17 જૂનના મહત્વના સમાચાર : વડોદરા નજીક હાલોલ જરોદ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત, 7 લોકોના મોત, 26 જેટલા મુસાફરો ઘાયલ, બાડમેરથી સુરત જતી હતી બસ, હજુ મૃત્યુઆંક વધવાની આશંકા
આજે 17 જૂનને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
પાલનપુરમાં ચાણક્યપુરી પ્રાથમિક શાળા ખાનગી ટ્રસ્ટને સોંપાતા વિવાદ
પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારની ચાણક્યપુરી પ્રાથમિક શાળામાં વિવાદ ઉભો થયો છે. શાળાની જગ્યા ખાનગી ટ્રસ્ટને સોંપી દેવા આદેશ થતા જ હડકંપ મચી ગયો છે. અનેક વર્ષોથી આ શાળા વિસ્તારના ગરીબ બાળકોને શિક્ષણ આપતી રહી છે પરંતુ હવે આ જગ્યા ખાનગી ટ્રસ્ટને સોંપવાનો નિર્ણય લેવાયો છે. સ્થાનિકોનો આરોપ છે કે ખાનગી ટ્રસ્ટ દ્વારા આદેશમાં મૂકવામાં આવેલી શરતોનું પાલન કરાયું નથી. જેથી આ જમીન સરકાર હસ્તક થવી જોઈએ. જેને લઈ સ્થાનિકોએ કલેકટરને શાળા રાબેતા મુજબ ચાલુ રાખવા માગ કરી છે. જો આ માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
બીજી તરફ શિક્ષણ વિભાગનું કહેવું છે કે શાળા બંધ કરાઈ નથી. આ જગ્યા ખાનગી ટ્રસ્ટને આપવામાં આવી હતી. પરંતુ કામ ન થતા આ જગ્યા બાળકોને અભ્યાસ કરવા માટે વાપરવા આપવામાં આવી હતી પરંતુ હવે તે ટ્રસ્ટની આ જગ્યા પરત મેળવવા માટે રજૂઆત કરી છે. જેને લઈ આગામી સમયમાં સ્થાનિકો અને ખાનગી ટ્રસ્ટ સુખદ સમાધાન માટે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
-
વડોદરાઃ દાંડિયા બજાર રેવા હોસ્પિટલમાં મહિલાના મૃત્યુ બાદ હોબાળો
વડોદરાઃ દાંડિયા બજાર રેવા હોસ્પિટલમાં મહિલાના મૃત્યુ બાદ હોબાળાના દૃશ્યો સામે આવ્યા. પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા પરિવારે બેદરકારીનો આક્ષેપ કર્યો છે. પ્રસૂતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૃતિ બાદ બ્લડિંગ વધી જતા મોત થયાનો ડૉક્ટરે દાવો કર્યો. મોત બાદ પરિજનોએ હોબાળો કર્યો. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા કાર્યવાહી હાથ ધરી છે. મહિલાનો મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો છે. આ મામલે પરિવારને ન્યાય મળશે કે નહીં તેવી ચર્ચા તેજ બની છે.
-
-
અંબાજી આબુરોડ પર ભારે વાહનો માટે મુકાયો પ્રતિબંધ
યાત્રાધામ અંબાજી ખાતે રૂપીયા 1632 કરોડ ના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાનાર છે જેમાં મહત્તમ શક્તિ કોરીડોર ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કામમાં અડચણ રૂપ ના બને તે માટે આગામી 28 ફેબ્રુઆરી-2027 સુધી 9 મહીના સુધી અંબાજી આબુરોડ વચ્ચે ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અંબાજી આબુરોડ રૂટ માટે ટ્રાફીક વ્યવસ્થામાં ફેરફાર કરી ને ભારે વાહનો ને ડી.કે સર્કલ થી પાલનપુર-દાંતા તરફ ડાયવર્ડ કરવામાં આવ્યા છે જેને લઇ ભારે વાહનો માટે અંબાજી આબુરોડ નો રસ્તો જે 20 કિલોમીટર નો થતો હતો તેના બદલે પાલનપુર તરફ ડાયવર્ઝન કરાતાં અંબાજી આબુરોડ નો રસ્તો 120 કિલોમીટર સુધી ફરવું પડશે.
ગબ્બર ટેકરીથી અંબાજી મંદિર સુધી એક ભવ્ય કોરીડોર બનાવવામાં આવી રહ્યુ છે. જેમાં ભક્તો ને આધુનીક સુવિધાઓ પુરી પડાશે. આ નિમાર્ણ કાર્ય ના કારણે બસ ટ્રાફીક સાથે ભારે વાહનો જે 12 મિટર લાંબા હેવી વાહનો ને અંબાજી માં પ્રવેશવા પણ સવારે 07 વાગ્યા થી રાત્રી ના 10 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ ના અધ્યક્ષ અને જીલ્લા કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરાયેલાં જાહેરનામા મુજબ આ બાંધકામ કાર્ય ને લઇ 25 મે-2026 થી 28 ફેબ્રુઆરી-2027 સુધી મોટા ટ્રેલર, ટ્રક અને અન્ય ભારે વાહનો માટે નો એન્ટ્રી નિયમ માં રહેશે. હિંમતનગર તરફ થી આબુરોડ આવતા ભારે વાહનો દાંતા પાલનપુર રૂટ તરફ ડાયવર્ઝન કરવામાં આવ્યુ છે. વહીવટીતંત્ર એ સ્વષ્ટતા કરી છે કે હાલ તબક્કે કાર બાઇક અને પેસેન્જર બસોની અવર-જવર ઉપર કોઇ પ્રતિબંધ રહેશે નહીં.
