05 જાન્યુઆરીના મહત્વના સમાચાર : સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યા પાટીદાર અગ્રણીઓ, વરૂણ પટેલ, મનોજ પનારા સહિતનાએ કલેક્ટરને ખોટી રીતે ફસાવ્યાનો લગાવ્યો આરોપ
Gujarat Live Updates : આજ 05 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 05 જાન્યુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ફરી રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, 9 જાન્યુથી જોવા મળશે કાળા વાદળો
રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે. 13 જાન્યુઆરીથી રાજ્યમાં માવઠાની શક્યતા છે.
-
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ વધતા પાણીપુરીની લારીઓ કરાવી બંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો વધતા મનપાએ પાણીપુરી અને ઠંડા પીણાંની 100 થી વધુ લારીઓ તાત્કાલિક અસરથી બંધ કરાવી છે..ગાંધીનગર શહેરમાં વધી રહેલા પાણીજન્ય રોગચાળા અને ખાસ કરીને ટાઈફોઈડના કેસોને ધ્યાનમાં રાખીને, જાહેર સ્વાસ્થ્યના હિતમાં મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મનપાની એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ડ્રાઇવ યોજીને શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થો વેચતી લારીઓમાં રહેલા અખાદ્ય ચીજવસ્તુના નાશ કર્યો છે.
-
-
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન NA કૌભાંડ મામલે SIT ની રચના
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન NA કૌભાંડ મામલે ACB દ્વારા 6 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. SITમાં ACBના નાયબ નિયામક, 2 મદદનીશ નિયામક, 3 PIનો સમાવેશ થાય છે. ACBમાં અપ્રમાણસર મિલકત અને લાંચની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. કલેક્ટર, નાયબ મામલતદારની અપ્રમાણસરની મિલકતની હાથ ધરી તપાસ. EDની કાર્યવાહી બાદ ACBમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ અને પી.એ. જયરાજસિંહ ઝાલાની અપ્રમાણસર મિલકત અને લાંચની કલમ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.
-
અમદાવાદ: કાર ચાલકની નિર્દયતાથી ગલુડિયાનું થયું મોત
અમદાવાદ: કાર ચાલકની નિર્દયતાથી શ્વાનના બચ્ચાનું મોત થયુ છે. રાણીપમાં પાર્કિંગમાં સૂતેલા ગલુડિયા પર ચાલકે કાર ચડાવી દીધી, ચાલકની ગંભીર બેદરકારીથી કાર નીચે સૂતેલા શ્વાનમાં અફરા તફરી મચી ગઈ હતી. જેમાથી એક શ્વાનના બચ્ચાનું મોત થયુ છે. પોલીસે CCTVના આધારે 58 વર્ષીય આધેડ સામે ગુનો નોંધ્યો છે.
CCTVમાં જોઈ શકાય છે કે કાર ચાલક આવે છે અને કારની આજુબાજુ તપાસ કર્યા વગર જ કાર ચાલુ કરીને નિકળી જાય છે. કાર ચાલકની બેદરકારીના લીધે કાર નીચે બેઠેલા શ્વાનના પરિવારમાં અફરા-તફરી મચે છે. અંદાજે 2 જેટલા શ્વાન પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે. પરંતુ એક નાનકડુ ગલુડિયા પરથી કારના ટાયર ફરી વળતાં તેનું મોત નિપજ્યુ. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થાય છે. પોલીસે કાર ચાલક 58 વર્ષીય આધેડ સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
ભવનાથમાં અશોક શિલાલેખ નજીક આવી ચડ્યા બે સિંહો
સાવજના શહેર એવા જુનાગઢમાં તમે ફરતા હો અને સાવજનો ભેટો થાય તે કોઈ નવી વાત નથી…પણ રોડ પર બે સાવજ અચાનક જ આવી ચડે ત્યારે શું સ્થિતિ થાય તેનો એક વીડિયો વાયરલ થયો છે. ભવનાથ તળેટી પાસેનો આ વીડિયો છે. અહિં અશોક શિલાલેખ પાસેથી બે સિંહો રસ્તો પસાર કરી રહ્યાં હતા. જો કે વાહન ચલાકે પણ બ્રેક મારી સિંહ સાથેનો અકસ્માત ટાળ્યો હતો. ભવનાથ તળેટીમાં રહેતા લોકોને આ પ્રકારે સિંહ સાથે અવારનવાર ભેટો થતો હોય છે.
