AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 ઓકટોબરના મહત્વના સમાચાર : ફોન કરીને બોલાવવા છતા કોર્પોરેટરો હાજર ના રહેતા, અમદાવાદમાં ભાજપના સાંસદ બગડ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2025 | 10:03 PM
Share

આજે 14 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

14 ઓકટોબરના મહત્વના સમાચાર : ફોન કરીને બોલાવવા છતા કોર્પોરેટરો હાજર ના રહેતા, અમદાવાદમાં ભાજપના સાંસદ બગડ્યા

આજે 14 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Oct 2025 08:47 PM (IST)

    ફોન કરીને બોલાવવા છતા કોર્પોરેટરો હાજર ના રહેતા, અમદાવાદમાં ભાજપના સાંસદ બગડ્યા

    અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલના સ્વાગત માટે ભાજપે બોલાવેલી બેઠકમાં, કોર્પોરેટરો હાજર ના રહેતા, અમદાવાદ પૂર્વના સાસંદ દિનેશ મકવાણા બગડ્યા હતા. મનપાની ચૂંટણી માથે છે આવા સમયે કોર્પોરેટરો પક્ષની બેઠકમાં હાજર ના રહે તે ઉચિત ના કહેવાય તેવો સૂર મકવાણાએ કાઢ્યો હતો. આ સમયે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મનપાની ચૂંટણી આવી રહી છે અને કોર્પોરેટરો બેઠકમાં હાજર ન રહે તે યોગ્ય નથી, તમને ફોન કરીએ છતાં હાજર નથી રહેતા, કોર્પોરેટરે જવાબદારી સમજી હાજર રહેવું જોઈએ તેમ દિનેશ મકવાણાએ કહ્યું હતું.

  • 14 Oct 2025 08:12 PM (IST)

    ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા આવતીકાલે આવશે રાજકોટ

    આવતીકાલ 15મી ઓક્ટોબરના રોજ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા રાજકોટ આવશે. રાજકોટ અને મોરબીના શહેર જિલ્લાના કાર્યકર્તાઓને સંબોધન કરશે. સાંજે 4.30 વાગ્યે હિરાસર એરપોર્ટ પર આગમન થશે. ભાજપના કાર્યકર્તાઓ જગદિશ વિશ્વકર્માનું સ્વાગત કરશે. ગ્રીનલેન્ડ ચોકડીથી યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ભવ્ય સ્વાગત સાથે કાર્યકર્તાઓ વિશ્વકર્માને આવકારશે.  તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ ભરત બોઘરાએ તૈયારીઓની સમિક્ષા કરી હતી.

  • 14 Oct 2025 07:52 PM (IST)

    રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના આરોપી મનસુખ સાગઠિયા જેલમાં નહીં ઘરે ઉજવશે દિવાળી, મળ્યાં જામીન

    રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના આરોપી મનસુખ સાગઠિયા દિવાળી પહેલા આવશે જેલ બહાર. તત્કાલિન TPO મનસુખ સાગઠિયાને દિવાળી પહેલા મોટી રાહત મળી છે. સાગઠિયા આવશે જેલ બહાર. ACB , ખોટી મિનિટ્સ બુક અને TRP ગેમઝોન અગ્નિકાંડમાં જામીન મળતા આવશે જેલ બહાર.

  • 14 Oct 2025 07:22 PM (IST)

    મહેસાણામાં પ્રેમલગ્નની અદાવતમાં અપહરણ કરી માર મારવાના કેસમાં, 3 આરોપીને આજીવન કેદની સજા

    મહેસાણામાં પ્રેમ લગ્ન કર્યાની અદાવતમાં અપહરણ કરી માર માર્યા બદલ 3 આરોપીને સજા ફટકારવામાં આવી છે. મહેસાણા એડિશનલ સેશન્સ કોર્ટે ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 2019માં  પ્રેમલગ્નની અદાવતમાં અપહરણ કરીને માર માર્યાના કેસ મહેસાણાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. એડિશનલ સેશન્સ કોર્ટે પટેલ ગોવિંદ, પટેલ સંજય અને પટેલ સમીર નામના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે જ્યારે એક આરોપીને નિર્દોષ છોડી મૂક્યો છે.

