15 જુલાઈના મહત્વના સમાચાર : કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જમીનની માથાકૂટમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 1ને ઈજા
આજે 15 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 15 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જમીનની માથાકૂટમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 1ને ઈજા
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જમીનની માથાકૂટમાં થયું ફાયરિંગ. જમીન ડખ્ખામાં થયેલ ફાયરિંગમાં નાવદ્રા ગામના એક વ્યક્તિને પગમાં ગોળી વાગી. સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે. લાંબા ગામના દેવસી ચેતરીયા નામના વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરાયું હોવાની વીડિયોમાં ઉલ્લેખ. હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું અનુમાન. નાવદ્રા ગામની ડેમ વાળી વિવાદિત જમીનમાં નાવદ્રા ગામના લખમણ કરમૂર નામના વ્યક્તિ પર ફાયરિંગ થતા પગમાં ગોળી વાગ્યાની ઘટનાએ ચકચાર જગાવી. લાંબા ગામના માથાભારે શખ્સોએ ફાયરિંગ કર્યાની ઘટનાએ ચકચાર જગાવી.ફાયરિંગ થયા બાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી..
-
હિંમતનગરમાં વરસ્યા હળવા વરસાદી ઝાપટાં
હિંમતનગરમાં વરસ્યા હળવા વરસાદી ઝાપટાં. હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ થયો છે. હિંમતનગર શહેર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદથી વાતાવરણમાં રાહત મળી છે. સપ્તાહથી વરસાદની જોવાઈ રહી હતી રાહ.
-
-
અમદાવાદના ચાંદખેડામાંથી બે વિદેશી મહિલાની ધરપકડ
અમદાવાદના ચાંદખેડામાંથી પોલીસે બે વિદેશી મહિલાની ધરપકડ કરી છે. ગાંધીનગર -વિસત રોડના દેવ પેલેઝ હોટલ અને ગ્રીન ટ્રી હોટલમાંથી બે વિદેશી મહિલા પકડાઈ છે. તાન્ઝાનિયાની હેલ્લેના ન્યાગાલુ અને કેન્યાની મેગડેલાઇનંડુ નામની મહિલાની ધરપકડ કરી છે. બન્ને મહિલા વિઝા પૂર્ણ બાદ પણ ભારતમાં રહેતી હતી. મહિલા સલૂન કામ કરતી હતી. ચાંદખેડા પોલીસે બન્ને વિદેશી મહિલા ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી.
-
નર્મદા: રાજપીપલામાં બોમ્બની ધમકીને પગલે તપાસનો ધમધમાટ
નર્મદા જિલ્લાના રાજપીપલામાં મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી. સાવચેતીના ભાગરૂપે બંને કચેરીઓ તાત્કાલિક ખાલી કરાવી સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ લઈ લેવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક, PI, SOG સહિતની ટીમોએ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) સાથે મળીને સઘન તપાસ હાથ ધરી હતી. લાંબી તપાસ બાદ કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેના કારણે તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ધમકીભર્યો મેઈલ કોણે મોકલ્યો તેની તપાસ પોલીસ દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે.
-
ખેડા: ડાકોરના ઠાકોરની આજે 254મી રથયાત્રા નીકળી
-
-
CM ભૂપેન્દ્ર પટેલે જન્મદિવસે ત્રિમંદિરમાં કર્યા દર્શન
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે પોતાનો 65મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસરે ગાંધીનગર નજીક અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહોંચીને દાદા ભગવાનના દર્શન કર્યાં અને રાજ્યની સુખ, સમૃદ્ધિ તેમજ જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિરમાં પૂજા-અર્ચના કરી આધ્યાત્મિક આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન જન્મદિવસ નિમિત્તે રાજ્યભરના ભાજપ કાર્યકરો, સમર્થકો અને વિવિધ આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
-
સુરતની બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી
સુરત: બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે. બંને ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. બપોરે 1.15 સુધીમાં ઓફિસ ખાલી કરાવી દેવાનો ઈ-મેઈલમાં ઉલ્લેખ છે. સાઈનાઈડ ગેસ ભરેલ IED બોમ્બ વિસ્ફોટનો ઈ-મેઈલમાં ઉલ્લેખ છે. તમામ ઓફિસોને ખાલી કરાવી સઘન ચેકિંગ હાથ ધરાયું છે.
-
આણંદમાં નશાની હાલતમાં PI ઝડપાતા ચકચાર, બેફામ કાર હંકારી સર્જ્યા અકસ્માતો
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કચેરીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી.પી. વસાવા નશાની હાલતમાં ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. આરોપ છે કે PI વસાવાએ દારૂના નશામાં બોરસદ વિસ્તારમાં બેફામ કાર હંકારી ઉપરાછાપરી અકસ્માતો સર્જ્યા હતા. પ્રથમ બોરસદ નજીક એક કારને ટક્કર માર્યા બાદ વહેરા પાટિયા પાસે બાઈકને અડફેટે લેતા બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ પણ તેઓ કાર રોક્યા વગર નાપા તરફ ભાગી ગયા હતા. જોકે નાપા નજીક કાર એક દિવાલ સાથે અથડાઈ ઝાડીઓમાં ઉતરી જતા સ્થાનિક લોકોએ PI વસાવાને ઝડપી બોરસદ ગ્રામ્ય પોલીસને સોંપ્યા હતા. કારની તપાસ દરમિયાન પોલીસના બૂટ, ટોપી અને ઓળખપત્ર (ID કાર્ડ) પણ મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે અને મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
-
સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણી માટે મતદાન, 21 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા ગણાતી સુમુલ ડેરીની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 9 બેઠકો માટે યોજાઈ રહેલા મતદાનમાં સુરત જિલ્લાના ઓલપાડ બેઠક સહિત સુરતની 4 અને તાપી જિલ્લાની 5 બેઠકોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં કુલ 21 ઉમેદવારોનું રાજકીય અને સહકારી ક્ષેત્રનું ભાવિ મતપેટીમાં સીલ થશે. 9 બેઠકો માટે કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સુમુલ ડેરીના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવનારી આ ચૂંટણી પર સહકારી ક્ષેત્ર સાથે રાજકીય વર્તુળોની પણ નજર મંડાયેલી છે.
