Breaking News : અરબી સમુદ્રમાં વાવાઝોડાની શકયતા, ગુજરાત અને મહારાષ્ટ્ર પર તોળાતો ખતરો
અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. જેના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો તોળાય રહ્યો છે.

Ahmedabad : અરબી સમુદ્ર(Arabian Sea) માં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. જેના પગલે ગુજરાત(Gujarat) અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો તોળાય રહ્યો છે.ચોમાસું જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે એ સમયે જ અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું 1 જૂનના રોજ આગળ વધીને અરબી સમુદ્ર સુધી પહોંચી ચૂક્યું છે. માલદીવ અને કોમોરિન વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે. હવે ચોમાસા પર અરબી સમુદ્રમાં સર્જાવા જનારી સિસ્ટમનો પણ ખતરો પેદા થયો છે. આવતા અઠવાડિયામાં આ સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે.
હાલ અરબી સમુદ્રનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ
અરબી સમુદ્રમાં 5 જૂનના રોજ સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે. જે બાદ આ સિસ્ટમ મજબૂત બનશે અને 7 જૂનના રોજ તે લૉ-પ્રેશર એરિયા બનશે. જૂનના બીજા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં ત્રીજી કે ચોથી જૂનની આસપાસ લૉ પ્રેશર એરિયા બને તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલ અરબી સમુદ્રનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે જે વાવાઝોડું બનવા માટેનું અનુકૂળ છે. લૉ પ્રેશર એરિયા બન્યા બાદ જો સિસ્ટમ વધારે મજબૂત બનશે તો તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ
અરબી સમુદ્રમાં બનતાં વાવાઝોડાંનો ખતરો ગુજરાત સહિત મહારાષ્ટ્ર પર પણ રહેલો હોય છે. સામાન્ય રીતે કેરળ કે માલદીવની આસપાસ બનતાં વાવાઝોડાં ઉત્તર તરફ આગળ વધે છે. બીજી તરફ અનેક વખત એવું પણ બન્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધે છે અને ગુજરાત પર આવવાને બદલે તે ઓમાન તરફ જાય છે. જો વાવાઝોડું દરિયામાં જ વિખેરાઈ જાય તો પણ ગુજરાતમાં તેની અસર વર્તાય છે.રાજ્ય પાસેથી પસાર થતાં વાવાઝોડા પણ સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે.
ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.
રાજ્યમાં એક સાથે બે-બે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.