શું ખાંડની નિકાસ કરતા દેશે 10 વર્ષ બાદ ફરી એકવાર ખાંડની આયાત કરવી પડશે? આખરે ખાંડના ભાવમાં અચાનક કેમ થયો ધરખમ વધારો? વાંચો
આ ભારત છે અહીં દિવસની શરૂઆત ચા થી થાય છે. અહીં તહેવારો મીઠાઈ વિના સૂના અને અધૂરા લાગે છે. અહીં ઘરથી લઈને કામના સ્થળ સુધી ખાંડ (સુગર) જીવન જરૂરી વસ્તુ છે. આવા સમયે ખાંડના ભાવમાં અચાનક વધારો થવો એ માત્ર એક કોમોડિટી રેટ નથી. પરંતુ ઘરના બજેટનો પણ સવાલ છે. છેલ્લા થોડા દિવસોમાં ખાંડમાં જે ભાવ વધારો થયો છે તેને જોતા સવાલ એ નથી કે ખાંડ કેટલી મોંઘી થઈ પરંતુ સવાલ એ છે કે અચાનક ખાંડ આટલી મોંઘી કેમ થઈ ગઈ? ભારતમાં છેલ્લા10 વર્ષ બાદ ફરી એકવાર ખાંડની આયાત (import) કરવા અંગે વિચારણા ચાલી રહી છે, જે ખરેખર આશ્ચર્યજનક છે કારણ કે ભારત અગાઉ ખાંડની નિકાસ (export) કરતો દેશ હતો. ખાંડના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ પૂરવઠો ઘટવો અને માગ વધવાનું છે ત્યારે હવે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે વિશ્વમાં બીજા નંબરે ખાંડનું ઉત્પાદન કરતા દેશે શું હવે ખાંડ પણ આયાત કરવી પડશે?

હાલ દેશમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આવનારા દિવસોમાં આ મોંઘવારીની મીઠાશ વધુ કડવી થવાની છે? એવી આશંકા એટલે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે માર્કેટમાં આજે ખાંડના ભાવ 60 થી 65 રૂપિયા સુધી પહોંચવાની ખબર છે. એટલે કે જે ખાંડના ભાવ થોડા સમય પહેલા 45 રૂપિયાની આસપાસ હતા તેમાં માત્ર થોડા દિવસોના અંતરાલમાં 40% વધ્યા છે. વેપારીઓ પણ જણાવે છે કે છેલ્લા 20 દિવસમાં ખાંડના ભાવમાં 22 રૂપિયા સુધીનો વધારો થયો છે. 10 દિવસમાં ખાંડના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. સાત દિવસ પહેલા ખાંડનો ભાવ 48 રૂપિયા હતો જે વધીને હોલસેલ માર્કેટમાં 62 રૂપિયાએ પહોંચી ગયો છે. આ ભાવ વધારો માત્ર એક શહેર કે એક રાજ્યની નહીં પરંતુ દિલ્હી NCR ના બઝારોથી લઈને ભોપાલ અને ગુજરાત સુધી વેપારીઓ પણ આ તેજીને અનુભવી રહ્યા છે.
વેપારીઓ પણ આને ઐતિહાસિક ભાવવધારો ગણાવે છે, 36 વર્ષથી કરિયાણાનો વેપાર કરતા દુકાનદાર જણાવે છે કે તેમણે 36 વર્ષમાં ખાંડમાં આટલો ભાવ વધારો નથી જોયો. એટલે કે બજારમાં ખાંડના ભાવ વધવા પાછળનું પહેલુ કારણ છે પૂરવઠાની અછત.. સપ્લાયની કમી.
સપ્લાયમાં અછત આવી કેવી રીતે?
પ્રાપ્ત વિગતો અનુસાર ડોમેસ્ટિક બજારમાં પૂરવઠો ઓછો થવો અને તહેવારો સમયે માગ વધવાને કારણે ભાવ વધારો થઈ રહ્યો છે. જો કે અહીં સવાલ એ પણ છે કે શું ખાંડના આ ભાવવધારા પાછળ માત્ર વાતાવરણ અને સપ્લાઈ ની કમી જ કારણભૂત છે? કે પછી શેરડીનો ઉપયોગ અને ઈથેનોલની વધતી માગનું પણ કોઈ કનેક્શન છે? શેરડીમાંથી ખાંડ તો બને જ છે પરંતુ એ જ શેરડીમાંથી હાલ ઈથેનોલ પણ બનાવવામાં આવી રહ્યુ છે. હવે જ્યારે શેરડીનો ઉપયોગ અન્ય જરૂરતો માટે વધશે તો સવાલ તો થવાનો જ છે કે ખાંડ માટે શેરડીની ઉપલબ્ધતા પર તેની કેટલી અસર પડે છે.
આ ખાંડની અછત અને ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ ઇથેનોલ વિવાદ છે. સરકાર પેટ્રોલના આયાત બિલ (import bill) ને ઘટાડવા અને ક્રૂડ ઓઇલની આયાત ઓછી કરવા માટે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરી રહી છે. પરંતુ, આ ઇથેનોલનો લગભગ 30% થી 35% ભાગ શેરડી કે ખાંડમાંથી જ બનાવવામાં આવે છે. શેરડીમાંથી ખાંડ બનાવવાને બદલે તેમાંથી ઇથેનોલ બનાવવામાં આવતા ખાંડની ભારે અછત ઊભી થઈ છે અને ખાંડનો ઉત્પાદન ઘટી ગયુ છે. આ નીતિના કારણે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં આપણે તેલની આયાત બચાવવા માટે ઇથેનોલ બનાવ્યું, પણ હવે આપણે ખાંડની આયાત કરવી પડશે, અને જો અમેરિકા સાથે વ્યાપારી કરાર થશે તો અમેરિકાથી ઇથેનોલ પણ આયાત કરવું પડી શકે છે. આ જ કારણે વિરોધ પક્ષો (જેમ કે કોંગ્રેસ અને આપ) સરકારની આ નીતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે કે જો પેટ્રોલ આયાત બિલ બચાવીને ખાંડ આયાત કરવી પડે, તો તેમાં કઈ સમજદારી છે?
વૈશ્વિક સ્તરે ખાંડનુ ઉત્પાદન
ખાંડનું સૌથી વધુ ઉત્પાદન બ્રાઝિલમાં થાય છે. જ્યા દર વર્ષે સરેરાશ 190 કરોડ ટન શેરડીનુ ઉત્પાદન થાય છે. જેમા બ્રાઝીલ 40% હિસ્સો સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને છે
ભારતમાં 54.5 લાખ હેક્ટર જમીન પર આશરે 45 કરોડ ટન શેરડીનું ઉત્પાદન થાય છે. ભારત 23 % હિસ્સા સાથે વિશ્વમાં બીજા સ્થાને છે. ભારતમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં શેરડીનું ઉત્પાદન થાય છે. ત્યારબા મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યો છે. ભારતના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં આવેલી સુગર રિફાઈનરીઓએ પોતાને ત્યાં મોટાપાયે ઈથેનોલ બનાવવાનું પણ શરૂ કર્યુ છે અને તેના કારણે પણ અછત સર્જાઈ રહી હોવાનું પણ એક કારણ સામે આવ્યુ છે.
હાલ વેપારીઓએ પણ બફર સ્ટોક કરી લીધો છે જેના કારણે માર્કેટમાં પૂરવઠો ઘટી ગયો છે. બીજી તરફ પર્યાવરણવિદોના જણાવ્યા અનુસાર અલ નીનોની ઈફેક્ટટને કારણે વાવણીની ચિંતા વધી છે જો કે વાસ્તવિક્તા એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં શેરડીના વાવેતરમાં વધારો છયો છે. અને મોટા વિસ્તારોમાં શેરડી ઉગાડવામાં આવી રહી છે.