  • 14 Oct 2025 07:03 PM (IST)

    બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઇવે પર અકસ્માતમાં 2ના મોત

    બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા છે. ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ પાટીયા નજીક સર્જાયો અકસ્માત. ટ્રેલરટ્રક પલ્ટી ખાતા ટ્રેલરટ્રકમાં સવાર બે નીચે દટાઈ જતા ઘટના સ્થળે નિપજ્યા મોત. બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી મૃતકોને બહાર કાઢવાની તજવિજ હાથ ધરાઈ છે.

  • 14 Oct 2025 06:59 PM (IST)

    ગુજરાતમાં ખેડૂતોએ જે ક્રાંતિની શરૂઆત કરી છે તે ગાંધી ચિંધ્યા માર્ગે યથાવત રાખવા AAP નેતાઓની ખેડૂતોને અપીલ

    AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ, આગામી 16 ઓક્ટોબરથી અનશન પર બેસશે. નિર્દોષ ખેડૂત ભાઈઓને પોલીસ છોડી દે એ માંગ સાથે અમે અનશન કરીશું તેમ રાજુ કરપડાએ જણાવ્યું હતું. ખેડૂતોને પોલીસના અત્યાચારથી બચાવવા માટે, અમે પોલીસના તમામ અત્યાચાર સહન કરવા માટે તૈયાર છીએ. આગામી 16 તારીખે હું અને રાજુ કરપડા બે માંગણીઓ સાથે અમદાવાદના AAPના કાર્યાલય પર આમરણ ઉપવાસ પર ઉતરીશું તેમ પ્રવિણ રામે જણાવ્યું હતું. અમારી પ્રથમ માંગ છે કે ખેડૂતોની જે માંગણીઓ છે એ પૂરી કરવામાં આવે, બીજી માંગ છે કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા છે એમને છોડી દેવામાં આવે તેમપ્રવિણ રામે જણાવ્યું હતું.

    આગામી 31 ઓક્ટોબરે AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મહાપંચાયતમાં હાજરી આપશે. 31 ઓક્ટોબરની ખેડૂત મહાપંચાયતમાં ગુજરાતભરના ખેડૂતોએ હાજરી આપીને પોતાની તાકાત બતાવશે. શાંતિ પ્રિય રીતે ચાલી રહેલા ધરણા પ્રદર્શનમાં પોલીસે રાત્રે આવીને મને ઉઠાવ્યો હતો. મહાપંચાયતને રોકવા માટે અસંખ્ય ખેડૂતોની અને આમ આદમી પાર્ટીના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. શાંતિપ્રિય રીતે લોકો ઉભા હતા ત્યાં પોલીસે આવીને લાઠીચાર્જ કરીને લોકોને ઉશ્કેર્યા હતા. પોલીસના લાઠીચાર્જના કારણે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને બંને તરફ લોકો ઇજાગ્રસ્ત થયા.

    પોલીસે નિર્દોષ ખેડૂતોને માર માર્યો, ખેડૂતોના ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરી અને FIR કરી છે. પોલીસ પ્રશાસનને અમારાથી કંઈ વાંધો હોય તો મારા અને રાજુ કરપડા ઉપર પર લાઠીઓ વરસાવે, કરવી હોય એટલી ફરિયાદ કરો, નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ કરશો નહીં તેમ પ્રવિણ રામે જણાવ્યુ હતું. તમામ ખેડૂતોને અમારી અપીલ છે કે અમારા ગયા પછી આ જે ક્રાંતિની શરૂઆત થઈ છે એને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખજો.

  • 14 Oct 2025 06:54 PM (IST)

    TDOએ કવિતાની પંક્તિ ટાંકતા, ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો નારાજ

    ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં કૃષિ પરિ સંવાદ અને કૃષિ પ્રદર્શન 2025ના કાર્યક્રમમાં ખેડૂત નારાજ. મહુવા તાલુકા વિકાસ અધિકારીનાં વાણી વિલાસથી નારાજ થઈને ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જમણવારમાં એક ખેડૂતના કારણે ગુસ્સે ભરાયેલા TDO પ્રવીણ ભાઈ મકવાણા પોતાના સાહિત્યના અંદાજમાં ખેડૂતોની હાજરીમાં કહ્યું કે “સમજાવ્યા સમજે નહીં આ જનાવરની જાત કહે અખો ભગત આ શેની અમારી નાત” આ પ્રકારે TDO ના વાણી વિલાસથી નારાજ થયેલા ખેડૂતોએ સ્ટેજ પર ચડીને ભારે હંગામો મચાવ્યો હતો. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં એપીએમસીમાં પાછળ બેસેલા 20 જેટલા ખેડૂતોએ હતા જેમને આ વિરોધ કર્યો. આ કાર્યક્રમમાં કુલ 506 જેટલા ખેડૂત હાજર હતા. ખેડૂતોનું માનવું છે કે આ તાલુકા વિકાસ અધિકારીએ ખેડૂતોનું અપમાન કર્યું છે

  • 14 Oct 2025 06:29 PM (IST)

    રાજસ્થાનના જેસલમેરમાં મુસાફરોથી ભરેલી બસમાં લાગી આગ 12ના મોત

    મંગળવારે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો. જેસલમેરથી જોધપુર જતી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી. યુદ્ધ સંગ્રહાલય પાસે બસમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પૈકી 12ના સળગી જવાથી મોત થયાના અહેવાલ છે.

  • 14 Oct 2025 05:29 PM (IST)

    ગોપાલ ઈટાલીયાએ કહ્યું – કડદાબાજોના સમર્થનમાં આજે આખી ભાજપ ઉતરી આવી છે

    હડદડ ગામ મુદ્દે ભાજપ સરકારના મંત્રીના નિવેદન પર AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ કર્યો વળતો પ્રહાર. મંત્રી ઋષિકેશભાઇના કહેવા પ્રમાણે જો સભામાં સ્થાનિક માણસો ન હતા તો પોલીસે લોકોને ઘરમાં ઘૂસીને કેમ માર્યા? કડદાબાજોના સમર્થનમાં આજે આખી ભાજપ ઉતરી આવી છે. મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, ગૃહમંત્રી કડદા ઉપર શા માટે નિવેદન નથી આપતા ? આમ આદમી પાર્ટી કડદો કરનારાના વિરોધમાં લડાઈ લડી રહી છે. ભાજપના નેતાઓના કહેવાથી કડદાબાજોના સમર્થનમાં અને ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા.

  • 14 Oct 2025 04:49 PM (IST)

    ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરની ટિકિટ

    ભાજપે બિહાર ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 71 ઉમેદવારોના નામ સામેલ છે. ભાજપ બિહાર રાજ્યમાં 101 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં થશે. મતદાન 6 અને 11 નવેમ્બરે થશે. પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

  • 14 Oct 2025 04:17 PM (IST)

    આ અઠવાડિયે નિફ્ટી50 કેવું રહેશે?

    આવતી કાલ 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર એટલે કે આ અઠવાડિયે નિફ્ટી50 કેવું રહેશે તે અંગે અનુમાન લગાવવામાં આવ્યું છે.

  • 14 Oct 2025 04:10 PM (IST)

    આવતીકાલે 15 ઓક્ટોબરે નિફ્ટી 50માં વધારો થશે કે ઘટાડો? જાણો

    આવતીકાલે 15 ઓક્ટોબરે નિફ્ટી 50માં વધારો થશે કે ઘટાડો આ પ્રિડિક્શન છે જેના આધારે અમે આ ચાર્ટ બનાવ્યો છે.

  • 14 Oct 2025 02:46 PM (IST)

    અમદાવાદઃ નિકોલમાં પોલીસ કર્મચારીઓએ કરેલા તોડ મામલે 2 TRB જવાનની ધરપકડ

    અમદાવાદઃ નિકોલમાં પોલીસ કર્મચારીઓએ કરેલા તોડનો મામલે પોલીસે ઓળખ પરેડ કરી 2 TRB જવાનોની ધરપકડ કરી છે. તોડકાંડમાં વધુ પોલીસકર્મી અને TRB જવાનનું નામ ખુલ્યું. મુંબઈના વેપારીનો તોડ કરી 5.88 લાખ રૂપિયા પડાવ્યા હતા. વેપારીને ક્રિકેટ સટ્ટાના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. તોડના નાણા ખાનગી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા. નાણા અન્ય 3 એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ વોલેટમાં ટ્રાન્સફર થયા. પોલીસે એકાઉન્ટ માલિકો સામે તપાસ હાથ ધરી છે.

  • 14 Oct 2025 02:02 PM (IST)

    એડી. પ્રિન્સિપલ જજ એમ.પી પુરોહિત પર ફેંકાયું જૂતું

    અમદાવાદ સેશન્સ કોર્ટમાં પણ જૂતું ફેંકાયું. અમદાવાદ સેશન્સ કોર્ટમાં જજ પર જૂતું  ફેંકવામાં આવ્યું. એડી. પ્રિન્સિપલ જજ એમ.પી પુરોહિત પર જૂતું ફેંકાયું. ફરિયાદીની અપીલ કાઢી નાખતા જૂતું ફેંક્યું. પોલીસે જૂતું ફેંકનારની અટકાયત કરી. કેસના ફરિયાદી અને ન્યાયાધીશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.

  • 14 Oct 2025 01:48 PM (IST)

    જામનગરઃ શેરબજારમાં નફાની લાલચે ઠગાઈ કરાનાર ઝડપાચો

    જામનગરના ઠેબા ગામના એક યુવાન સાથે વોટ્સએપ મારફતે સંપર્ક કરી પોતાની ઓળખ ટ્રેડિંગ એડવાઈઝર તરીકે આપનાર આરોપીએ સ્કિમમાં રોકાણ કરાવાના બહાને 1.87 કરોડ રૂપિયાનું છેતરપિંડી કસરત અમલમાં મુકી. આરોપીએ બનાવટી વેબસાઈટ પર ખોટો નફો બતાવી વિશ્વાસ જમાવ્યો અને મોટું રોકાણ કરાવ્યું. જામનગર સાઇબર ક્રાઈમ સેલે આરોપીની પુણે, મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી છે અને હાલમાં પૂછપરછ ચાલુ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ લોકોને ચેતવણી આપી છે કે તેઓ અનિલાયક ટ્રેડિંગ સલાહકારોથી સાવધાન રહે.

  • 14 Oct 2025 12:04 PM (IST)

    અમદાવાદ: પાલડીના દેરાસરમાંથી 117 કિલો ચાંદીની ચોરી

    અમદાવાદ: પાલડીના દેરાસરમાંથી 117 કિલો ચાંદીની ચોરી થઇ છે. લક્ષ્મીવર્ધક દેરાસરમાં ભગવાનને ચઢાવેલ આંગીઓની ચોરી થઇ. ભગવાનના મુકુટ, કુંડલ સહિત ₹1.64 કરોડની ચાંદી ગાયબ થયા છે. પૂજારી અને સફાઈકર્મીઓએ જ હાથફેરો કર્યાના આરોપ છે. દેરાસરના CCTV બંધ કરી ચોરીને અંજામ અપાયો. ઘટના બાદથી પૂજારી અને સફાઈકર્મી ગાયબ થઇ ગયા છે. ટ્રસ્ટ દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

  • 14 Oct 2025 11:27 AM (IST)

    સુરતઃ દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો

    સુરતઃ દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો. પુણાગામમાં ખોડિયાર અને સૌરાષ્ટ્ર ડેરીમાંથી શંકાસ્પદ માખણ ઝડપાયું છે. નકલી માખણ વેચાતું હોવાની SOGને બાતમી મળતા તપાસ કરવામાં આવી. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા. 78 કિલો માખણનો જથ્થો સીઝ કરી નમૂના તપાસ માટે મોકલાયા છે. માખણનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે.

  • 14 Oct 2025 10:52 AM (IST)

    વડોદરાઃ ડભોઇમાં સિરપ પીધા બાદ લથડી બાળકોની તબિયત

    વડોદરાઃ ડભોઇમાં સિરપ પીધા બાદ બાળકોની તબિયત લથડી છે. કફ સિરપના સેવન બાદ બે બાળકોની તબિયત બગડ્યાનો દાવો છે. સિરપની બે બાળકો પર અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પ્રમુખ સ્વામી હોસ્પિટલના ICUમાં બાળકોની સારવાર ચાલી રહી છે. હાલ બંને બાળકોની તબિયત સ્થિર હોવાનો દાવો છે. સિરપ ક્યાંથી લવાઇ હતી તે અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

  • 14 Oct 2025 10:49 AM (IST)

    ભાવનગરમાં તબીબે આપઘાત કરતા ચકચાર

    ભાવનગરમાં તબીબે આપઘાત કરતા ચકચાર મચી છે. જાણીતા ENT ડોક્ટર રંગલાણીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો. સૂર્યદીપ કોમ્પલેક્ષમાં આવેલા પોતાના જ દવાખાનામાં જીવન ટુંકાવ્યું. આપઘાતને લઇને તબીબી આલમમાં ઘેરો શોક જોવા મળી રહ્યો છે.

