાવાદ: ભૂતકાળના કુખ્યાત બુટલેગરના પૌત્રના સીનસપાટા
અમદાવાદમાં ભૂતકાળના કુખ્યાત બુટલેગર કિશોર લગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડના સીનસપાટાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા જાગી છે. આદિત્યસિંહે ગાંધીનગરમાં લક્ઝુરિયસ કાર સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હોવાનું સામે આવ્યું છે. આદિત્ય વિરુદ્ધ અગાઉ મારામારી અને હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું કહેવાય છે. ઉપરાંત રાજકોટમાં હથિયાર સાથે ઝડપાઈ ચૂકેલા આદિત્યસિંહ જામીન પર મુક્ત થયા બાદ ફરી રોફ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વાયરલ વીડિયોને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલો ઊભા થયા છે.
-
ફરાર આરોપી કિરીટ પટેલ ધારાસભ્યની બાજુમાં નજરે પડ્યો
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની કાંઠા સુગરમાં થયેલા કથિત કૌભાંડ મામલે નવો વિવાદ સામે આવ્યો છે. નાણાકીય ગેરરીતિના કેસમાં આરોપી અને ફરાર ગણાતા કિરીટ પટેલ એક જાહેર કાર્યક્રમમાં નજરે પડ્યા હોવાનું સામે આવ્યું છે. કરંજ ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં કિરીટ પટેલ ધારાસભ્ય મુકેશ પટેલની બાજુમાં સ્ટેજ પર બેઠેલા જોવા મળ્યા હતા. કિરીટ પટેલ અગાઉ કાંઠા સુગરના પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમની સામે ઓલપાડ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસ કિરીટ પટેલ સહિતના આરોપીઓ સામે ચાર્જશીટ પણ દાખલ કરી ચૂકી છે. વર્ષ 2023માં તેમણે કાંઠા સુગરના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. નોંધનીય છે કે કિરીટ પટેલ અગાઉ ઓલપાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઘટનાના વીડિયો અને તસવીરો સામે આવતા ફરી એકવાર સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
-
અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં દર્દીઓ અને તેમના સગાઓ ફસાયા
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લિફ્ટને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલની એક લિફ્ટમાં દર્દીઓ અને તેમના સગાઓ ફસાઈ જતા ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. આક્ષેપ મુજબ લાંબા સમય સુધી લિફ્ટના દરવાજા ખોલવા માટે કોઈ ટેકનિકલ કે હોસ્પિટલ સ્ટાફની મદદ પહોંચી નહોતી. આખરે હોસ્પિટલમાં હાજર લોકોએ જ પ્રયત્નો કરીને લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. ખાસ કરીને ઉંમરલાયક મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં લિફ્ટને લઈને વારંવાર સમસ્યાઓ સર્જાતી હોવાના આક્ષેપો વચ્ચે આ ઘટનાએ હોસ્પિટલની સુવિધાઓ અને સલામતી વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા કર્યા છે.
-
વડોદરા: મકરપુરામાં બે જૂથ વચ્ચે ભારે અથડામણ
વડોદરાના મકરપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી ભારે અથડામણને કારણે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. સરદાર કોલોની વિસ્તારમાં બંને પક્ષો વચ્ચે તલવાર, હોકી અને અન્ય હથિયારો વડે મારામારી થઈ હતી. અથડામણ દરમિયાન બંને જૂથોએ એકબીજાના વાહનોમાં પણ ભારે તોડફોડ કરી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મામલો શાંત પાડવા પહોંચેલી પોલીસ સાથે પણ કેટલાક લોકોએ ઘર્ષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ હિંસક અથડામણમાં અનેક લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી મારામારીમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
-
મહેસાણા: વિજાપુરમાં યુવકની ઘાતકી હત્યાથી ચકચાર
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં યુવકની ઘાતકી હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મણિપુરા રોડ પર અમિત સલાટ નામના યુવકનો મૃતદેહ મળી આવતાં હત્યાનો ભેદ ખુલ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ યુવકની છાતીના ભાગે છરીના ઘા મારી તેની હત્યા કરી મૃતદેહને ત્યાં ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. યુવકના અચાનક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વિજાપુર પોલીસે ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે.
-
અમદાવાદમાં NEETની પરીક્ષાને લઈને તંત્રની તૈયારીઓ
અમદાવાદમાં 21 જૂને યોજાનારી NEET પરીક્ષાને લઈને તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી છે. પેપરલીકની અગાઉની ઘટનાને ધ્યાનમાં રાખીને NTA અને કેન્દ્ર સરકાર વધુ સતર્ક બન્યા છે. શહેરના 23 પરીક્ષા કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પ્રશ્નપત્રોને કેન્દ્રો સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે પોલીસ એસ્કોર્ટ અને ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરા અને 8 ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થામાં 6 DCP, 15 PI, નાયબ મામલતદારો સહિતનો સ્ટાફ તૈનાત રહેશે, જ્યારે 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ફરજ પર રહેશે. વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યાથી ચકાસણી બાદ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત પેપર કલેક્શન સેન્ટર પર NTA દ્વારા મોકડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
-
આવતીકાલે દેશમાં 22 લાખ વિદ્યાર્થીઓ આપશે NEETની પરીક્ષા
આવતીકાલે યોજાનારી NEET પરીક્ષામાં દેશભરના અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી છે, છતાં એક મોટી ચૂક સામે આવી છે. નાગપુરના એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર તરીકે અબુધાબી ફાળવવામાં આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે. વિદ્યાર્થીએ અરજી દરમિયાન વર્ધા અને નાગપુરને પ્રાથમિકતા આપી હતી, છતાં ભૂલથી વિદેશમાં કેન્દ્ર ફાળવાયું હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ સમગ્ર મામલે NTA સમક્ષ રજૂઆત કરતાં સત્તાધીશોએ ભૂલ સુધારીને ઝડપથી નવું પરીક્ષા કેન્દ્ર ફાળવવાની ખાતરી આપી છે.
-
સુરત: સ્મીમેર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં સાંઠગાંઠના આરોપ
સુરતમાં સ્મીમેર હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ વચ્ચે સાંઠગાંઠ હોવાના આક્ષેપોને લઈને વિવાદ સર્જાયો છે. પરિવારના જણાવ્યા અનુસાર સ્મીમેર હોસ્પિટલમાંથી એક 40 વર્ષીય મહિલા દર્દીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ઓપરેશન બાદ તેનું મોત થયું હતું. મહિલાના મગજમાં ગાંઠ હોવાનું નિદાન થતાં સર્જરી કરવામાં આવી હતી. પરિવારનો આક્ષેપ છે કે મા કાર્ડ હોવા છતાં ડૉક્ટર દ્વારા સારવાર માટે રૂપિયા માંગવામાં આવ્યા હતા. ઓપરેશન કરનાર ડૉક્ટર પર પણ પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. સમગ્ર મામલો સામે આવતા સર્જરી વિભાગના વડાએ તપાસના આદેશ આપ્યા છે. પરિવારજનોએ જવાબદાર ડૉક્ટર સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ ઉઠાવી છે.
-
શિક્ષણ બોર્ડે અમદાવાદની 3 શાળાઓને નોટિસ આપી
અમદાવાદમાં શિક્ષણ બોર્ડે ડમી કલ્ચર સામે કડક વલણ અપનાવતા ત્રણ શાળાઓને શો-કોઝ નોટિસ ફટકારી છે. બોર્ડ દ્વારા કરવામાં આવેલી અચાનક તપાસ દરમિયાન આ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 30 ટકાથી પણ ઓછી નોંધાતા ગંભીર અનિયમિતતાઓ સામે આવી હતી. ખાસ કરીને અમદાવાદ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ એ. કે. ભરવાડની નરોડા સ્થિત ગાયત્રી વિદ્યાલયમાં પણ ઓછી હાજરી જોવા મળતા ચર્ચા જાગી છે. ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારની SS ડિવાઇન સ્કૂલ અને નરોડાની ડિવાઇન સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓની હાજરી ખૂબ ઓછી નોંધાઈ હતી. ડમી કલ્ચરને લઈને બોર્ડે સંબંધિત શાળાઓને તેમની માન્યતા રદ કેમ ન કરવી તે અંગે શો-કોઝ નોટિસ આપી જવાબ માંગ્યો છે.
-
અમદાવાદ: સ્કૂલ રીક્ષા ચાલકની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ
અમદાવાદમાં સ્કૂલ રીક્ષા ચાલકની ગંભીર બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં રીક્ષામાં વિદ્યાર્થીઓને ખચોખચ ભરવામાં આવ્યા હોવાનું જોવા મળે છે, જ્યારે કેટલાક બાળકો રીક્ષાની પાછળ અડધા લટકતા હાલતમાં મુસાફરી કરતા નજરે પડે છે. જીવના જોખમે રીક્ષા દોડાવી ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ વીડિયો અમદાવાદના નારોલ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વીડિયો વાયરલ થતાં સ્કૂલ વાહનોમાં બાળકોની સુરક્ષા અને જવાબદારી અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
-
ચોમાસું ખેંચાવાના સમાચાર વચ્ચે ખેડૂતોને રાહત, હવે મળશે 10 કલાક વીજ પુરવઠો
બાગાયતી પાકોને પૂરતા પાણીના અભાવે નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂત અને સહકારી અગ્રણી જયેશભાઈ એન. પટેલ (દેલાડ) દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને પગલે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં કૃષિ વિષયક વીજ ફીડરોમાં આપવામાં આવતા વીજ પુરવઠાના કલાકોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ખેડૂતોને રોજના 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવતો હતો, જે હવે વધારીને 10 કલાક કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સિંચાઈ માટે ખેડૂતોને વધારાની સુવિધા મળશે અને વરસાદના અભાવે પાકને થતા નુકસાનને ઘટાડવામાં મદદ મળશે.
-
રાજ્યના 52 તાલુકામાં વરસ્યો નોંધપાત્ર વરસાદ
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ જમાવટ કરતાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. રાજ્યના 52 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેમાં 7 તાલુકાઓમાં 1 ઇંચથી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ અને ગોધરામાં અઢી-અઢી ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
કેરેબિયન દેશ ડોમિનિકન રિપબ્લિકનના રિસોર્ટમાં આગ
કેરેબિયન દેશ ડોમિનિકન રિપબ્લિકના એક રિસોર્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં એક વ્યક્તિના મોતના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ ફાટી નીકળતા રિસોર્ટમાં રોકાયેલા પ્રવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સત્તાવાળાઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
-
સાબરકાંઠા: ઈડરમાંથી પ્રેમી યુગલને તાલીબાની સજા થતા ખળભળાટ
સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં પ્રેમી યુગલને કથિત રીતે તાલીબાની સજા આપવામાં આવી હોવાના આક્ષેપો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. યુવકનો આરોપ છે કે ખાનગી હોસ્પિટલમાંથી સાત શખ્સોએ તેનું અપહરણ કરી તેને વડગામ વિસ્તારમાં લઈ જઈ ગોંધી રાખ્યો હતો. ત્યાં તેને બાંધીને ઢોર માર મારવામાં આવ્યો અને તેનું મુંડન પણ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. એટલું જ નહીં, યુવકને નપુંસક બનાવવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પોતાના જ સમાજની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા બાદ નવ લોકો દ્વારા ત્રાસ અપાયો હોવાનું યુવકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
-
મુંબઈને પાણી આપતા 7 જળાશયમાં માત્ર 9.34 ટકા પાણી
મુંબઈમાં પાણીનું સંકટ વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે. શહેરને પાણી પૂરું પાડતા 7 જળાશયોમાં માત્ર 9.34 ટકા પાણી જ બચ્યું છે, જેના કારણે આગામી માત્ર 40 દિવસ ચાલે તેટલો જ જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. BMCએ પાણી કાપનો કડક અમલ શરૂ કરી કોમર્શિયલ એકમોમાં 20 ટકા સુધી પાણી કાપ લાગુ કર્યો છે, જ્યારે નવા બાંધકામ પ્રોજેક્ટ્સ માટે પાણીના જોડાણો પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
-
અમેરિકાના ફ્લોરિડામાં મીયામીમાં ભયંકર આગ
અમેરિકાના ફ્લોરિડાના મિયામી નજીક જંગલમાં ભયંકર આગ લાગતા અનેક એકર વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો છે. આગ ઝડપથી ફેલાતા તંત્ર દ્વારા અનેક મુખ્ય રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. રસ્તાઓ બંધ થતાં હજારો વાહનચાલકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગ અને અન્ય બચાવ ટીમો સતત કામગીરી કરી રહી છે.