-
-
વડોદરા: વાઘોડિયામાં સિટી બસનો અકસ્માત
વડોદરા: વાઘોડિયામાં સિટી બસનો અકસ્માત સર્જાયો છે. બસ ટ્રેલર સાથે ભટકાતા એક મુસાફરનું મોત થયુ છે. રાવળ ત્રણ રસ્તા પાસે સિટી બસનો અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી આજવા તરફ જતી સિટી બસનો અકસ્માત થયો હતો. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ટ્રેલર સાથે ભટકાઈ હતી. બસમાં સવાર મહિલા મુસાફરનું મોત થયુ હતુ. અકસ્માતમાં અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ સિટી બસનો ચાલક ફરાર થયો છે. વાઘોડિયા પોલીસ અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.
-
જુનાગઢ: માળિયાહાટીનામાં લોહી તરસ્યા દીપડાએ કર્યો હુમલો
જુનાગઢમાં માળિયાહાટીનામાં લોહી તરસ્યા દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો. પીપળવા ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો. ત્રણ દીપડાઓએ બાઈક પર જતાં ખેડૂત પર હુમલો કર્યો. મોબાઈલ પર વાત કરતાં સમયે દીપડાએ તરાપ મારી. હુમલા બાદ ખેડૂત બાઈક પરથી નીચે પટકાયો. ખેડૂતને મોઢા, ગળા તેમજ ગાલના ભાગે ઈજા આવી છે. દીપડાના હુમલાની વધુ એક ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
-
દમણ: રફ્તારના રાક્ષસે લીધો એક યુવકનો ભોગ
રફ્તારના રાક્ષસો બેફામ બનીને અવાર-નવાર નિર્દોષોનો જીવ લેતા હોય છે. તેવામાં દમણના ખારીવાડ વિસ્તારમાં રફ્તારના રાક્ષસે 21 વર્ષીય યુવકનો જીવ લીધો છે.. દમણથી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડીએ વાપી તરફથી આવતી કારને અડફેટે લેતા કાર ચાલકનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું.. બંને કાર ધડાકાભેર અથડાતા વાપી તરફથી આવતી કારમાં સવાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.. જે બાદ તેનું હોસ્પિટલ પર લઈ જતાં સમયે મોત નિપજ્યું હતું… મૃતક વાપીના મહિલા એડવોકેટનો એકનો એક પુત્ર હતો… ચોંકાવનારા અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે…
-
બનાસકાંઠા: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું સોનાનું દાન
બનાસકાંઠા: અંબાજી મંદિર ટ્રસ્ટને સોનાનું દાન મળ્યું છે. મંદિર ટ્રસ્ટને 263 ગ્રામનો સોનાનો હાર દાનમાં મળ્યો છે. રાજકોટના શ્રદ્ધાળુ દ્વારા 33.13 લાખની કિંમતનો હાર દાન કરાયો છે. હારના દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખી માતાજીને દાન અર્પણ કર્યુ છે.
વધતા જતાં સોનાના ભાવ વચ્ચે પણ યાત્રાધામ અંબાજીમાં સોનાના દાનનો પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે. મંદિર ટ્રસ્ટને રાજકોટના એક શ્રદ્ધાળુ દ્વારા 263 ગ્રામ સોનાના હારનું દાન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુએ પોતાનું નામ ગુપ્ત રાખીને માં અંબાને 33.13 લાખની કિંમતનો સોનાનો હાર અર્પણ કર્યો છે. મંદિરના ઈન્સ્પેક્ટર દ્વારા આ હાર સ્વીકારવામાં આવ્યો. મહત્વનું છે કે આ અગાઉ પણ મંદિર ટ્રસ્ટને 43.51 લાખની કિંમતના સોનાના મુગટનું દાન મળ્યું હતું.
