07 જુલાઈના મહત્વના સમાચાર : અસામાજીક તત્વો સામે ગુજરાત પોલીસની લાલ આંખ, 586ના મકાનો તોડી પડાયા, 1857ના વીજ જોડાણ કાપી નખાયા
આજે 07 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 07 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગુજરાતમાં ટૂંક સમયમાં ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ 112 લાગુ કરાશે
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવનારા દિવસોમાં તમામ વિભાગોને સાંકળતી ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ લાગુ કરાશે. આ ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં એક જ ઈમરજન્સી ફોન નંબર જાહેર કરાશે. ટૂંક સમયમાં ગુજરાતમાં 112 ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ સ્થાપવામાં આવશે. જેના ભાગરૂપે આવનારા દિવસમાં 112 નંબર લાગુ કરવામાં આવશે.
-
અસામાજીક તત્વો સામે ગુજરાત પોલીસની લાલ આંખ, 586ના મકાનો તોડી પડાયા, 1857ના વીજ જોડાણ કાપી નખાયા
15 માર્ચના રોજ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનનોને 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી બનાવવા સૂચના આપવામાં આવી હતી. 15 માર્ચ થી 31 મેં સુધીમાં 586 અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. 1857 અસામાજિક તત્વોના ગેરકાયદેસર વીજકનેક્શન કાપવામાં આવ્યા છે. 434 અસામાજિક તત્ત્વોની જામીન રદ કરવાની કામગીરી કરવામાં આવી છે. 200 થી વધુ અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા હતા. 800 થી વધુ અસામાજિક તત્વોને પાસા કરવામાં આવ્યા છે. 1000 થી વધુ અસામાજિક તત્વોને તડીપાર કરવામાં આવ્યા છે.
-
-
ગુજરાતમાં વ્યાજખોર સામેની ઝુંબેશમાં મે મહિનામાં 74ની ધરપકડ
પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરી છે. મેં મહીનામાં વ્યાજખોરીની 43 ફરિયાદમાં 74 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેં મહિનામાં 35 લોનમેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
-
જૂનાગઢના ભેસાણમાં આવેલ શૈક્ષિણક સંકુલમાં બાળકો સાથે અડપલાં, ગૃહપતિ-આચાર્ય સામે પોક્સો હેઠળ નોંધાઈ ફરિયાદ
જૂનાગઢના ભેસાણમાં આવેલ અમર શૈક્ષિણક સંકુલમાં બાળકો સાથે અડપલાં કરવામાં આવ્યા હોવાના મામલે, હિરેન જોશી ગૃહપતિ અને કેવલ લાખોત્રા આચાર્ય સામે પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શાળા સંચાલકો દ્વારા અને બાળ કલ્યાણ સમાજ સુરક્ષા સમિતિ દ્વારા હાથ ધરાયેલ તપાસના અંતે ફરિયાદ કરાઈ છે. ટ્રસ્ટી મંડળ દ્વારા ફરિયાદ નોંધાઈ છે. ગૃહપતિ હિરેન જોશી અને આચાર્ય કેવલ લાખોત્રાને સંસ્થા દ્વારા પહેલા જ બરતરફ કરાયા છે. બાળ સુરક્ષા સમિતિ અધ્યક્ષ ગીતાબેન માલમ તપાસ દરમિયાન હાજર રહ્યાં હતા. શાળામાં અભ્યાસ કરતા કેટલાક બાળકો સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
-
વાડીનાર બંદરની જેટી પર દરિયામાં અનેક ઊંટ તણાઇ આવ્યા
દ્વારકામાં વાડીનાર બંદરની જેટી પર ઊંટ તણાઇ આવ્યા હતા. જેટી પર એક સાથે અનેક ઊંટ દરીયાઇ પાણીમાં તણાઇ આવતા તંત્ર ચોકી ઉઠ્યું હતું. સિંગચ ગામેથી ઊંટ તણાઇને આવ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વાડીનાર પોલીસને જાણ થતા ત્વરીત ઘટનાસ્થળે ટીમ પહોચી હતી. દરિયાઈ પાણીમાં તણાઈને આવેલ ઊંટ સિંગચ ગામના માલધારીના હોવાનું અનુમાન છે. પોલીસે સ્થાનિક માલધારીઓને બોલાવી ઊંટનું રેસ્ક્યૂકાર્ય હાથ ધર્યુ હતું.