-
વડોદરામાં વેજના બદલે નોનવેજ બિરિયાની પહોંચતા ગ્રાહકનો હોબાળો
વડોદરાના નટુભાઈ સર્કલ સ્થિત બાર્બેક્યુ નેશન રેસ્ટોરન્ટમાં વેજ બિરિયાનીના બદલે ગ્રાહકને ભૂલથી નોનવેજ બિરિયાની ડિલિવર થતાં ભારે હોબાળો મચ્યો હતો. ગ્રાહકનો આક્ષેપ છે કે તેમણે સ્પષ્ટ રીતે વેજ બિરિયાનીનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ડિલિવરી પાર્ટનરે નોનવેજ બિરિયાની પહોંચાડી હતી. ભૂલની જાણ કરવા માટે ગ્રાહકે રેસ્ટોરન્ટમાં અનેક વખત ફોન કર્યો હોવા છતાં કોઈએ કોલ રિસિવ ન કરતાં તેઓ રોષે ભરાયા હતા અને સીધા રેસ્ટોરન્ટ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રાહકે જણાવ્યું કે તેઓ બ્રાહ્મણ પરિવારના હોવાથી આ પ્રકારની ગંભીર બેદરકારી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. ઘટનાને લઈને રેસ્ટોરન્ટમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
-
વાવ-થરાદમાં કેનાલ તૂટતાં ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાના વાવ-થરાદ તાલુકાના દેથળી ગામની સીમમાં આવેલી જાંદલા ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં 10 ફૂટથી વધુ મોટું ગાબડું પડતાં મોટી માત્રામાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ ઓવરફ્લો થવાના કારણે તે તૂટી છે, જ્યારે હલકી ગુણવત્તાના બાંધકામને પણ જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ દર વર્ષે બે-ત્રણ વખત કેનાલ તૂટવાની ઘટના બને છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. કેનાલ તૂટતાં જુવાર સહિતના ઉભા પાકને ભારે નુકસાન થયું છે અને વરસાદની ખેંચ વચ્ચે લાખો લિટર કિંમતી પાણી વેડફાતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
-
રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો
ખાદ્યતેલના વધતા ભાવને કારણે સામાન્ય લોકોના ઘરેલુ બજેટ પર ફરી એકવાર અસર જોવા મળી રહી છે. રાજકોટમાં સિંગતેલ, કપાસિયા તેલ તેમજ અન્ય ખાદ્યતેલોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 50નો વધારો થતાં ભાવ રૂ. 2,820 સુધી પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 30નો વધારો થતાં તેનો ભાવ રૂ. 2,670 થયો છે. ઉપરાંત સૂર્યમુખી અને મકાઈના તેલના ભાવમાં પણ રૂ. 10થી 30 સુધીનો વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ અનિયમિત વરસાદ, બિયારણની વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિને કારણે ખાદ્યતેલના ભાવમાં આ વધારો થયો છે.
-
પશ્ચિમ એશિયામાં ફરી તણાવ ચરમસીમાએ, ઇરાને અમેરિકી ઠેકાણાઓને બનાવ્યા નિશાન
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. જોર્ડન, બહેરીન અને કુવૈતમાં હુમલાઓ બાદ ઇરાને નવા તબક્કાના મિસાઇલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા હોવાનું સામે આવ્યું છે. ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે અમેરિકાના સૈન્ય મથકો અને શસ્ત્ર ભંડારોને નિશાન બનાવી સફળ હુમલા કરવામાં આવ્યા છે. બીજી તરફ, કુવૈતે દાવો કર્યો છે કે તેની હવાઈ સુરક્ષા પ્રણાલીએ ઇરાન દ્વારા છોડાયેલી અનેક મિસાઇલ અને ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. આ ઘટનાઓને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધી ગયો છે.
-
ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેનની એન્ટ્રી, ફ્રાંસને 2-0થી હરાવ્યું
ફિફા વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિફાઇનલમાં સ્પેને શાનદાર પ્રદર્શન કરતાં ફ્રાન્સને 2-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે સ્પેન 2010 બાદ પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલ રમશે અને બીજી વખત વિશ્વ ચેમ્પિયન બનવાની તક મેળવશે. બીજી તરફ, ફ્રાન્સને છેલ્લા 40 વર્ષમાં પ્રથમ વખત વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. સ્પેનની ઐતિહાસિક જીત બાદ દેશભરમાં સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જોરદાર ઉજવણી કરી હતી.
-
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ટૂંક સમયમાં આવશે તપાસ અહેવાલ: કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન
અમદાવાદમાં થયેલી દુઃખદ પ્લેન ક્રેશ ઘટનાને લઈને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અકસ્માતની તપાસનો અહેવાલ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માત્ર તપાસ પૂર્ણ કરવી જ નહીં, પરંતુ ઘટનાનું સાચું કારણ અને સત્ય બહાર આવે તે વધુ મહત્વનું છે. રામ મોહન નાયડુએ જણાવ્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ કરી રહ્યું છે અને દરેક પાસાની ગંભીરતાથી તપાસ કરીને તથ્યાધારિત અહેવાલ રજૂ કરવામાં આવશે.
Published On - Jul 15,2026 7:45 AM