-
સુરતઃ ચોમાસા પહેલા જ શહેરમાં દેખાઈ અસર
સુરતઃ ચોમાસા પહેલા જ શહેરમાં તંત્રની પોલ ખૂલવા લાગી છે. ન્યુ ડિંડોલી તરફનો 200 મીટરનો રોડ બેસી ગયો છે. ચોમાસા પહેલા જ મહાનગરપાલિકાની ગંભીર પોલ ખૂલી રહી છે અને પાલિકાની પ્રિમોન્સુનની કામગીરી પર સવાલો ઉભા થયા છે. થોડા દિવસ પહેલા બનેલો નવો રોડ જમીનમાં ધસી પડ્યો છે. વહેલી સવારે એક ડમ્પર આજ રસ્તે જમીનમાં ઘસી પડ્યું હતું.
-
સુરેન્દ્રનગરઃ નવા સર્કિટ હાઉસ સામે યુવક ટાવર પર ચડ્યો
સુરેન્દ્રનગરઃ નવા સર્કિટ હાઉસ સામે યુવક ટાવર પર ચડી જતા સૌની ચિંત વધારી હતી. સ્થાનિકોના પ્રયાસ છતાં યુવક નીચે ન ઉતર્યો, ઘટનાની જાણ થતા ફાયરની ટીમ દોડી આવી હતી અને દોઢ કલાકની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. યુવકને સમજાવી હેમખેમ નીચે ઉતારાયો હતો. યુવક નશાની હાલતમાં હોવાનુ અનુમાન સેવવામાં આવ્યુ છે.
-
-
અમદાવાદઃ દિલ્લી અગ્નિકાંડ બાદ એક્શનમાં ફાયર વિભાગ
અમદાવાદઃ દિલ્લી અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યુ છે. ફાયરના નિયમોનો ઉલાળીયો કરતા એકમો સામે લાલ આંખ કરવામાં આવી છે. એસ.જી. હાઈવે પાસે આવેલી 6 હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર વિભાગની ગાઇડલાઈન ઉલ્લંઘન થતાં હોટલો સીલ કરાઈ છે.
-
વડોદરામાં લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 7 લોકોના મોત
તો વડોદરામાં લકઝરી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 26થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. વડોદરા નજીક કોટમ્બી સ્ટેડિયમ નજીક, રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી બાલાજી ટ્રાવેલ્સની બસના ચાલકે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી બસના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા. ભીષણ ટક્કરને પગલે બસમાં અનેક મુસાફસો ફસાયા હતા. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતને પગલે હાઇવ મુસાફરોની ચીસોથી ગૂંજી ઉઠ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. સાથે જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા. હાલ પ્રાપ્ત વિગતો મુજબ 7 લોકોના મોત થયા છે.. જ્યારે 25થી વધુ ઇજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વડોદરાના મેયર પણ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા શક્ય છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. જેથી હોસ્પિટલમાં તમામ સ્ફાટને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.
રેસ્ક્યૂ માટે SDRF, NDRFની પણ મદદ લેવામાં આવી છે. મુખ્ય હાઇવે પર અકસ્માત સર્જાતા વડોદરા હાલોલ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ વાહનોના કાટમાળને ખસેડીને હાઇવે પર ટ્રાફિક ક્લિયર કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.
-
-
અમદાવાદઃ રિવરફ્રન્ટ પર સ્ટંટબાજ નબીરાઓ બેફામ
અમદાવાદઃ રિવરફ્રન્ટ પર સ્ટંટબાજ નબીરાઓ બેફામ બન્યા છે અને બેદરકારી સાથે અન્ય લોકોની પરવા કર્યા વિના પોતાના વાહનોથી સ્ટંટ કરી રિવરફ્રન્ટને બાનમાં લીધો છે. નબીરાઓએ સ્ટંટ કરી રાહદારીઓના જીવ પણ જોખમમાં મુક્યા. હાલ નબીરાઓના સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. જેમા 4 મોપેડ અને 1 બાઈક પર સ્ટંટ કરતી સ્ટંટબાજોની ટોળકી વાયરલ થઈ છે. પોલીસે સ્ટંટ કરનારા નબીરાઓની શોધખોળ હાથ ધરી છે.
આજે 17 જૂનને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jun 17,2026 10:55 AM