-
રાજકોટ: ચડ્ડી બનિયાન ગેંગનો રૂરલ ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ
રાજકોટ: ચડ્ડી બનિયાન ગેંગનો રૂરલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ પડધરી તાલુકામાં કારખાનામાં ચોરી કરી હતી. દાહોદની ચડ્ડી બનિયાન ગેંગ રાજકોટમાં ચોરીને અંજામ આપતી હતી. કારખાના, દુકાન અને ફેક્ટરીઓની રેકી કરી ચોરી કરતાં હતા. પોલીસે તપાસ કરી 3 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે જ્યારે વધુ 6 શખ્સો ફરાર થયા છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દાહોદની ચડ્ડી બનિયાન ગેંગનો પર્દાફાશ કર્યો છે. ચડ્ડી બનિયાન ગેંગના શખ્સોએ દુકાન, કારખાના અને ફેક્ટરીઓને નિશાન બનાવતા. સાથે જ મોંઘામાં મોંઘા તાળાને પળવારમાં તોડીને ચોરીને અંજામ આપતા. આરોપીઓએ પડધરી તાલુકાના કારખાનામાં ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે કાર્યવાહી કરતાં આરોપીઓ દ્વારા 3 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.. પોલીસે સમગ્ર મામલે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ 6 શખ્સોની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
-
દમણના ડાભેલની કંપનીમાં ભીષણ આગ
દમણના ડાભેલની કંપનીમાં ભીષણ આગ લાગી છે. ટોટલ પેકેજીંગ નામની કંપનીમાં લાગી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બાજુમાં આવેલી યસ પેકેજીંગમાં પણ આગ પ્રસરી હતી. આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. કંપની પ્લાસ્ટિક પેકેજીંગ મટીરીયલ બનાવે છે. દમણ, વાપી સહિતની 7થી વધુ ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કંપનીમાં કામ કરતા કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા.
-
બગદાણાના સેવક પર હુમલાની ઘટનાના પોરબંદરમાં પડઘા
ભાવનગરમાં બગદાણાના સેવક પર થયેલા હુમલાની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ પોરબંદરમાં સમસ્ત કોળી સમાજના જિલ્લાના આગેવાનોએ એકઠાં થઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું અને કોળી સમાજના યુવાન પર હુમલો કરનાર શખ્સો અને કાવતરામાં સંડોવાયેલા તમામ સામે ફરિયાદ નોંધવા માગ કરી. આ સમયે જિલ્લાભરમાંથી કોળી સમાજના આગેવાનો સહિત યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
-
અમદાવાદ: માંડલમાં સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં ઉઠ્યો અવાજ
અમદાવાદ: માંડલમાં સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદાર સમાજમાં અવાજ ઉઠવાની શરૂઆત થઈ છે. કેટલાક પાટીદાર અગ્રણીઓ સસ્પેન્ડેડ કલેક્ટરના સમર્થનમાં આવ્યા છે અને રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાના આરોપ લગાવ્યો છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરે સમર્થન આપતી પાટીદારો રેલી કાઢી હતી. પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓએ રાજેન્દ્ર પટેલને સમર્થન જાહેર કર્યું છે. કલેક્ટરને ખોટી રીતે ફસાવ્યા હોવાનો પાટીદાર અગ્રણી વરૂણ પટેલે આરોપ લગાવ્યો છે. વરૂણ પટેલ સાથે મનોજ પનારા અને ગીતા પટેલ સહિતના અગ્રણીઓ સમર્થનમાં આવ્યા છે.
