સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછતથી ધરતીપુત્રોની ચિંતા વધી
ગુજરાતમાં હાલ જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ કે ઓગસ્ટ મહિનામાં જોઈએ તેવો વરસાદ આવી રહ્યો નથી. જુન મહિનો પણ કોરો રહ્યો, જે બાદ જુલાઈમાં સારો વરસાદ પડ્યો પરંતુ ઓગસ્ટ મહિનામાં પણ જરૂરિયાત પ્રમાણેનો સારો વરસાદ નહીં વરસાદ હાલ જળસંકટના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં જોઈએ તેવો વરસાદ નથી વરસ્યો. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં સાવ નહિવત્ વરસાદ વરસ્યો છે. જેમા દ્વારકા અને કચ્છ જિલ્લા પર આ વખતે મેઘરાજા રિસાયા હોય તેવુ જોવા મળી રહ્યુ છે. કચ્છના કેટલાક શહેરોને બાદ કરતા વરસાદની અછત છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની અછત છે.
હાલ ચોમાસાની ઋતુના 85 દિવસ વીતી ગયા છે અને રાજકોટ જિલ્લામાં 70% વરસાદની અછત છે. સિઝનમાં 35.9 ઈંચની જરૂર સામે માત્ર 26.89 ઈંચ વરસાદ વરસ્યો છે. પરિણામે મગફળી અને કપાસના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. હાલ વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ ઓછુ થતા ખાસ કરીને મગફળીના પાકને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે, તેમનું કહેવુ છે કે જો આમ ને આમ રહેશે તો તેઓ મગફળીનો જોઈએ તેવો ફાલ નહીં લઈ શકે. મગફળીનો પાક જે ઉતરશે તેના દાણા મોટા અને ફુલેલા નહીં પરંતુ એકદમ નાના દાણાનો પાક આવશે. આવી મગફળીના ભાવ પણ સારા ઉપજતા નથી.
આ તરફ રાજકોટ જિલ્લામાં સરેરાશ 47 ટકા વરસાદ નોંધાયો છે. હાલ વરસાદ ખેંચાતા ખેતીના પિયતવાળા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. હાલ ખેડૂતોએ રાજકોટ જિલ્લામાં 5.23 લાખ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર કર્યુ છે. 3.24 હેક્ટરમાં મગફળી અને 1.08 હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યુ છે. વરસાદ ખેંચાવાના કારણે પિયતવાળા આ બંને પાકને નુકસાનીની ચિંતા ધરતીપુત્રો ને સતાવી રહી છે.
