POK માં શોકસભામાં સામેલ થનારા હજારો લોકો પર મુનીરની સેનાએ વરસાવી અંધાધૂંધ ગોળીઓ, હવે ક્યાં ગયા માનવાધિકારો?- શું અમેરિકા આના પર કંઈ બોલશે?
POK સળગી રહ્યુ છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ્યાં હાલ પાકિસ્તાની સેના અને લોકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. હાલત એટલી હદ્દે બદ્દતર બની ગઈ છે કે પાકિસ્તાની સેનાએ વિરોધ કરી રહેલા પીઓકેના લોકો પર ગોળીઓ અંધ વરસાવી જેમા 27 લોકોના મોત થયા છે. દાવો કરાઈ રહ્યો છે કે મૃતકોમાં 19 બાળકો અને 7 સગર્ભા મહિલા પણ સામેલ છે. આ એ જ પાકિસ્તાન છે જે ઈરાન-અમેરિકા યુદ્ધમાં મધ્યસ્થી કરીને શાંતિદૂત બનવાનો ઢોંગ કરી રહ્યો હતુ અને આજે મુનીરની જ સેનાએ સમગ્ર પીઓકે, ગિલકિટ બાલ્ટીસ્તાનમાં એવી મારધાડ મચાવી છે જેણે બર્બરતા, ક્રુરતાની તમામ હદો પાર કરી દીધી છે.

પીઓકેમાં છેલ્લા કેટલાય સમયથી લોકો વીજળી સંકટ, સતત વધતી મોંઘવારી, બેરોજગારી, સરકારની પક્ષપાતી નીતિને કારણે સરકારની સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. પરંતુ સ્થિતિ ત્યારે વધુ વણસી ગઈ જ્યારે જોઈન્ટ આવામી એક્શન કમિટીના એક કાર્યકર્તાનું પોલીસ ફાયરીંગમાં મોત થઈ ગયુ, ત્યારબાદ હજારો પ્રદર્શનકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ ઉભી થઈ. પીઓકે માં પાકિસ્તાની સેનાની બર્બરતાને કારણે સમગ્ર રાવલકોટ વિસ્તાર રણભૂમિ બની ગયો છે. પ્રદર્શનકર્તાઓ હવે ખુલ્લેઆમ રસ્તા પર આવીને પાકિસ્તાની સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં પાકિસ્તાની પોલીસ, રેન્જર્સ અને સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા છે. ઈન્ટરનેટ અને ફોન સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. જેથી પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતા અત્યાચારનો કોઈ વીડિયો વાયરલ ન થાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને કોઈ જવાબ ન દેવા પડે.
શોકસભામાં સામેલ થયેલા હજારો લોકો પર મુનીરની સેનાએ ગોળીઓ વરસાવી
POK ના લોકોનુ સ્પષ્ટ કહેવુ છે કે આસીમ મુનીર જ એ દહેશતગર્દ (સીતમગાર) છે જે પીઓકેના લોકોનું દમન કરી રહ્યો છે. તેની વિરુદ્ધ સમગ્ર POK માં વિરોધ પ્રદર્શન થશે .જેના માટે જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC) એ તેમના લોકોને એકત્રિત કર્યા, શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પાકિસ્તાની રેન્જર્સે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી, જેમા શેહજેબ હબીબ નામના એક યુવકનું મોત થયુ. આ મોત બાદ POK ના લોકોમાં તણાવ ફેલાઈ ગયો અને યોજના બનાવી કે મોટી સંખ્યામાં લોકો રાવલકોટમાં એક્ઠા થશે અને હબીબની શોકસભામાં સામેલ થશે. આ શોકસભામાં પણ પાકિસ્તાને માનવતાની તમામ હદો પાર કરી દીધી અને એકત્ર થયેલા હજારો લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હિંસામાં 19 નાનાં બાળકો અને 7 ગર્ભવતી મહિલાના મોત થયા હોવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
