પોલીસ છે કે ગલીનો ગુંડો ? કોન્સ્ટેબલે કાયદો ખિસ્સામાં મૂક્યો, એક લુખ્ખાની જેમ નિર્દોષ યુવકને ઝૂડી નાખ્યો – જુઓ Video
અમદાવાદમાં SMCના પોલીસકર્મીએ જે રીતે એક યુવકને ગુંડાની જેમ ઝૂડ્યો, તેણે ખાખી વરદીને લજવી નાખી છે. દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં જેમના ટાંટિયા ધ્રૂજે છે, તેવા પોલીસકર્મીઓ હવે સામાન્ય જનતા પર પોતાનો રોફ ઝાડી રહ્યા છે. આ દાદાગીરી સવાલ ઊભો કરે છે કે, શું પોલીસનો આ પાવર ફક્ત કાયદાનું પાલન કરતી પ્રજાને દબાવવા માટે જ છે?

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજની વાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના પોલીસકર્મીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. પાટણમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નવાઝ ગુલામ રસુલે સમાજની વાડીમાં રૂમ રાખવા જેવી નજીવી બાબતે પિત્તો ગુમાવ્યો હતો અને ત્યાં હાજર એક યુવક સાથે ઉગ્ર તકરાર કરી હતી. આવેશમાં આવી ગયેલા કોન્સ્ટેબલે યુવકને જાહેરમાં ધડાધડ લાફા ઝીંકી દીધા હતા અને અપશબ્દો બોલી, વાળ ખેંચીને નિર્દયતાપૂર્વક માર માર્યો હતો.
પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલા આ હુમલાની સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આટલી હિંસક વર્તણૂક બાદ મામલો ગંભીર બનતા અંતે કોન્સ્ટેબલે યુવકની માફી માંગીને વિવાદ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. એક જવાબદાર પદ પર હોવા છતાં કાયદાના રક્ષકે નજીવી વાતમાં કાયદો હાથમાં લેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
શું પોલીસ હવે સામાન્ય જનતા માટે જોખમ બની રહી છે?
અમદાવાદમાં SMC પોલીસકર્મીની ગુંડાગીરી બાદ જનતામાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, શું પોલીસને સામાન્ય જનતા પર હાથ ઉપાડવાની છૂટ મળી ગઈ છે? વરદી પહેર્યા પછી આ પોલીસકર્મીઓ કાયદાનું ભાન કેમ ભૂલી જાય છે? શું પોલીસનું કામ હવે ગુંડારાજ ચલાવવાનું છે?
‘પોલીસ’નો ખોટેખોટો પાવર ક્યાં સુધી સહન કરશે ‘જનતા’?
જનતામાં એ વાતનો પણ રોષ છે કે, જે દાદાગીરી નિર્દોષ યુવક પર બતાવવામાં આવી, એવી તાકાત દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો સામે કેમ નથી દેખાતી? આખરે પોલીસ ફક્ત નબળા લોકો પર જ કેમ પિત્તો ગુમાવે છે? શું માત્ર માફી માંગી લેવાથી આવી હિંસક હરકત માફ કરી શકાય? જો સુરક્ષા કરનાર પોલીસ જ આવી રીતે ગુંડા જેવું વર્તન કરશે, તો સામાન્ય જનતાએ ન્યાયની આશા કોની પાસે રાખવી?
