NEET,UGમાં ગેરરીતિ મામલે હવે ભાજપની વિદ્યાર્થી વિંગ ABVP પણ આવી મેદાને, સરકાર સામે ઉગ્ર દેખાવો યોજી ન્યાયની કરી માગ- