ગુજરાતમાં ભાજપના ઓપરેશન લોટસ તળે વિપક્ષોના કિલ્લાના કાંગરા ખર્યા, આમથી લઈ ખાસ સુધીના નેતાઓ લાઈનમાં
ભાજપનું ઓપરેશન લોટસ જે રીતે ફરી એક્ટિવ થયું છે તેમાં સૌથી વધારે લોસ અત્યારે કોઈ ભોગવી રહ્યું હોય તો તે છે કોંગ્રેસ. એમ પણ તેમની પાસે આ ખેલ જોયા કરવા સિવાય કઈંજ નવી વ્યુહરચના જોવા નથી મળી રહી. ભાજપ જય શ્રી રામના નારા લગાડી રહ્યું છે અને વિપક્ષો પોત પોતાની પાર્ટીને રામ રામ કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીનો ધમધમાટ દેશભરમાં સંભળાવા લાગ્યો છે. બિહારમાં સત્તા પરિવર્તન વચ્ચે એક રાજ્ય એવું પણ છે કે જે આગળના સમયમાં લાગે છે કે કોંગ્રેસ નેતાગીરી વિહોણું થઈ શકે છે. હાલમાં જે રીતે ભાજપનું ઓપરેશન લોટસ સોળે કળાએ ખિલ્યું છે તેની આભા ગણો કે પછી આત્મવિશ્વાસ વિપક્ષોના આમથી લઈ ખાસ નેતાઓ કમલમની રાહે નિકળી પડ્યા છે.
ઓપરેશન લોટસ પાર્ટ ટુ
આજથી થોડા સમય પહેલા જ ટીવી 9 ડિજિટલના આ જ માધ્યમથી અને આપને અવગત કરાવ્યા હતા કે ભાજપ આગામી થોડાક જ સમયમાં ગુજરાત ખાતેના તેના વિપક્ષો પર ત્રાટકશે. આ ત્રાટકવું એટલે પક્ષની નેતાગીરીને નબળી પાડવી કે પછી તેને નિર્મૂળ કરી દેવા સુધીનું હોઈ શકે છે. હાલમાં જે રીતે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે તે જોતા તો એમ લાગી રહ્યું છે કે ગુજરાતમાં વિપક્ષોનો ખો નિકળી જશે.
ભાજપમાં જોડાવાની આ લાઈનમાં સરકારી અધિકારીઓ પણ પાછળ નથી. રમેશ ચૌહાણની જ વાત કરીએ તો આ રેવન્યુ અધિકારીએ VRS લઈને ભાજપમાં જોડાવાનું નક્કી કરી લીધુ છે. મળતી માહિતિ પ્રમાણે આપ પાર્ટીના 1000 કરતા વધારે કાર્યકરો નેતા ભાજપમા જોડાઈ રહ્યા છે તો કોંગ્રેસની ટોચની નેતાગીરીમાંથી પણ એવા નામ સામે આવી રહ્યા છે કે જે ઓપરેશનને પાર પાડવા માટે ટોચની નેતાગીરી મથી રહી હતી. આવનારા સમયમાં તે ધડાકો તો હજુ બાકી જ છે.
ભાજપમા જોડાવા લાઈનો લાગી
જો જોડાયા કે પછી જોડાવા માટે લાઈનમાં છે તેમાં સોરાષ્ટ્ર પંથકમાંથી પૂર્વ ધારાસભ્યો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ, બળવંત સિંહ ગઢવી, ઘનશ્યામ ગઢવી, પ્રવક્તા સંજય ગઢવી, વિચરતી વિમુક્તજાતિઓની પ્રદેશ સમિતિના સેલના પ્રમુખ જશવત યોગીનું નામ છે. બાલકૃષ્ણ પટેલ, કુલદિપસિંહ, હાલોલ બેઠક પરથી અપક્ષમાં ચૂંટણી લડનાર રામચંદ્ર બારિયા ઘરવાપસી કરશે તો પંચમહાલના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશવંત સિંહ સોલંકી, પંચમહાલ જિલ્લાના પૂર્વ ચેરમેન પ્રવીણ સિંહ પરમાર અને ઇન્ટરનેશનલ કલાકાર ભરત બારિયા પણ કેસરિચા રંગે રંગાશે.
આ સિવાય પણ એવા નેતાઓ છે કે જે ભાજપ સાથે તાલ મિલાવવા માટે રેડી જ છે. જેમાં પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ માધુસિંહ ચોહાણ, હાલોલ તાલુકા પંચાયત સદસ્ય ભગવતીબેનનો સમાવેશ થાય છે.
ભાજપનો નવતર પ્રયોગ
ભાજપે આ વખતે એક નવતર પ્રયોગ એ રીતે શરૂ કર્યો છે કે ગામડા મથક સુધી છેવાડાના મતદારોને ભાજપમાં પરિવર્તિત કરવા માટે સરપંચોને સાધવાની શરૂઆત કરી છે કે જેમાં 100 જેટલા સરપંચ સીઆર પાટીલની હાજરીમા કેસરિયો ધારણ કરી રહ્યા છે. અગત્યની વાત એ છે કે તમામ સપરંચ અંદાજે 11 હજારથી 12 હજાર મતદાન ધરાવતા ગામના સરપંચ છે. ભાજપ જ એ પક્ષ હતો કે જેણે સૌથી પહેલા સરપંચોનું સંમેલન બોલાવ્યું હતું જેના પગલે હવે સરપંચો કેસરિયો ધારણ કરવા માટે તૈયાર થયા છે.
ભાજપની નો રીપિટ થીયરી લાગુ થશે?
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે બોલાવેલા બૃહદ કાર્યકર સંમેલન પ્રસંગે હાજર રહેલા સીઆર પાટીલે વાતવાતમાં કહી દીધું હતું કે ભાઈ મારી ટિકીટને લઈ કઈ નક્કી નથી કે મને પણ મળશે કે કેમ? આ નિવેદન બાદ કાર્યકરોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો કે ભાજપ શું ફરીવાર નો રીપિટ થીયરી લાગુ કરવા જઈ રહ્યું છે? પાટીલના એક નિવેદનથી કદાચ તેમણે અમદાવાદ શહેરની પૂર્વ-પશ્ચિમ બેઠકના ઉમેદવારને મેસેજ પણ આપી દીધો કે આગળ કઈ પણ થઈ શકે છે.
ભાજપનું ઓપરેશન લોટસ જે રીતે ફરી એક્ટિવ થયું છે તેમાં સૌથી વધારે લોસ અત્યારે કોઈ ભોગવી રહ્યું હોય તો તે છે કોંગ્રેસ. એમ પણ તેમની પાસે આ ખેલ જોયા કરવા સિવાય કઈંજ નવી વ્યુહરચના જોવા નથી મળી રહી. ભાજપ જય શ્રી રામના નારા લગાડી રહ્યું છે અને વિપક્ષો પોત પોતાની પાર્ટીને રામ રામ કરી રહ્યા છે. આવનારા સમયમાં હજુ ઘણા મોટા પાયાના બદલાવો જોવા મળી શકે છે. થોભો અને રાહ જોવો..