શિક્ષક દિવસ 2026 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોનું કર્યું સન્માન, રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પર મૂક્યો ભાર, જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન નિમિત્તે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા. તેમણે શિક્ષકોને રાષ્ટ્ર નિર્માણના પાયા ગણાવ્યા અને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં તેમના યોગદાનને બિરદાવ્યું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આયોજિત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા. આ પ્રસંગે તેમણે શિક્ષકોના અદમ્ય યોગદાન, કાર્યનિષ્ઠા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાને બિરદાવી હતી. મુખ્યમંત્રીએ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાની પરંપરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમનું જીવન આદર્શ શિક્ષક કેવો હોય તેનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ છે.
ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું કે આજનો દિવસ માત્ર શિક્ષક દિવસની ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપતા સૌ શિક્ષકોની કાર્યનિષ્ઠા, સમર્પણ અને ઉત્તમ કામગીરીને બિરદાવવાનો અવસર છે. તેમણે કહ્યું કે એક ઉત્તમ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને મૂલ્યોનું સિંચન કરીને તેમને સમાજ અને રાષ્ટ્રના જવાબદાર નાગરિક બનાવે છે. આપણા શાસ્ત્રોમાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન ગણીને તેમના મહત્વને રેખાંકિત કરવામાં આવ્યું છે.
PM મોદીએ 21મી સદીને જ્ઞાન-વિજ્ઞાનની સદી ગણાવી
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ પ્રત્યેના દૃષ્ટિકોણની પ્રશંસા કરી હતી, જેમાં શિક્ષણને માત્ર રોજગાર મેળવવાનું સાધન નહીં, પણ રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી માધ્યમ કહેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનના આવા ઉત્તમ વિચારો અને વિઝનરી લીડરશીપથી દેશની શિક્ષણ વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું છે. PM મોદીએ 21મી સદીને જ્ઞાન-વિજ્ઞાનની સદી ગણાવીને ભારત તેના નેતૃત્વ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વાતને સાકાર કરવા માટે નેશનલ એજ્યુકેશન પોલિસી દ્વારા શિક્ષણને હોલિસ્ટિક, સ્કિલ બેઝ્ડ અને ફ્યુચરિસ્ટિક બનાવવાનો આયામ ઉપાડ્યો છે.
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા પ્રગતિનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001થી ગુજરાતમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા જન આંદોલનો શરૂ કર્યા હતા, જેના પરિણામે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટીને 1% જેટલો થઈ ગયો છે. તેમણે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ દ્વારા કન્યા શિક્ષણમાં 7% જેટલો વધારો નોંધાયો હોવાનું પણ જણાવ્યું. રાજ્ય સરકારે આ વર્ષે અધવચ્ચે અભ્યાસ છોડી ગયેલા બાળકોને પુનઃ શાળા પ્રવેશ કરાવવા માટે અભિયાન ચલાવ્યું છે. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને ડિજિટલ લર્નિંગ જેવા સમયબદ્ધ આયામોથી ગુજરાતને દેશનું શિક્ષણ મોડલ બનાવવાની નેમ છે.
શિક્ષકની ભૂમિકા પર પ્રકાશ પાડતાં મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર શાળાઓનું નિર્માણ કરે, ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે અને શિક્ષકોની ભરતી કરી શકે, પરંતુ શાળામાં પ્રાણ પૂરવાનું કામ તો શિક્ષક જ કરી શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષકની વાણી, વર્તન અને વ્યવહારમાંથી હંમેશા હકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસનું સંચરણ થવું જોઈએ. આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ શિક્ષકોને આ સાધનોને શિક્ષણ કાર્યમાં સાથી બનાવવાનો અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે AI શિક્ષકની ક્ષમતાને અનેક ગણી વધારવાનું સાધન છે, અને ટેકનોલોજીનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જવાબદારીપૂર્વક થવો જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી વિકસિત ભારત 2047ના નિર્માણ માટે આપેલી સપ્તધારાનો ઉલ્લેખ કરતાં શ્રી પટેલે જણાવ્યું કે શિક્ષણ અને સંસ્કારની ધારા આ સપ્તધારાને શક્તિ આપનારી મૂળ ધારા છે. તેમણે શિક્ષકોને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના મહાયજ્ઞમાં શક્તિધારા બનીને જોડાવા અને પ્રત્યેક કાર્ય દેશહિત, રાજ્યહિત અને વિદ્યાર્થીહિતમાં હોય તેવો સંકલ્પ કરવા જણાવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હી-NCRમાં ધોધમાર વરસાદ, એરપોર્ટ પર પાણી ભરાતા હવાઈ સેવાને અસર, ફ્લાઈટ્સમાં વિલંબ