-
-
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, 50 દિવસમાં બે બાળકના મોત
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. આ વાયરસના કારણે છેલ્લા 50 દિવસમાં બે બાળકના મોત થયા છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કુલ ત્રણ કેસ નોંધાયા છે. જેમાંથી ગળતેશ્વર અને નડિયાદ તાલુકાના એક-એક બાળકનું મોત થયું છે. ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિને જોતાં ખેડા જિલ્લાનું આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે. ચાંદીપુરા વાયરસના વધુ ફેલાવાને રોકવા માટે અલગ અલગ ટીમો બનાવીને સર્વેની કામગીરી ચાલી રહી છે. જિલ્લાના બાળરોગ નિષ્ણાતોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેથી શંકાસ્પદ કેસોને તાત્કાલિક ઓળખી શકાય અને યોગ્ય સારવાર આપી શકાય. વાયરસના સંભવિત સ્ત્રોતોને નાબૂદ કરવા માટે પણ પગલાં લેવાઈ રહ્યા છે. ખાસ કરીને માટીવાળા ઘરોમાં સર્વે કરીને દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ વાયરસ ફેલાવતા મચ્છરો અને અન્ય જીવાતોના નિયંત્રણ માટે આ અત્યંત મહત્વપૂર્ણ છે.
-
દેશભરમાં ભારે ટીકા થયા બાદ પાલતુ શ્વાનની નોંધણી મુદે સુરત મનપાની પીછેહઠ
સુરત મહાનગરપાલિકાએ, પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશન અંગે પડોશીઓ અને સોસાયટી કે ફ્લેટના ચેરમેનની એનઓસી માંગી હતી. આના કારણે સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશમાં વગોવાયું હતું. જેના પગલે, આખરે સુરત મહાનગરપાલિકાએ પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશનના નિયમ મામલે પીછેહઠ કરી છે. સુરતમાં પાલતુ શ્વાનની નોંધણીની કામગીરી હાલ પુરતી સ્થગિત કરાઈ છે. શ્વાન માલિકો, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય અને મનપા કમિશનરની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શહેરમાં થતા સતત વિરોધ બાદ હવે નિયમનો અભ્યાસ કરવામાં આવશે. એનિમલ વેલ્ફેરના નિયમોને ધ્યાનમાં લઈને જ નવો નિયમ બનાવવામાં આવશે તેમ પણ સુરત મનપાએ જણાવ્યું છે.
-
સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં વરસાદ, સૌથી વધુ આણંદના બોરસદમાં સાડા ત્રણ ઈંચ
ગુજરાતમાં આજે સોમવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વરસાદ આણંદના બોરસદમાં સાડા ત્રણ ઇંચ સુધીનો નોંધાયો છે. બોરસદમાં ચારથી છ સુધીના બે કલાકમાં જ આશરે સાડાત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. પંચમહાલના ગોધરામા સાંજના 4થી 6 સુધીના બે કલાકમાં 2 ઈંચ વરસાદ તુટી પડ્યો હતો.
-
રાજકોટ-TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના 7 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ કેસના 7 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટમાં TRP ગેમઝોનના માલિક ધવલ ઠક્કર, TRP ગેમઝોનના મેનેજર નિતીન લોઢા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, ટીપી શાખાના ઇજનેરો ગૌતમ જોષી, જયદિપ ચૌધરી, રાજેશ મકવાણા અને રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી છે.
-
કચ્છ જિલ્લામાં વરસાદને કારણે 15 માર્ગો ધોવાઈ ગયા
કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર આણંદ પટેલએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી કચ્છના 15 માર્ગોનું ધોવાણ થયું છે. ધોવાણ થયેલા રસ્તાઓ ફરી જલદી કાર્યરત થાય તે માટે સૂચના અપાઈ છે. ભારે વરસાદ વચ્ચે માનવ કે પશુ મૃત્યુના બનાવો સામે આવ્યા નથી. સારા વરસાદથી કચ્છમાં 5 મધ્યમ અને 19 નાની સિંચાઈના ડેમમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદી માહોલને ધ્યાને રાખી તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. ભારે વરસાદ આગાહીને લઈ જિલ્લામાં 1 NDRF ની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. જોખમી નદી, નાળા, તળાવ અને ડેમમાં લોકોને નાહવા ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.