તહેવારો સમયે ખાંડના ભાવ વધવાથી આમ આદમીના રસોડાનું બજેટ ખોરવાયુ
ખાસ કરીને તહેવારો સમયે તેની અસર વધુ જોવા મળશે. હાલ શ્રાવણ ચાલી રહ્યો છે. લોકો શ્રાવણ મહિનામાં અનેક વ્રત ઉપવાસ કરતા હોય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. ત્યારબાદ ગણેશોત્સવ, નવરાત્રિ, દશેરા અને હિંદુઓનો સૌથી મોટો તહેવાર દીપાવલી પણ આવી રહ્યો છે.
એટલે જે સમયે બજારમાં મીઠાઈ, તેલ અને ખાંડની માગ વધવાની છે, ત્યારે તહેવારોની શરૂઆત પહેલા જ ખાંડના ભાવમાં ધરખમ વધારો થયો છે. લોકો માટે સૌથી વધુ મુશ્કેલ એ છે કે આજ સુધી ખાંડમાં ક્યારેય આટલો ભાવવધારો થયો નથી. આમ નાગરિકોનું પણ એજ કહેવુ છે કે એકાદ-બે રૂપિયા ભાવ વધે તો સમજી શકાય છે તે સરભર થઈ જાય પરંતુ સીધો 20-25 રૂપિયાનો ભાવ વધારો જોતા લાગતુ નથી કે આ ભાવવધારો ક્યારેય નીચે આવશે. હાલ તો ભાવ વધવામાં જ છે. નીચે ઘટવાની તો કોઈ આશા દેખાઈ રહી નથી.
હાલ માત્ર 17 દિવસમાં જ ખાંડના ભાવમાં 40% જેટલો ઝડપી ઉછાળો આવ્યો છે જેના કારણે જમાખોરા અને કાળાબજારીની આશંકાઓ પણ વધી ગઈ છે. સરકારે આ કૃત્રિમ અછતને રોકવા માટે હોલસેલ વેપારીઓ પર સ્ટોક મર્યાદા લાગુ કરવાનો આદેશ કર્યો છે. હાલ સરકારે ખાંડની નિકાસ કરવા પર પણ પ્રતિબંધ મુક્યો છે. અને આયાત ડ્યુટીમાં 100% કાપ મુકવાની પણ વિચારણા કરી રહી છે. ભવિષ્યમાં નવું ઉત્પાદન બજારમાં આવતા ડિમાન્ડ અને સપ્લાયનું સંતુલન સુધરી શકે છે, પરંતુ હાલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ (E20) નીતિ અંગે સરકાર પર મોટું દબાણ વધી શકે છે
હાલ સરકાર પણ આ બાબતે સક્રિય થઈ છે. વધતા ભાવને રોકવા માટે હોલસેલ વેપારીઓ અને ડીલર્સના બફર સ્ટોક પર કડક પ્રતિબંધ લગાવાયા છે. હોલસેલ વેપારીઓ હવે 10 લાખ મેટ્રિક ટન થી વધુ ખાંડનો જથ્થો નહીં રાખી શકે. આ આદેશ 31 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. પરંતુ જો ખાંડના ભાવ થોડા દિવસોની અંદર જ 45 રૂપિયા થી 65-70 રૂપિયા સુધી પહોંચી શકે છે તો ડર માત્ર આજની મોંઘવારીનો નથી. આશંકા એ પણ જોવાઈ રહી છે કે જો સપ્લાયનુ દબાણ યથાવત રહ્યુ અને તહેવારોમાં માગ વધી તો ભાવ હજુ પણ વધી શકે છે અને તેની સીધી અસર આમ આદમીના રસોડાના બજેટ પર પડશે.
આપને જાણીને લાગશે કે અત્યાર સુધી ભારત ખાંડ એક્સપોર્ટ કરનારો દેશ હતો. પરંતુ હાલની સ્થિતિને જોતા એવુ લાગી રહ્યુ છે કે સરકારે ખાંડને આયાત કરવા પર વિચાર કરવો પડી શકે છે. છેલ્લા 10 વર્ષથી આપણે ખાંડની માત્ર નિકાસ કરીએ છીએ પરંતુ જો માગ વધી તો આપણે પણ આયાત કરવી પડી શકે છે.
