Gujarat : આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની ટીમોને એલર્ટ કરાઇ
રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના તાલુકામાં વરસાદ પડી શકે છે.
રાજયમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા તોફાની બેટિંગ ફરી શરૂ થઈ છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના તાલુકામાં વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. એમ કહી શકાય કે, આજે અને આવતી કાલે એટલે કે, 9 સપ્ટેમ્બરના રોજ આકાશમાંથી કાચું સોનું વરસશે. ખેડૂતોના ઉભા પાકને નવજીવન મળવાની પુરી સંભાવના છે. સાથે આજે અને 9 સપ્ટેમ્બરના રોજ વરસાદ સાર્વત્રિક પડેશે જેથી ગુજરાતના ડેમોમાં પણ નવા નીર આવશે જેથી પીવા લાયક પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ થવાની સંભાવના છે.
વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ, NDRF અને SDRFની ટીમોને એલર્ટ કરાઇ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક થઇ.
આ બેઠકમાં IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજયમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેથી અગમચેતીના પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના આપવામાં આવી છે.
રાજયમાં વાવેતરની સ્થિતિ
આ બેઠકમાં કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 84.48 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 95.33 ટકા વાવેતર થયું છે.
રાજયમાં જળાશયોમાં પાણીનો જથ્થો
સરદાર સરોવર જળાશયમાં હાલ 1,61,876 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 48.45 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજયના 206 જળાશયોમાં 3,10,492 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 55.70 ટકા છે.