-
રૂપિયા 29 લાખ આપીને કબૂતરબાજીથી પણ વિદેશ જઈ ના શકતા વિજાપુરના યુવાને કર્યો આપઘાત
લાખો રૂપિયા આપીને વિદેશ જવાની ઘેલછામાં એક યુવાને આત્મ હત્યા કરી લીધી છે. વિજાપુરના રણાસણ ગામના યુવાને કબૂતબાજીથી વિદેશ જવા માટે રૂપિયા 29 લાખ મોતીપુરાના યુવાનને આપ્યા હતા. આ યુવાને વિદેશ ના મોકલ્યો કે રૂપિયા પણ પરત ના આપતા, વિદેશ જવાની ઘેલછા ધરાવનાર રણાસણના યુવાને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે. જાપુરના મોતીપુરાના પટેલ ધાર્મિક સુરેશભાઈ નામના શખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વિજાપુર પોલીસે ફરિયાદના આઘારે, આરોપી શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
જામનગરના ધ્રોલમાં ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત
જામનગર જિલ્લાના ઘ્રોલમાં એક યુવતીએ ગળાફાંસો ખાઈને જીવનલીલી સંકેલી લીધી છે. પ્રેમીએ લગ્નની હા કહ્યા બાદ ફરી જતા યુવતીએ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી છે. પ્રેમી અને અન્ય બે મહિલાઓના ત્રાસ અને મરવા મજબુર કરવા અંગે ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બે માસ પહેલા લગ્નની ના પાડતા યુવતીએ ફિનાઈલ પી કર્યો હતો આપઘાતનો પ્રયાસ. યુવતી સાથે મિલન કંટારીયા પ્રેમ સંબંધ બંધાયો હતો. અન્ય આરોપી રેખાબેન રમેશભાઈ ચાવડા અને કંકુબેન દેવજીભાઈ ચાવડાએ આપઘાત કરનાર યુવતીને કહ્યું હતું કે તારે જે કરવું હોય તે કરી લે, મરવું હોય તો મરી જાજે તેમ કહી મરવા માટે મજબુર કરતા મધુબેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. પોલીસે ત્રણેય આરોપી સામે મરવા મજબૂર કર્યાનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
-
દ્વારકામાં લારી ગલ્લા હટાવો ઝુંબેશ સામેની લડતને કોંગ્રેસના નેતાઓનો મળ્યો ટેકો
દ્વારકામાં છેલ્લા 11 દિવસથી લારી ગલ્લાઓ હટાવવાની સરકારી ઝુંબેશ સામે પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે. આ આંદોલનને ખેડૂત નેતા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયા એ ટેકો આપી આંદોલનને વેગવાન બનાવ્યું છે. આજે જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે પાલ આંબલિયા, લાલજી દેસાઈ, ગિરધર વાઘેલા, જે પી મારવિયા, સહિતના કોંગ્રેસના નેતાઓ, પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. જિલ્લા અને રાજ્યના પ્રશ્નો અંગે ઉપાવશી છાવણીમાં બેસી ભાજપના નેતાઓ અને તંત્રની કામગીરીને વખોડી અને સ્થાનિક નેતાઓના બાંધકામનો ખુલ્લી ને વિરોધ કર્યો.
-
ભુજના નાગોર રેલવે બ્રિજ પાસે પાણીમાં ડુબવાથી 2 ના મોત
કચ્છ ભુજના નાગોર રેલવે બ્રિજ પાસે પાણીમાં ડુબવાથી 2 ના મોત થયા છે. નાગોર રેલવે બ્રિજ પાછળ પાણીના ખાડામાં ડુબવાથી કિશોરી અને યુવતીના મોત થયા છે. 16 વર્ષીય કિશોરી અને 18 વર્ષીય યુવતીનું મોત થયું છે. 108 દ્વારા ભુજની જી કે જનરલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કરી છે.