-
બગદાણામાં યુવકને માર મારવાના કેસમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સંયુક્ત રજૂઆત
બગદાણામાં યુવકને માર મારવાના કિસ્સાના રાજકીય પડધા ગાંધીનગરમાં પડી રહ્યાં છે. આજે કોળી સમાજના ધારાસભ્યો પક્ષાપક્ષીથી પર રહીને મુખ્ય પ્રધાનને રજૂઆત કરી. નાદુરસ્ત તબિયત ધરાવતા પુરષોત્તમ સોલંકી, તેમના લઘુ બંધુ હિરા સોલંકી, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાં, વિમલ ચુડાસમા, અમદાવાદ જિલ્લાના કાળુભાઈ ડાભી, મહુવાના આર સી મકવાણા, બાટદાના ઉમેશ મકવાણા, તળાજાના ગૌતમ ચૌહાણ અને સાણંદના કનુભાઈ પટેલ તેમજ કુવરંજી બાવળિયાએ ભેગા થયા છે.
-
બગદાણા યુવકને માર મારવાનો મુદ્દો હવે આહીર vs કોળી સમાજનો બન્યો
બગદાણા યુવકને માર મારવાનો મુદ્દો હવે આહીર vs કોળી સમાજનો મુદ્દો બની રહ્યો છે. ગાંધીનગર ખાસે સીએમૉના નિવાસસ્થાને થોડી વારમાં બેઠક યોજાશે. સીએમ સાથે બેઠક પહેલા નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી એ વીડિયો કોંફરન્સ થી બેઠક યોજી હતી. પોલીસ વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવા આપવામા આવ્યું આશ્વાસન. હવે cm સાથે આગેવાનોની બેઠક યોજાશે. બેઠકમાં ભાગ લેવા માટે, ભાજપ સાથે કોંગ્રેસ તથા આપના આગેવાનો પણ હાજર રહ્યાં છે.
-
ડુમ્મસના દરિયામાં લાગરતા જહાજોમાંથી ડિઝલ ચોરીનુ કૌંભાડ પકડાયું, ક્રુ મેમ્બર-કંપનીના કર્મચારીઓની મિલીભગત હોવાની પોલીસને શંકા
સુરતના ડુમ્મસના દરિયાકાંઠે મોડી રાત્રે SOG ત્રાટકીને ડીઝલ ચોરીનું મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે. કંપનીઓના જહાજોમાંથી ડીઝલ ચોરીને તેને વેચી નાખવાનુ કૌંભાડ ચાલતુ હતું. કંપનીના સ્ટાફની પણ ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાયું છે. કાંઠા વિસ્તારના નામચીન આરોપીઓ તેજસ, રાજા, અમિતની ટોળકીનું કારસ્તાન હોવાનું તપાસમાં ખુલ્યું છે. ભરતીમાં બેરેલો તણાતા SOG એ ગ્રામજનોની મદદ લીધી છે. રેડ દરમ્યાન આરોપીઓએ ડીઝલ ભરેલ બેરેલો દરિયામાં નાખી દીધા હતા. મોડી રાત્રિના સમયે SOG સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોની મદદ મેળવી હતી. SOG એ ડીઝલ ભરેલ બેરેલો, ખાલી બેરેલો, તરાપો સહિતનો સામાન જપ્ત કર્યો છે જહાજના ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફ સાથે સેટિંગ પાડી ડીઝલ ચોરીનો વેપલો ચાલતો હોવાની SOGને આશંકા છે. જેના આધારે તપાસ ચાલી રહી છે.
