સાહેબને ખાલી ફોટો પડાવવાનો હતો ? સાબરમતી સફાઈ અભિયાનમાં મંત્રીની ટૂંકી હાજરી પર ઉઠ્યા સવાલો, જુઓ Video
સાબરમતી નદીના કિનારે યોજાયેલા સફાઈ અભિયાનમાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની ૧૫ મિનિટની હાજરી ચર્ચાનો વિષય બની છે. શહેરીજનો સવારથી જ સફાઈમાં જોડાયા હતા.

અમદાવાદના સાબરમતી નદીના કિનારે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો, પરંતુ આ અભિયાન સ્વચ્છતા કરતાં કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની ટૂંકી હાજરી અને ફોટોગ્રાફીના કારણે વધુ ચર્ચામાં રહ્યું છે. આ સફાઈ અભિયાનમાં શહેરીજનો અને વિવિધ સ્વયંસેવક સંસ્થાઓ સવારે ૭ વાગ્યાથી સફાઈ કાર્યમાં જોડાઈ ગઈ હતી. જોકે, કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ સવારે ૮ વાગ્યે સ્થળ પર પહોંચ્યા અને માત્ર ૧૫ મિનિટમાં જ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરાવીને રવાના થઈ ગયા હતા. આનાથી સમગ્ર અભિયાન “ફોટો અભિયાન” કે “પબ્લિસિટી સ્ટંટ” છે તેવા સવાલો ઉભા થયા છે.
આ ઘટનાક્રમ દરમિયાન મેયર સહિત એએમસીના પદાધિકારીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત હતા. નાગરિકોમાં ચર્ચા છે કે નેતાઓને માત્ર તસ્વીરોમાં જ રસ છે, જ્યારે વાસ્તવિક સફાઈનું કામ એનજીઓ અને સામાન્ય શહેરીજનો દ્વારા પાર પાડવામાં આવી રહ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “સ્વચ્છતા માટેની વ્યવસ્થા સરકાર ઊભી કરી શકે, પણ સ્વચ્છતાને સ્વભાવ બનાવવાનું કામ પ્રજાએ જાતે જ કરવું પડે.” તેમણે સ્વચ્છ ગામડા, મોહલ્લા અને શહેરો બનાવવાના મોટા અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો, જેનો ઉદ્દેશ્ય લોકોમાં સ્વચ્છતાનો સ્વભાવ કેળવવાનો છે.
જોકે, અમદાવાદના મેયર હિતેશ બારોટે મંત્રીના ટૂંકા રોકાણનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મંત્રીને અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી તેઓ વહેલા નીકળી ગયા હતા અને તેમનો મુખ્ય હેતુ માત્ર અભિયાનનો પ્રારંભ કરાવવાનો હતો. મેયરે વધુમાં સ્પષ્ટતા કરી કે મંત્રી અન્ય કાર્યક્રમમાંથી સીધા આવી રહ્યા હોવાથી થોડા મોડા પડ્યા હતા અને તેમને આ કાર્યક્રમની જાણ અર્જન્ટમાં કરાઈ હતી. તેમણે એ પણ ઉમેર્યું કે અભિયાન વાસ્તવમાં પર્યાવરણ દિવસથી શરૂ કરવાનું હતું, પરંતુ ત્રણ દિવસ વહેલા શરૂ કરાયું. મેયરે દાવો કર્યો કે નદીમાં સફાઈનું કામગીરી ચાલુ જ છે અને હજારો લોકો આ અભિયાનમાં જોડાયા છે.
સાબરમતી નદીને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ નિઃશંકપણે આવકારદાયક છે, પરંતુ કોઈપણ અભિયાનની સફળતા માત્ર ફોટોગ્રાફી કે પ્રચારથી નહીં, પરંતુ તેના પરિણામોથી માપવામાં આવે છે. સવાલ એ છે કે આ “સાબરમતી સફાઈ અભિયાન” ખરેખર નદીમાં બદલાવ લાવશે કે પછી માત્ર થોડા દિવસોની ચર્ચા બાદ ફાઈલોમાં જ સીમિત રહી જશે. આ સમગ્ર ઘટનાક્રમે જનતામાં નેતાઓની કાર્યશૈલી અને અભિયાનોના હેતુઓ વિશે ગંભીર ચર્ચાઓ જગાવી છે.
