chhota udepur : નર્મદા ડેમ નજીક હોવા છતા ખેડૂતોને સિંચાઇના પાણી માટે મારવા પડે છે વલખા, જાણો શું છે કારણ
ગુજરાતના (Gujarat) ખેડૂતોની ચિંતા કરતી સરકાર નર્મદાના નીરને દૂર સુધી લઈ જવામાં સફળતા તો મેળવી છે, પણ નર્મદા ડેમની નજીકના જ ખેડૂતો આજે પણ નર્મદાના નીરને તેમના ખેતરો સુધી આવતા જોયા નથી.
છોટા ઉદેપૂરમાં ખેડૂતોને સિંચાઇનો લાભ મળે તે માટે નર્મદા નિગમે કરોડોનો ખર્ચ કરી ખેડૂતોના ખેતરો સુધી માઈનોર અને ઢાળીયા કેનાલો વર્ષો પહેલા બનાવી હતી. પણ હકીકત એ છે કે કેટલાંક ખેડૂતોને તેનો લાભ આજદિન સુધી નથી મળ્યો. જેને કારણે આજે પણ તેઓ વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે. જો કે અહીંના ખેડૂતોને દુખ એ વાતનું છે કે ઘર આંગણે પાણી હોવા છતાં ખેડૂતો પાણીથી વંચિત રહી ગયા છે. જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.
છતાં પાણીએ, પાણી વગરના ખેતરો
ગુજરાતના ખેડૂતોની ચિંતા કરતી સરકાર નર્મદાના નીરને દૂર સુધી લઈ જવામાં સફળતા તો મેળવી છે, પણ નર્મદા ડેમની નજીકના જ ખેડૂતો આજે પણ નર્મદાના નીરને તેમના ખેતરો સુધી આવતા જોયા નથી. સિંચાઇના પાણીથી વંચિત ખેડૂતોનું કહેવું છે કે અહીંથી 500 કિમીથી વધુ દૂર સુધી નર્મદાનું પાણી પહોંચાડવામાં સફળતા મળી છે પરંતુ તેમના વિસ્તારની માંડ 15 કિમી દૂર ડેમ આવેલો છે. અહીં જ પાણી નથી. સરકારે આમ તો વર્ષો પહેલાં ખેડૂતોની ચિંતા કરીને તેમના ખેતરો સુધી કરોડોના ખર્ચે માઇનોર અને ઢાળીયા કેનાલો નાખી છે. પણ હકીકત એ છે કે તેમને આજ દિન સુધી સિંચાઇનું પાણી નથી મળ્યું. આવા તો અનેક ગામો છે. નસવાડી તાલુકાના કકુવાસણ, જેમલગઢ, વાકોલ, ઇન્દ્રમા, ગોચરીયા, અલવા જેવા ગામો આજે પણ વરસાદ આધારિત ખેતી જ કરે છે. વરસાદ સારો થાય તો ઠીક નહિ તો તેમને આખું વરસ રોવાનો વારો આવે છે.
માઈનોર અને ઢાળીયા કેનાલોની હાલત ખરાબ
વરસાદ ગયા પછી નર્મદા નિગમ દ્વારા કેનાલોની સફાઈ કરવામાં આવે છે, એ જોતાં આ વિસ્તારના ખેડૂતોને એક આશા બંધાઈ છે કે આ વખતે તો નિગમ દ્વારા પાણી છોડવામાં આવશે અને તેઓ રવી પાકની તૈયારી કરી શકશે. બાકી દર વખતે જ્યારે પાક ઊભો થાય ત્યારે સિંચાઈનું પાણી ના મળતા આ ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવે છે. વર્ષોથી ગામલોકોની આ સમસ્યા છે અને તેના ઉકેલ માટે તંત્રમાં વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તંત્રના અધિકારીઓ વાત કાને જ ધરી નથી.
સિંચાઇનું પાણી ન મળતા દર વર્ષે ખેતીમાં ભારે નુકસાન ખેડૂતોએ સહન કરવું પડતું હોય છે. એ જોતાં કેટલાક ખેડૂતો વરસાદ બાદ ખેતી કરવાનું છોડી દીધું છે. તો કેટલાંક ખેડૂતોએ છતી જમીને અન્યના ખેતરોમાં ખેતી કરવા મજબૂર બનવું પડ્યું છે. તો કેટલાક તો પોતાનું માદરે વતન છોડી દૂર સુધી મજૂરી કરવા જઈ રહ્યા છે. વધુને વધુ દેવાદાર બનતા ખેડૂતો પાણી આપો પાણી આપોની પોકારો પાડી રહ્યા છે. તો કેટલાક ખેડૂતો હાય રે નર્મદા નિગમ હાય હાયના સૂત્રો પોકારી રહ્યા છે. દિવસે દિવસે ખેડૂતોની હાલત બદતર બનતી જઈ રહી છે.
(વિથ ઇનપુટ-મકબૂલ મન્સૂરી)