આણંદ જિલ્લામાં પલ્સ પોલિયો ઈમ્યુનાઈઝેશનનો રાઉન્ડ 27 ફેબ્રુઆરીના રોજ યોજાશે
આણંદ જિલ્લાના 8 તાલુકામાં કુલ 1130 બુથ, 163 મોબાઈલ ટીમ, 86 ટ્રાન્ઝીટ ટીમ, 5018 કર્મચારીઓ, 244 સુપરવાઈઝરો દ્વારા અંદાજીત 5 વર્ષથી નાની ઉંમરના 2,31,215 બાળકોને પોલિયોની રસી પીવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
Anand : પોલિયોના કોઈ નવા કેસ ન થાય તે માટે બાળકોમાં (Child)પોલિયો રોગપ્રતિકારક શકિત (Polio Immunity)હોવી જરૂરી છે. તે માટે સમગ્ર રાષ્ટ્રમાં 5 વર્ષથી નાની ઉંમરના તમામ બાળકોને તા.27/2/2022 ના રોજ પોલિયોની રસીના ટીપાં પીવડાવવા પલ્સ પોલિયો ઈમ્યુનાઈઝેશન રાઉન્ડનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ પલ્સ પોલિયો ઈમ્યુનાઈઝેશનનો રાઉન્ડ તા.27/2/2022 ના રોજ યોજાશે.
આણંદ જિલ્લાના 8 તાલુકામાં કુલ 1130 બુથ, 163 મોબાઈલ ટીમ, 86 ટ્રાન્ઝીટ ટીમ, 5018 કર્મચારીઓ, 244 સુપરવાઈઝરો દ્વારા અંદાજીત 5 વર્ષથી નાની ઉંમરના 2,31,215 બાળકોને પોલિયોની રસી પીવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લઇ પાંચ વર્ષથી નાના બાળકોના વાલીઓએ નજીકના રસીકરણ બુથ ઉપર તેઓના બાળકને લઈ જઈને પોલિયોની રસીના ટીપાં પીવડાવવા અને કોઈપણ આવું બાળક રસીથી વંચિત રહી ના જાય તે માટે અનુરોધ કરવામાં આવે છે. આ કામગીરી સચોટ રીતે થાય તે માટે તાલુકા કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી સુપરવિઝન માટે ટીમ બનાવી સતત મોનીટરીંગ કરવામાં આવશે.
ઉપરાંત, જિલ્લામાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન,ચોકડી વિસ્તાર, ઝુંપડપટ્ટી, ઇંટોના ભઠ્ઠા, કન્સ્ટ્રકશન સાઇટ જેવા વિસ્તારોમાં મોબાઇલ ટીમ દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવશે તેમજ જાહેર સ્થળોએ ટ્રાન્ઝીટ ટીમનું આયોજન કરેલ છે. ઉપરોક્ત વિસ્તાર અને શહેરમાં મોટી બિલ્ડીંગો કે જ્યાં આવા બાળકો રસિકરણથી વંચિત રહી જવાની શક્યતાઓ વધુ છે ત્યાં ખાસ તકેદારી રાખવા કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.
તા. 27મી ફેબ્રુઆરીના રોજ બૂથ કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ કારણોસર રહી ગયેલ 0 થી 5 વર્ષની વય સુધીના તમામ બાળકો શોધીને તેઓને પોલિયોની રસીથી રક્ષિત કરવાની કામગીરી તા. 28 ફેબ્રુઆરી અને 1 લી માર્ચના રોજ ઘેર ઘેર ફરીને કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે.
જન સમુદાયમાં પલ્સ પોલિયો ઝુબેશ અંગે જાગૃતિ આવે તે માટે દરેક આરોગ્ય કેન્દ્ર દ્વારા તેમના વિસ્તારમાં માઈક ધ્વારા પ્રચારનું આયોજન કરવામાં આવેલ છે. જાહેર સ્થળે બેનર્સ, પોસ્ટર્સ પ્રદર્શિત કરવામાં આવેલ છે. તથા આશા બહેનો દ્વારા વ્યકિતગત સંપર્ક દ્વારા પોલિયો રાઉન્ડને સફળ બનાવવાનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમને સફળતાપુર્વક પાર પાડવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સુપરવિઝન માટે તાલુકા ફાળવવામાં આવેલ છે.તેમજ તાલુકા લેવલના સુપરવાઇઝર દ્વારા હાઇ રીસ્ક એરીયામાં પણ મોનીટરીંગ અને સુપરવિઝનની કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો : ધર્મનગરી દ્વારકા રાજકીય મુદે સ્ટાર્ટર પોઈન્ટ, અનેક વખત રાજકીય પક્ષોએ પોતાના કાર્યક્રમની શરુઆત અહીંથી કરી છે
આ પણ વાંચો : Jamnagar: શહેરમાં આંગણવાડીની હાલત દયનીય, ક્યાંક ભાડાની જગ્યામાં તો ક્યાંક તૂટેલી છત નીચે ચાલે છે આંગણવાડી