Anand: પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોના ખેતર ઉપર જ સંશોધનો હાથ ધરાશે, “લેન્ડ ટુ લેબ’નો નવો અભિગમ અમલમાં મૂકાશે
કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો.સી. કે. ટીંબડીયાએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રાકૃતિક અને સેન્દ્રિય કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા પ્રાકૃતિક ખેતીના (Natural farming) સંશોધન માટે હવેથી ખેડૂતના ખેતર પર જ સંશોધનો થશે.
આણંદમાં (Anand) આવેલા ગુજરાત પ્રાકૃતિક અને સેન્દ્રિય કૃષિ વિશ્વવિદ્યાલયમાં આણંદ, ખેડા (Kheda) અને વડોદરા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં તાલુકા સંયોજકોનો સેમિનારમાં યોજાયો હતો. જેમાં કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો.સી. કે. ટીંબડીયાએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રાકૃતિક અને સેન્દ્રિય કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા પ્રાકૃતિક ખેતીના સંશોધન માટે હવેથી ખેડૂતના ખેતર પર જ સંશોધનો હાથ ધરી ‘લેન્ડ ટુ લેબ’નો નવો અભિગમ અમલમાં મૂકવામાં આવશે.
“લેન્ડ ટુ લેબ’નો નવો અભિગમ અમલમાં આવશે
આ સેમિનારમાં ડો. સી. કે. ટીંબડીયાએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધી આપણે ‘લેબ ટુ લેન્ડ’ના અભિગમથી કૃષિ સંશોધનો હાથ ધરતા હતા, પરંતુ હવે સમય આવી ગયો છે કે પ્રાકૃતિક કૃષિના સંશોધનો માટે ખેડૂતના ખેતર ઉપર જ સંશોધનો હાથ ધરી “લેન્ડ ટુ લેબ’નો નવો અભિગમ અમલમાં મૂકવો પડશે. આ અભિગમના કારણે ખેડૂતોને ખેતીને વૈજ્ઞાનિક રીતે સમજવાનો અવસર મળશે તેમજ તેઓના ખેતર પર થયેલ સંશોધનોનો વ્યાપક ખેડૂત સમાજને પણ લાભ મળશે.
ખેડૂતોના ખેતર પર જ થશે સંશોધન
આ નવા પ્રયોગની ટેકનિકલ જાણકારી આપતા યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. કે. ડી મેવાડાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી, સેન્દ્રિય ખેતી, આંશિક પ્રાકૃતિક ખેતી તેમજ રસાયણિક ખેતી કરતાં કુલ 40 ખેડૂતો પસંદ કરી તેઓના ખેતર ઉપર જ સંશોધન કરીને ઉત્પાદન અને જમીનની ઉત્પાદકતા ઉપર થતાં ફેરફારો નોંધવામાં આવશે. જેનાથી ખેડૂતના ખેતર ઉપર ઉદભવતા પ્રશ્નોથી વૈજ્ઞાનિક સારી રીતે વાકેફ થઈ શકશે અને સ્થળ ઉપર જ જે તે સમસ્યાનું નિવારણ લાવી શકાશે.
તો ડો. મેવાડાએ વધુમાં ઉમેર્યુ હતું કે, ખેડૂતના ખેતરે કરવામાં આવનાર સંશોધનની દેખરેખ અને માર્ગદર્શન માટે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, રાજ્યની કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો અથવા તાલીમ લીધેલી એનજીઓનાં તજજ્ઞોની સેવાઓનો લાભ લેવામાં આવશે.
પ્રાકૃતિક ખેતી કરતાં તાલુકા સંયોજકો રહ્યા હાજર
પ્રાકૃતિક કૃષિના ગુજરાત રાજ્યના સંયોજક દીક્ષિતભાઈ પટેલ અને આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના નિવૃત્ત આચાર્ય ડો. એમ. વી. પટેલે ખાસ ઉપસ્થિત રહી તાલુકા સંયોજકોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ સેમિનારમાં આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં તાલુકા સંયોજકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.