-
સાંતલપુરના મામલતદારે કર્યો આપઘાતનો પ્રયાસ, બ્લેક મેઈલ કરવામાં આવી રહ્યાં હોવાનો કર્યો આક્ષેપ
સાંતલપુરના મામલતદારે આપઘાતનો પ્રયાસ કર્યો છે. સ્યુસાઈટ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો છે. સગા ભાણેજે જ, એક યુવતી સાથે મળીને બ્લેકમેલ કરતા મામલતદારે આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવતી સાથે મામલતદારના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલિંગ કરતા હતા. મામલતદારે જંતુનાશક દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો છે. મામલતદાર ડી ડી પંડ્યા સારવાર હેઠળ છે. સાંતલપુર પોલીસે સ્યુસાઇટ નોટમાં જણાવેલ ઇસમોના નામ સામે શરૂ કરી તપાસ.
-
નવસારીમાં AAPના શહેર પ્રભારી પ્રદીપ મિશ્રા સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો
નવસારી જિલ્લા AAPના શહેર પ્રભારી પ્રદીપ મિશ્રા સામે નોંધાયો ગુનો, ઘર ખરીદવા માટે લોન લઈને પરત ના આપી છેતરપિંડી કરતા નોંધાયો ગુનો. આરોપીએ 69.55 લાખની છેતરપિંડી કર્યાનો ગુનો નવસારી શહેર પોલીસ મથકે નોંધાયો છે ગુનો. સુરતમાં સસ્તા અનાજના દુકાનદાર પાસે હપ્તો લેનાર આમ આદમી પાર્ટીના કાર્યકર બાદ હવે નવસારી શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર સામે નોંધાયો ગુનો. ગુનો આચરી પ્રદીપ મિશ્રા ફરાર થયા પોલીસે શોધખોળ હાથ ધરી. તપાસમાં વધુ છેતરપિંડીના ગુનાઓનો બહાર આવે તેવી શક્યતાઓ.
-
આંકલાવના અંબાવ ગામે સરપંચ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનારને જીવતો સળગાવવાનો પ્રયાસ !
આણંદના આંકલાવના અંબાવ ગામે સરપંચ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે. મહિલા સરપંચ તેમના પતિ સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ભરત પઢીયાર નામના શખ્સને સરપંચ પરિવાર દ્વારા જીવતા સળગાવવાનો પ્રયાસનો કરવામાં આવ્યો આક્ષેપ કરાયો છે. સરપંચ અને તેમના પરિવાર ઉપર ઢોર માર મારી પંચાયત પાસે જીવતા સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવાયો છે. મહિલા સરપંચનું નામ કોકિલાબેન દિનેશભાઇ પઢીયાર છે. જ્યારે ગંભીર રીતે દાઝેલ ભરત પઢીયાર અને તેમના પુત્રને વડોદરા SSG હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડાયા છે. આંકલાવ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
-
લગ્ન પ્રસંગે અમદાવાદના પાલડીમાં આવેલ ઐતિહાસિક કોચરબ આશ્રમ, ભાડે અપાતા સર્જાયો વિવાદ
અમદાવાદના પાલડીમાં આવેલ ઐતિહાસિક કોચરબ આશ્રમમાં ગાંધી વિચારધારા ભુલાઇ હોવાની વાત શહેરીજનોમાં પ્રસરી છે. કોચરબ આશ્રમ સામાન્ય રીતે પ્રાર્થના સભા, શૈક્ષણિક, સામાજિક પ્રવુતિ માટે ભાડે અપાય છે. પરંતુ કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ યોજાયો હોવાના વીડિયો વાઇરલ થયો છે. કોચરબ આશ્રમમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ડીજે ના તાલે ઝૂમ્યા મહેમાનો હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. કોની મંજૂરીથી કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન કરાયું તેના પર સવાલ છે.