  • 14 Oct 2025 09:54 AM (IST)

    મોરબી: અર્ધ સળગેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર

    મોરબી: અર્ધ સળગેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. હળવદ રોડ પર આંદરણા ગામ નજીકથી  મહિલાનો મૃતદેહ મળ્યો. મહિલાની હત્યા બાદ મૃતદેહને સળગાવી દેવાનો પ્રયાસ થયાની આશંકા છે. મૃતક મહિલાની ઓળખ અને મોતના કારણ અંગે તપાસ શરૂ કરાઇ. પોલીસ દ્વારા હત્યાની દિશામાં તપાસ હાથ ધરાઈ.

  • 14 Oct 2025 09:37 AM (IST)

    સુરતઃ ભટાર વિસ્તારમાં ફરી ભભૂકી આગ

    સુરતઃ ભટાર વિસ્તારમાં  આગ ફરી ભભૂકી ઉઠી. ગઇકાલે જ્યાં આગ લાગી હતી ત્યાં ફરી આગ લાગી. મનપાના ખુલ્લા પ્લોટમાં રાત્રે આગ લાગી. ફરી આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું છે.

  • 14 Oct 2025 09:26 AM (IST)

    ગુજરાત, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં 13 સ્થળોએ EDની તપાસ

    ગુજરાત, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં 13 સ્થળોએ EDની તપાસ ચાલી રહી છે. 2652 કરોડની છેતરપિંડી મામલે કોલકાતા EDની ટીમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. શ્રી ગણેશ જ્વેલરી હાઉસ લિમિટેડ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરાઇ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કાનૂની વ્યાવસાયિકો પર EDની તવાઇ. 25 અલગ અલગ બેંકોમાંથી મેળવેલી લોન મામલે CBIની ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન સંલગ્ન કંપનીઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા. મહત્વના દસ્તાવેજી પુરાવાઓ અને ડિજિટલ રેકોર્ડ પણ જપ્ત.

  • 14 Oct 2025 09:02 AM (IST)

    રાજકોટ: દિવાનપરા સ્થિત સોની બજારમાં મોડી રાત્રે આગ

    રાજકોટ: દિવાનપરા સ્થિત સોની બજારમાં મોડી રાત્રે આગ લાગી. આગની ઘટનામાં એક કારીગરનું મોત, અન્ય એક ઘાયલ છે. શ્રી હરી કોમ્પ્લેક્ષના પાંચમા માળે ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે. સોની કામ માટે દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી વિકરાળ આગ લાગી હતી. દુકાનમાં કુલ 10 લોકો કામગીરી કરી રહ્યા હતા.

  • 14 Oct 2025 07:48 AM (IST)

    RSSના વડા મોહન ભાગવત આજથી 3 દિવસ ગુજરાત મુલાકાતે

    RSSના વડા મોહન ભાગવત આજથી 3 દિવસ ગુજરાત મુલાકાતે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદમાં હેડગેવાર ભવનમાં સંઘના કાર્યકરો સાથે મુલાકાત કરશે. આવતીકાલે ગાંધીનગરમાં આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરશે.

  • 14 Oct 2025 07:39 AM (IST)

    ભાવનગરઃ મોડીરાત્રે આનંદનગર વિસ્તારમાં દુર્ઘટના

    ભાવનગરઃ મોડીરાત્રે આનંદનગર વિસ્તારમાં દુર્ઘટના બની. ગુણાતીત નગરમાં ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થયુ છે. કાટમાળમાં દટાઇ જતા એકનું મોત, 3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને શહેરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા છે. ધરાશાયી થયેલી બિલ્ડિંગ જૂની હોવાનો દાવો છે.

Published On - Oct 14,2025 7:35 AM

g clip-path="url(#clip0_868_265)">