Breaking News : મોંઘવારી વચ્ચે માનવતાની મિસાલ – મોંઘા ઇંધણ છતાં ભરૂચમાં મુસાફર અને સ્કૂલ રીક્ષાના ભાડામાં વધારો નહીં કરાય
ભરૂચ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને CNGના સતત વધી રહેલા ભાવ વચ્ચે અનેક ક્ષેત્રોમાં ભાવ વધારાની હોડ જોવા મળી રહી છે. પરિવહન, ખાદ્યપદાર્થો અને દૈનિક જરૂરિયાતોની વસ્તુઓના ભાવ વધતા સામાન્ય નાગરિક પર આર્થિક બોજ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભરૂચના રિક્ષાચાલકોએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા મુસાફરોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ભરૂચ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને CNGના સતત વધી રહેલા ભાવ વચ્ચે અનેક ક્ષેત્રોમાં ભાવ વધારાની હોડ જોવા મળી રહી છે. પરિવહન, ખાદ્યપદાર્થો અને દૈનિક જરૂરિયાતોની વસ્તુઓના ભાવ વધતા સામાન્ય નાગરિક પર આર્થિક બોજ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભરૂચના રિક્ષાચાલકોએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા મુસાફરોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
સરકારી પરિપત્ર સુધી ભાડું યથાવત રહેશે
રીક્ષા ચાલકોના સંગઠને સ્પષ્ટ કર્યું છે કે સરકાર દ્વારા ભાડા વધારાનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી હાલના રીક્ષા ભાડામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. ઇંધણના ખર્ચમાં વધારો થયો હોવા છતાં મુસાફરો પર વધારાનો આર્થિક બોજ નાખવામાં નહીં આવે તેવી ખાતરી રિક્ષાચાલકોએ આપી છે.

વાલીઓને મોટી રાહત : સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો નહીં
આગામી સપ્તાહથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવા જઈ રહી છે. સ્કૂલો શરૂ થતાં જ હજારો વિદ્યાર્થીઓ રીક્ષા અને વાન સેવાઓ પર નિર્ભર રહે છે. આવા સમયે સ્કૂલ રીક્ષાના ભાડામાં વધારો નહીં થાય તેવા નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. નવા સત્રમાં હાલના ભાડા જ યથાવત રાખવામાં આવશે.
આમ આદમીની વ્યથા : ઘર કેમનું ચલાવીએ!!!
સામાન્ય નાગરિકોનું કહેવું છે કે રોજના માત્ર 300થી 400 રૂપિયા કમાતો વ્યક્તિ વધતી મોંઘવારી વચ્ચે જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યો છે. જો પરિવહન ખર્ચમાં પણ વધારો થશે તો પરિવારનું બજેટ ખોરવાઈ જશે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વધારાના 50 રૂપિયા પણ આજની મોંઘવારીમાં ક્યાંથી કાઢવા?

ઇંધણમાં એક મહિનામાં ચાર વખત ભાવ વધારો
છેલ્લા એક મહિનામાં ઇંધણના ભાવમાં ચાર વખત વધારો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં ભરૂચના રિક્ષાચાલકોએ પોતાના વધેલા ખર્ચનો બોજ મુસાફરો પર ન નાખવાનો નિર્ણય કરીને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિશ્વસ્તરે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે સર્જાયેલા તણાવની અસર ઊર્જા બજાર પર જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય ચેઇનને અસર થવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા સર્જાઈ છે. જેના કારણે દેશમાં પણ ઇંધણના ભાવ પર દબાણ વધ્યું છે.

યુદ્ધ વિરામ તરફ રાહતની આશા
જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ વિરામના પ્રયાસો ચાલી રહ્યા છે. જો આ પ્રયાસો સફળ રહેશે તો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને તેના સીધા લાભ રૂપે પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ પણ નીચા આવી શકે છે. તે આશા વચ્ચે હાલ ભરૂચના રિક્ષાચાલકો મુસાફરોને રાહત આપવાનો સંકલ્પ જાળવી રાખ્યો છે.