જો કે, કોચરબ આશ્રમના લાગતા વળગતા દ્વારા એવો ખુલાસો કરાયો છે કે, અમદાવાદના પાલડીમાં આવેલ કોચરબ આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીના દીકરાના હતા લગ્ન. ગઈકાલે સંગીત સંધ્યા અને આજે લગ્ન પ્રસંગ છે. અત્યારે પણ કોચરબ આશ્રમમાં ચાલી રહ્યો છે પ્રસંગ. સામાન્ય રીતે ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓને, શુભ પ્રસંગ માટે આશ્રમ ભાડે અપાતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
-
ગાંધીનગરમાં ટાઇફોઇડના 120 થી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ
ગાંધીનગરમાં ટાઇફોઇડના અત્યાર સુધીમાં 130 લોકો સપડાયા છે. 11 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા છે. 120 થી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. 63 સર્વેલન્સ ટિમ દ્વારા સમગ્ર વિસ્તારની ચકાસણી કરાઈ છે. આરોગ્ય વિભાગની 31 રેપીડ રિસ્પોનસ ટિમ દ્વારા કામગીરી કરી રહી છે. સિવિલ હોસ્પિટલમાં વધારામાં ડોકટરો ફાળવણી કરાઈ છે. 5 બાળકોને ડોકટર સહિત 15 ડોકટર ની ફાળવણી કરાઈ છે.
-
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનું અકસ્માતથી મોત
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનું અકસ્માતમાં મોત થયું છે. મોડી રાતે હેમાળ ગામ નજીક સિંહણ રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનએ ટક્કર મારી હતી. સિંહણને ગંભીર ઈજાઓ પહોચતા લોહીલુહાણ હાલતના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વનવિભાગ ઘટના સ્થળે પહોચી સિંહણનો મૃતદેહ પીએમ કરવા અર્થે કાર્યવાહી હાથ ધરી. જાફરાબાદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર રાતદિવસ સિંહ રોડ ક્રોસ કરવા દોડધામ કરે છે. દેશની શાન ગણાતા સાવજો સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં નોંધાયા છે.
-
મિશન મિલિયન ટ્રી અને વૃક્ષારોપણ બાદ પણ અમદાવાદમાં પ્રદુષણ વધ્યું, પ્રભારી પ્રધાન સમક્ષ ઉઠાવાયો મુદ્દો
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે, શહેરના વિવિઘ પ્રશ્નોને લઈને પ્રભારી પ્રધાન ઋષિકેશ પટેલે, આજે ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પ્રભારી પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગંભીર મુદ્દો ચર્ચાયો હતો. અમદાવાદ શહેરમાં સતત વધતા પ્રદૂષણને લઈને બેઠકમાં ઉઠ્યો મુદ્દો. શહેરમાં પ્રદૂષણ વધે છે તેના માટેની કરાયેલી કામગીરી અંગે બેઠકમાં કરાયો પ્રશ્ન. હવા પ્રદૂષણને રોકવા વહીવટી તંત્ર તરફથી લેવાયેલા પગલાં અંગે ધારાસભ્યે બેઠકમાં ઉઠાવ્યો મુદ્દો. મિશન મિલિયન ટ્રી અને વૃક્ષારોપણ બાદ પણ સત્તત વધતા પ્રદૂષણ અંગે ડૉ પાયલ કુકરાણીએ વ્યક્ત કરી ચિંતા. રહેણાંક અને ધંધાકીય એકમો સામે કરાયેલી કામગીરી અંગે અધિકારીએ આપ્યો જવાબ. આગામી સમયમાં પ્રદૂષણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા પાયલ કુકરાણીએ કરી રજૂઆત.
-
ચેતજો, સ્વિગીના પાર્સલ આપવાના બહાને સોનાની ચેઈન તોડીને ભાગનાર ચેઈન સ્નેચર ઝડપાયો
ભરૂચમાં SWIGGY નું પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહીલાના ગળામાંથી અછોડો તોડનાર ઝડપાયો છે. તુલસીધામ ચિત્રકૂટ સોસાયટીમાં બની હતી ઘટના. સી ડિવિઝન પોલીસે ચેઇન સ્નેચરને ઝડપી પાડ્યો છે. 20થી વધુ ચેન સ્નેચિંગ કેસમાં આરોપીની સંડોવણી બહાર આવી છે.