-
રાજકોટઃ શાપર વેરાવળમાં કરોડો રૂપિયાની લૂંટ
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ વિસ્તારમાં કરોડો રૂપિયાની ચકચારી લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવીને 7 બુકાનીધારી શખ્સોએ લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ આશરે 2.47 કરોડ રૂપિયાની રોકડ રકમ અને 7 તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજા પેટ્રોલપંપ અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
નોર્થ લંડનમાં મોટો ટ્રેન અકસ્માત
નોર્થ લંડનમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. બે ટ્રેનો વચ્ચે અથડામણમાં 50 લોકો ઘાયલ થયા છે.
-
પીએમ મોદીનો બંગાળ પ્રવાસ આજથી શરૂ
પીએમ મોદી 20-21 જૂને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. આજે, તેઓ હુગલીમાં પશ્ચિમ બંગાળ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી રેલ્વે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્યઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્રોમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે. તેઓ પીએમ-કિસાન યોજનાનો 23મો હપ્તો પણ રજૂ કરશે, જેનો લાભ દેશભરના 94.4 મિલિયનથી વધુ ખેડૂતોને મળશે.
-
છોટાઉદેપુર: ભારજ નદી પર બનાવાયેલો ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત
છોટાઉદેપુર જિલ્લામાં ભારજ નદી પર બનાવાયેલો ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત બનતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાયવર્ઝનની સ્થિતિ નબળી બનતા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેના કારણે લોકો પગપાળા પસાર થવા મજબૂર બન્યા છે. નેશનલ હાઈવે-56 પરનો બ્રિજ તૂટી જતાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. હવે ભારે વાહનોને બોડેલી અથવા છોટાઉદેપુર જવા માટે આશરે 40 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડી રહ્યો છે. નોંધનીય છે કે ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન આ જ ડાયવર્ઝન ધોવાઈ જતાં પરિવહન વ્યવસ્થા ખોરવાઈ હતી.
-
અમદાવાદ: ચોમાસામાં ‘મેટ્રોસિટી’ના અનેક સ્થળે પાણી ભરાવાની શક્યતા
અમદાવાદમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પાણી ભરાવાની ચિંતા વધી છે. મનપાએ શહેરમાં પાણી ભરાઈ શકે તેવા 147 સ્થળોની ઓળખ કરી હતી, પરંતુ હજુ પણ 7 સ્થળોએ પ્રિ-મોન્સૂન કામગીરી ચાલુ છે. ઉપરાંત 12 જેટલા સ્થળોએ માત્ર કાગળ પર જ આયોજન હોવાનું સામે આવ્યું છે. મણિનગર, ન્યૂ મણિનગર અને બંધન પાર્ટી પ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના 7 સ્થળો એવા પણ છે જ્યાં સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ AMC દ્વારા કેચપીટ સફાઈનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, છતાં વરસાદ પહેલાં કામગીરી પૂર્ણ થશે કે નહીં તે અંગે પ્રશ્નો ઊભા થયા છે.
-
પેપર લીક રોકવા અભૂતપૂર્વ સુરક્ષા કવચ
NEET-UG રિ-એક્ઝામને લઈને કેન્દ્ર સરકાર અને NTA સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. પરીક્ષા પહેલાં દેશભરના તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને વ્યવસ્થાઓની ચકાસણી માટે આજે સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી વ્યાપક મોક ડ્રીલ યોજાશે. પેપર લીક અને ગેરરીતિઓને રોકવા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. NTA દ્વારા તમામ વહીવટી તેમજ સુરક્ષાલક્ષી તૈયારીઓ પૂર્ણ કરાઈ હોવાનું જણાવાયું છે. 21 જૂને યોજાનારી NEET-UG રિ-એક્ઝામમાં દેશભરમાં કુલ 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
Published On - Jun 20,2026 7:30 AM