-
38 વર્ષીય મહિલાનું ઝાડા અને ઊલટી થયા બાદ મોત
સુરતમાં પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળો વકરતાં ભૈયાનગર, પુણાગામમાં રહેતી 38 વર્ષીય મહિલાનું ઝાડા અને ઊલટીના લક્ષણો વચ્ચે મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, મહિલાને છેલ્લા કેટલાક દિવસથી ઝાડા-ઊલટીની સમસ્યા હતી અને સારવાર દરમિયાન તેનું અવસાન થયું. ચિંતાની વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસમાં આ જ લક્ષણોથી શહેરમાં ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે, જેના પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
-
અમદાવાદ બ્રાંચનું CA ફાઈનલનું પરિણામ 19.35 ટકા
CA ફાઉન્ડેશન ઇન્ટરમિડીએટ અને ફાઈનલનું પરિણામ જાહેર થયુ છે. અમદાવાદ બ્રાંચનું CA ફાઈનલનું પરિણામ 19.35 ટકા છે. નવેમ્બરમાં લેવાયેલ પરીક્ષા કરતા પરિણામ 3.86 ટકા વધુ છે. ઓલ ઈન્ડિયા લેવલનું પરિણામ 18.75% જાહેર થયું. દેશ ભરમાંથી 14247 વિદ્યાથીઓ CA માટે ક્વોલિફાય થયા. અમદાવાદના બે વિદ્યાર્થીઓ એ ટોપ 50 માં સ્થાન છે. પ્રિયલ જૈન 18 મો રેન્ક જ્યારે પાર્થ શાહે 28 મો રેન્ક મળ્યો. અમદાવાદ સેન્ટર નું CA ફાઉન્ડેશનનું પરિણામ 13 ટકા જ્યારે ઓલ ઇન્ડિયાનું પરિણામ 15.09% છે. CA ઇન્ટરમિડીએટનું અમદાવાદ બ્રાન્ચનું પરિણામ 10.62 ટકા છે. CA ઇન્ટરમિડીએટનું ઓલ ઇન્ડિયા પરિણામ 13.22 ટકા.
-
ડિજિટલ અરેસ્ટના આરોપીઓ સકંજામાં
અમદવાદના કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટ નામે રૂપિયા પડવનાર 2 આરોપી ઝડપાયા છે. આરોપીઓએ પોતે મુંબઈ પોલીસની ઓળખ આપી નિવૃત્ત સરકારી કર્મચારીને તેમનું આધાર કાર્ડ આંતકવાદી પ્રવૃત્તિમાં વપરાયો હોવાની ધમકી આપી અને જો તેઓ આ કેસથી બચવા માગતા હોય તો ત્રણ લાખ રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું. ત્યારે વૃદ્ધે ધરપકડથી બચવા પોતાન મરણમૂડી 3 લાખ રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરે છે. પરંતુ આરોપીઓએ વધુ 7 લાખની માંગણી કરી. નિવૃત્ત કર્મચારી પાસે વધુ પૈસા ન હોવાથી તેણે પરિવારને જાણ કરી અને સમગ્ર હકીકત સામે આવી. ત્યારે પરિવાર દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા અમદાવાદથી બે આરોપી કરી ધરપકડ કરવામાં આવી છે.
-
13 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
13 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અત્યાર સુધી રાજ્યમાં સામાન્યથી 112 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. હાલ રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય હોવાની માહિતી છે.
-
અરવલ્લીઃ માલપુર અને મોડાસામાં ભારે વરસાદ બાદ હાલાકી
અરવલ્લીઃ માલપુર અને મોડાસામાં ભારે વરસાદ બાદ હાલાકી થઇ રહી છે. વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાયા છે. સાકરીયા, માથાસુલીયા, ટીસ્કી પંથકના ખેતરો બેટમાં ફેરવાયા. મકાઈ, બાજરી, જુવારનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે. ખેડૂતોને ચોમાસુ ખેતીથી હાથ ધોવાનો વારો આવ્યો છે.
-
ચરોતરની શેઢી નદીના જળસ્તરમાં વધારો થયો
ખેડાઃ ઉપરવાસમાં વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. ચરોતરની શેઢી નદીના જળસ્તરમાં વધારો થયો. નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદી બે કાંઠે વહેતી થઈ. કાંઠાગારાના ગામડાઓમાં નદીના પટમાં ન જવા તંત્રએ અપીલ કરી. ગળતેશ્વર, ઠાસરા, મહુધામાંથી શેઢી નદી નીકળે છે. નડિયાદ, મહેમદાવાદ અને ખેડા તાલુકામાંથી શેઢી નદી પસાર થાય છે.
-
સુરત જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ જીવંત બની
સુરત જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ જીવંત બની છે. કીમના ઉપરવાસમાં વરસાદથી નદી-ડેમોમાં પાણીની આવક વધી. સુરત અને ભરૂચ જિલ્લાની જીવાદોરી સામાન કીમ નદી બે કાંઠે વહેતી થઇ છે. કીમ નદીના પાણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માંગરોળના મોટા બોરસરા ગામે બેરલ બ્રિજ સુધી કીમ નદી વહી રહી છે.
-
વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગીર સોમનાથની વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાઈ. બૉમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વેરાવળ કોટઁને ઉડાડી દેવાની ધમકીનો ઇમેલ મળ્યો છે.