-
સિંહણને બેભાન કરવાના મારેલુ ઈન્જેકશન વન વિભાગના કર્મચારીને વાગ્યું હતું, સારવાર દરમિયાન ટ્રેકરનું થયું મોત
સિંહણને બેભાન કરવા જતા ટ્રાન્કવિલાઈઝેશન ગનમાંથી છૂટેલુ ઇન્જેક્શન ટ્રેકર એવા વનકર્મીને લાગી ગયું હતું, વન વિભાગના ટ્રેકર અશરફભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન થયું મોત. ગઈકાલે વિસાવદરના નાની મોણપરીમા ચાર વર્ષના શિવમ નામના બાળકને સિંહણે ફાડી ખાધો હતો. માનવ ભક્ષી બનેલી સિંહણને પકડવા વન તંત્રનો સ્ટાફ લાગ્યો હતો ધંધે. સિંહણને બેભાન કરવા માટે ગનમાંથી ઇન્જેક્શન મારતા સિંહણને બદલે ટ્રેકર એવા વનકર્મીને લાગી ગયું હતું . ટ્રેકર અશરફભાઈને બેભાન કરવાની ગનમાંથી છૂટેલું ઇન્જેક્શન લાગતા સારવાર માટે ખસેડાયા હતા જુનાગઢ. ગત રાતથી અશરફભાઈને રાખવામાં આવ્યા હતા વેન્ટિલેટર ઉપર. આજે સવારમાં સારવાર દરમિયાન અશરફભાઈનું મોત થતા વન વિભાગમાં ગમગીની ફેલાઈ છે. ગીરના ઇતિહાસમાં પ્રથમવાર જ બની છે આવી ઘટના.
-
સુરતના લસકાણામાંથી સોયાબીન-વેજીટેબલ ઓઈલથી નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ
સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર યથાવત રહેવા પામી છે. સુરતમાંથી ફરીથી ઝડપાયું છે નકલી ઘી. શુદ્ધ ઘી ના નામે નકલી ઘીનું વેચાણ કરાતુ હતું. લસકાણા વિસ્તારમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પોલીસે માહિતીના આધારે છાપો મારી ઝડપી પાડ્યું કૌભાંડ. સોયાબીન ઓઈલ અને વેજિટેબલ ઓઈલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતું. લસકાણા પોલીસ અને પાલિકાના આરોગ્ય અને ફૂડ સેફ્ટી ઓફિસરો સંયુક્ત રીતે છાપો માર્યો. જ્યાંથી 319 કિલો ભેળસેળ યુક્ત નકલી ઘી. 856 કિલો સોયાબિન અને વેજિટેબલ ઓઇલ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત ધી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ એસેન્સ નો જથ્થો, નકલી ઘી બનાવવા માટેનો સરોસામાન કર્યો જપ્ત કરવામાં આવ્યુ છે. પોલીસે કુલ 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ પરથી નકલી ઘીનું કારખાનું ચલાવતા અલ્પેશ સાંઠલીયાની ધરપકડ કરી છે. બજારમાં નકલી ઘી સપ્લાય કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરાતા હતા.
-
AMCની ચૂંટણી પહેલા ભાજપ એકશન મોડમાં, અમદાવાદના પ્રભારી પ્રધાનને એકાએક મનપાની બેઠક યાદ આવી !
અમદાવાદમાં આગામી મનપાની ચૂંટણી પહેલા ભાજપની બેઠક યોજાશે. આજે અમદાવાદના પ્રભારીમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર ભાજપના ધારાસભ્યો અને મનપા પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે. પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ ભાજપના ધારાસભ્યો – મનપા પદાધિકારીઓ સાથે ઝોન વાઇઝ બેઠક યોજશે. બેઠકમાં મનપા પ્રભારી રજની પટેલ, સત્તાધારી ભાજપ પક્ષના નેતા, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત. શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને પ્રશ્નો અંગે બેઠકમાં થશે ચર્ચા.
