બનાસકાંઠામાં જાહેર માર્ગ પર રખડતા ઢોરે અડીંગો જમાવતા રાહદારીઓ ત્રસ્ત, તંત્ર મસ્ત- જુઓ Video
પાલનપુર શહેર અને હાઇવે પર રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રસ્તાઓ પર અડીંગો જમાવતા ઢોરોને કારણે વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતના ભય વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા હવે નાગરિકો અને નગરપાલિકાના વિરોધ પક્ષે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.પાલનપુર શહેરના મુખ્ય માર્ગો હોય કે પછી હાઇવે. રખડતા ઢોરોનો અડીંગો સામાન્ય બાબત બની ગઈ છે.

પાલનપુર શહેર હોય કે હાઇવે હોય રસ્તાઓ પર બેસેલા કે અચાનક રસ્તા વચ્ચે આવી જતા ઢોરોને કારણે વાહનચાલકો અકસ્માતના ભય વચ્ચે વાહન ચલાવે છે. રાહદારીઓ માટે પણ રસ્તો પાર કરવો જોખમી બની રહ્યો છે. અનેક વખત રખડતા ઢોરના પ્રશ્નને લઈને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ યોગ્ય અને કાયમી નિકાલ ન આવતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નગરપાલિકાના વિરોધ પક્ષે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. વિરોધ પક્ષના જણાવ્યા પ્રમાણે, રખડતા ઢોરને કારણે અગાઉ પણ કેટલાક લોકોના મોત થયા છે અને અનેક લોકો અકસ્માતમાં ઘાયલ થયા છે. જોકે, જ્યારે પણ કોઈ મોટી ઘટના બને છે ત્યારે નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયાનું કારણ આગળ ધરવામાં આવે છે.
પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરનું પણ કહેવું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષથી માત્ર આ વાતનું રટણ થાય છે કે ટેન્ડર પ્રક્રિયા થઈ છે પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી પરંતુ સવાલ એ છે કે વર્ષોથી ચાલતી આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે
એક તરફ પાંજરાપોળ સંચાલકો રખડતા ઢોરને સ્વીકારવા તૈયાર નથી. બીજી તરફ પશુમાલિકોના વિરોધ અને દબાણના કારણે પણ કામગીરીમાં મુશ્કેલીઓ ઉભી થતી હોવાનું સામે આવી રહ્યું છે. જેના કારણે ટેન્ડર પ્રક્રિયા અને કાર્યવાહી હોવા છતાં રસ્તાઓ પર રખડતા ઢોરનો પ્રશ્ન યથાવત છે.
પાલનપુરમાં રખડતા ઢોરનો પ્રશ્ન હવે માત્ર ટ્રાફિકની સમસ્યા નથી રહ્યો, પરંતુ લોકોની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો બની ગયો છે. અગાઉ અકસ્માતોમાં જાનહાનિ અને ઇજાના બનાવો સામે આવી ચૂક્યા હોવાના આક્ષેપો વચ્ચે હવે નાગરિકોની એક જ માંગ છે કે માત્ર આશ્વાસન નહીં, પરંતુ રસ્તાઓ પરથી રખડતા ઢોરનો કાયમી અને વ્યવસ્થિત નિકાલ કરવામાં આવે.
Input Credit- Atul Trivedi- Banaskantha