-
ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ધોધમાર વરસાદ
ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરાખંડમાં અલકનંદા નદી ભયજનક સપાટીની ઉપર છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે,. દિલ્લી-NCRમાં સવારથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ‘ધોધમાર’ બાદ સ્થિતિ વણસી છે.
-
કચ્છઃ ભારે વરસાદ બાદ નદી-નાળા છલકાયા
કચ્છઃ ભારે વરસાદ બાદ નદી-નાળા છલકાયા છે. કચ્છના મધ્યમ સિંચાઈ યોજનાના ડેમ છલકાયા. સિંચાઈ માટે જીવાદોરી સમાન કાયલા ડેમ ઓવરફ્લો થયો. પાવરપટ્ટીના ઝુરા, જતવાંઢ, પાલનપુર અને લોરિયા ગામો માટે જીવાદોરી નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. નદીપટમાં અવરજવર ન કરવા તંત્રએ અપીલ કરી.
-
કચ્છના કંડલા પોર્ટ પાસે કેમિકલ જહાજમાં બ્લાસ્ટ
કચ્છના કંડલા પોર્ટ નજીક મિથેલોન રાસાયણ ખાલી કરતી વખતે ‘ફૂલદા’ નામના કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થયો, જેના કારણે જહાજ એક બાજુ નમી ગયું અને આગળના ભાગને ગંભીર નુકસાન પહોંચ્યું, જોકે સદનસીબે જહાજમાં હાજર તમામ 21 ક્રુ-મેમ્બર સુરક્ષિત રહ્યા અને ઘટના બાદ મેરિટાઈમ રિસ્પોન્સ સેન્ટર તથા કોસ્ટગાર્ડ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગયા.
-
24 કલાકમાં 209 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
24 કલાકમાં 209 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં ‘ધોધમાર’ વરસાદ વરસ્યો. સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.18 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના સુબીરમાં 5.28 ઈંચ, કચ્છના ભુજમાં 5 ઈંચ વરસાદ, સુરતના બારડોલીમાં 4.92, પલસાણામાં 4.45 ઈંચ વરસાદ, કુલ 31 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. 79 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. આજે નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
-
અમદાવાદને મળશે નવી DEO કચેરી
વધતી સ્કૂલો, વધતુ કામના ભારણ અને જગ્યાના અભાવને જોતા અમદાવાદમાં નવી DEO કચેરી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ DEO એમ બે અલગ અલગ DEO કચેરી બનાવવાનું આયોજન છે. જે અંગે શિક્ષણ વિભાગે DEO પાસેથી પૂર્વ વિસ્તારની શાળાઓની વિગતો માંગી છે. ત્યારે નવી કચેરીના નિર્માણથી વાલીઓને ધરમધક્કા ખાવામાંથી તો મુક્તિ મળશે જ, સાથે સાથે અમદાવાદ શહેર અને ઔડાનો વિસ્તાર વધતા DEOનું ભારણ ઘટશે. ત્યારે સરકારના આ નિર્ણયને શાળા સંચાલક મંડળે આવકાર્યો છે.
-
બિહારઃ કટિયારમાં મોહરમના જુલુસ દરમિયાન હિંસા
બિહારઃ કટિયારમાં મોહરમના જુલુસ દરમિયાન હિંસા થઇ. મંદિર પર પથ્થરમારાની ઘટના બાદ મામલો બિચક્યો. અલગ અલગ બે કોમના ટોળા આમનેસામને આવ્યા. બંને જૂથોના ટોળાઓનો સામસામે ભારે પથ્થરમારો થયો. હિંસક ટોળાએ અનેક વાહનોમાં તોડફોડ કરી. હિંસા બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો.
-
નવસારીઃ પૂર્ણા નદીએ વટાવી ભયજનક સપાટી
નવસારીઃ પૂર્ણા નદીએ વટાવી ભયજનક સપાટી વટાવી છે. પૂર્ણા નદીએ 25 ફૂટની ભયજનક સપાટી વટાવી. પૂર્ણા નદીનું જળસ્તર વધતા સ્થાનિક તંત્ર એલર્ટ પર છે. ભેંસત ખાડા વિસ્તારમાં 4 ફૂટથી વધુ પાણી ભરાયા. મહાનગર પાલિકા દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાયો. નવસારીમાં તંત્ર દ્વારા SDRFની ટીમોની તૈનાતી રાખવામાં આવી. નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી. ભેંસતખાડા, ગધેવાન, રીંગરોડ, બંદર રોડ વિસ્તારોમાં એલર્ટ કરાયા.
Published On - Jul 07,2025 7:32 AM