મુનીરે સેનાને પ્રદર્શનકર્તાઓને દેખો ત્યાં ઠાર મારોના આદેશ આપ્યા
આ ઘટના બાદ POK માં ભારે હિંસા ભડકી. મુઝફ્ફરાબાદ, ભીમબર્ગ, કોટલી, રાવલકોટ સહિતના સ્થળોએ હિંસાની આગ ફેલાઈ ગઈ છે. આ વિસ્તારો હાલ સળગી રહ્યા છે. જેવા વિરોધપ્રદર્શન હિંસક થયા કે પાકિસ્તાની સેનાએ અંધાધૂંધ લોકોને મારવાનું શરૂ કર્યુ છે. ખુદ આસીમ મુનીરે પીઓકેના લોકોને દેખો ત્યા ઠાર મારવાના આદેશ આપ્યા છે. જેનાથી પરિસ્થિતિ વધુ તણાવગ્રસ્ત બની છે. પીઓકેમાં 350 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
POK માં શાંતિ ન સ્થાપી શકનાર મુનીરે લેબનોનમાં શાંતિ સ્થાપવા મિટીંગ બોલાવી
એકતરફ પાકિસ્તાન ગૃહયુધ્ધની સ્થિતિમાં સળગી રહ્યુ છે ત્યારે પીઓકેના લોકોની ચિંતા કરવાના બદલે પાકિસ્તાની સેનાના કહેવાતા ફિલ્ડ માર્શલ આસીમ મુનીર ઈરાન અને લેબનોનમાં યુદ્ધ રોકવાની પેરવી કરી રહ્યા છે. પાકિસ્તાનમાં લોકો મરી રહ્યા છે તેની મુનીરને ચિંતા નથી પરંતુ લેબનોનની ચિંતા છે. રાવલપિંડીમાં સેનાના હેડક્વાર્ટર ખાતે મુનીરે લેબનોનના આર્મી ચીફ જનરલ રેડોલ્ફ સાથે મુલાકાત કરી અને એ ચર્ચા કરી કે લેબનોનમાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાન શું મદદ કરી શકે? પાકિસ્તાનને મિડલ ઈસ્ટના લોકોની ચિંતા છે પરંતુ POK ના લોકોની પીડા નથી દેખાતી. જે ખુદ અશાંત છે, જે પોતાના જ લોકો પર ફાયરીંગ કરી રહ્યા છે. તે અન્ય દેશમાં શાંતિના પ્રયાસ કરી રહ્યો છે.
“પરમાણુ બોંબ ફેંકી દો, કિસ્સો જ ખતમ થઈ જશે”- સાકિબ ઈલ્યાસી, JAAC
જોઈન્ટ આવામી એક્શન કમિટીના સદસ્ય સાકિબ ઈલ્યાસી એવુ કહી રહ્યા છે કે પાકિસ્તાનના પરમાણુ બોંબ પીઓકે પર ફોડી દેવામાં આવે જેથી તેમના પર ગુજારવામાં આવતા તમામ જુલ્મોનો સિલસિલો એક જ વારમાં ખતમ થઈ જાય. પાકિસ્તાને પીઓકે ના લોકોની એવી હાલત કરી નાખી છે કે તેઓ ખુદ ઈચ્છે છે કે તેમના પર પરમાણુ બોંબ ફોડીને તેમને ખતમ કરી દેવામાં આવે. આ તરફ માનવ અધિકારનો ઝંડો લઈને ફરતા અમેરિકાને પીઓકેના લોકોનું દર્દ નથી દેખાતુ. ના તો વિશ્વના મોટા મોટા માનવાધિકાર સંગઠનોને પીઓકેની પીડા દેખાય છે.
મોંઘી વીજળી
POK માં અનેક બારેમાસ વહેતી નદીઓ છે. પાકિસ્તાન સરકાર આ નદીઓ પર મોટા પાયે હાઈડ્રો પાવર પ્લાન્ટ્સ લગાવીને દેશની 10 થી 15 % ઊર્જા જરિયાત પૂરી કરે છે. પરંતુ આંચકો આપનારી બાબત એ છે કે જે વિસ્તારમાંથી પાકિસ્તાન જળવિદ્યુત ઉત્પન્ન કરે છે એ જ POK ના લોકોને સસ્તી વીજળીનો લાભ નથી મળતો. આ વીજળી POK ના લોકોને આપવાને બદલે અન્ય પ્રાંતોમાં પહોંચાડવામાં આવે છે. POK માં આજે અંધારપટની સ્થિતિ છે. તેમને પોતાના જ સંસાધનોની વીજળી માટે મોંઘા દામ ચુકવવા પડે છે અથવા અંધકારમાં રહેવા મજબૂર થવુ પડે છે.