-
વડોદરામાં સાંસદ અને પ્રદેશ ઉપાધ્યક્ષના સન્માન કાર્યક્રમમાં વરિષ્ઠ કાર્યકર્તાએ ઠાલવ્યો બળાપો
પ્રદેશ ભાજપ દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂકને લઈ વિવાદ સામે આવ્યો છે. પક્ષના જૂના કાર્યકરે જાહેરમાં જ બળાપો ઠાલવ્યો હતો. સાંસદ અને પ્રદેશ ઉપાધ્યક્ષના સન્માન કાર્યક્રમમાં કાર્યકરે ઠાલવ્યો બળાપો. વર્ષોથી અમે મહેનત કરીએ છીએ અને આ પરિણામ છે. ભાજપના કાર્યકર બિપિન પટેલે જાહેરમાં જ બળાપો ઠાલવતા હોલમાં છવાયો સન્નાટો. સન્માન કાર્યક્રમમાં થયેલા વિરોધના વીડિયો થયો વાયરલ.
-
અમદાવાદમાં ‘સ્મશાન નહીં તો વોટ નહીં ના’ લાગ્યા બેનર
અમદાવાદમાં ભાજપના ગઢ ગણાતા ભાડજમાં સ્મશાન નહીં તો વોટ નહીં ના બેનર લાગ્યા છે. આ બેનર લગાવાયા હોવાની જાણ થતા જ, રાજકીય અગ્રણીઓમાં દોડધામ મચી ગઈ છે. કારણ કે, જે વિસ્તારમાં આ બેનર લાગ્યા છે તે ગુજરાત વિધાનસભમાં ધાટલોડિયા મતવિસ્તારમાં આવે છે. જ્યારે લોકસભામાં ગાંધીનગર સંસદીય મતક્ષેત્રમાં સમાવેશ થાય છે. બેનલ લગાવીને આડકતરી રીતે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. સ્મશાન ન બને ત્યાં સુધી ભાજપ કે એએમસીના વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં.
-
સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા
ભ્રષ્ટાચારના કેસનો સામનો કરી રહેલા સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા રાજેન્દ્ર પટેલની ધરપકડ કરીને રિમાન્ડ પર મેળવ્યાના બીજા જ દિવસે, ગુજરાત સરકારે રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દીધા છે.
-
આસામમાં આવ્યો 5.1 ની તીવ્રતાનો ભૂકંપ
આસામ સહીત પૂર્વતર ભારતમાં આજે સવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે સવારે 4 વાગીને 17 મીનીટે આસામના મોરીગાંવમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર, રિકટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 5.1 ની નોંધાઈ છે.
-
Ahmedabad એક ગીતને લઈને બે ગાયક વચ્ચેની બબાલ મારામારીમાં ફેરવાઈ
એક ગીતને લઈને બે ગાયક વચ્ચે થયેલી માથાકુટ અને મારામારી આખરે પોલીસ સ્ટેશને પહોંચી છે. મારામારીની ઘટનામાં બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ગીતના ક્રેડિટને લઈને લીગલ નોટિસ મામલે ચાલતી હતી બન્ને વચ્ચે માથાકૂટ. મૂળ અમદાવાદના અને મુંબઈ રહેતા હાર્દિલ પંડ્યા પર હુમલો કરાયો હતો. ગત ૨૯ ડિસેમ્બરે પેલેડિયમ મોલ પાસે બની હતી હુમલાની ઘટના. શ્યામ સિધાવત અને તેના સાથીઓએ હાર્દીલ પંડ્યા પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ અંગે હાર્દિલ દ્વારા શ્યામ અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. શ્યામ સિધાવતના પત્ની દ્વારા હાર્દિલ વિરુદ્ધ અપશબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાપુર પોલીસે બંનેની ફરિયાદને આધારે કાર્યવાહી શરૂ કરી છે.
Published On - Jan 05,2026 7:17 AM