પાણી માટેે પણ ઓરમાયુ વર્તન
POK ની નદીઓ પાકિસ્તાનની ખેતી માટે જીવાદોરી સમાન છે. સિંચાઈ માટેનું 70% પાણી POK માંથી અન્ય પ્રાંતમાં પહોંચાડવામાં આવે છે. પીઓકેમાં મોટાભાગની વસ્તી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, પરંતુ તેમને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. આ જ કારણ છે કે ત્યાંની જનતામાં ભારે રોષ છે કે તેમના જ પાણીથી બીજા પ્રાંતો લહેરાય છે અને તેઓ ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.
આર્થિક શોષણ અને મોંઘવારી આસમાને
પંજાબ અને સિંધ પ્રાંતની તુલનાએ પાકિસ્તાન સરકાર POK ને એક ATM તરીકે વાપરે છે અને સુવિધા કોઈ જ આપવામાં આવતી નથી. પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતની સરખામણીમાં POK માં લોટ (ઘઉં), પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા વધારે છે અને પાકિસ્તાની સરકાર લોકોને રાહત આપવા માટેના કોઈ પગલા લેતી નથી. લખલૂટ સંસાધનો હોવા છતાં પાકિસ્તાની સરકારોની નીતિઓેેને લીધે POK ની જનતા નરક જેવુ જીવન જીવી રહી છે. કુપોષણનો દર જોઈએ તો પાકિસ્તાનની વસ્તીમાં 20 % કુપોષિત છે જેની સામે POK માં આ આંકડો 29% ટકા છે.
હાલ પીઓકેના લોકોની સ્પષ્ટ માગણી છે કે નદીઓ અમારી, સંસાધનો અમારા, પાણી અમારુ, તો વીજળી પર પણ પહેલો હક્ક અમારો હોવો જોઈએ, પીઓકેને સસ્તી વીજળી મળવી જોઈએ. તેમનુ સ્પષ્ટ માનવુ છે કે તેઓ કોઈ ભીખ નથી માગી રહ્યા પરંતુ પોતાના હક્ક માગી રહ્યા છે અને અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ પાકિસ્તાની સરકારો તેમને સસ્તા લોટ, પાણી, વીજળી આપવાને બદલે બંદુકની ગોળીઓ આપી મોતને ઘાટ ઉતારી રહી છે.
પીઓકેમાં આંદોલનને કચડી નાખવા મુનીએ સેનાને છુટો દોર આપ્યો
POK માં હાલ ટોટલ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યુ છે. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા સ્થિગત કરી દેવાઈ છે. જેથી ત્યાં થઈ રહેલી હિંસાના આંકડા દુનિયા સમક્ષ ન આવે. પાકિસ્તાને JAAC ના આંદોલનને કચડી નાખવા માટે 14 હજાર વધારે જવાનોનો કાફલો POK માં મોકલ્યો છે. સામાન્ય લોકોના પ્રદર્શનને સૈન્ય સ્તરની કાર્યવાહી દ્વારા દબાવવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા રૂપે લંડન સ્થિત પાકિસ્તાની હાઈકમિશન ઓફિસની બહાર સેંકડો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ. બ્રિટનના સાંસદ ઈકબાલ મોહમ્મદે ચિંતા વ્યક્ત કરી છે કે POK ના લોકોને વીણીને વીણીને મારવામાં આવી રહ્યા છે. લંડનની સડકો પર સેંકડો લોકો જમા થયા અને સૂત્રોચ્ચાર કર્યા કે આ દહેશતગર્દી પાછળ વર્દી છે. જેમનો સીધો ઈશારો પાકિસ્તાની સેનાના બની બેસેલા ફિલ્ડ માર્શલ આસીમ મુનીર તરફ છે.
ભારતના વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી બર્બરતા પર આંતરરાષ્ટ્રીય સમુદાયે તેને જવાબદેહ ઠેરવવુ જોઈએ.
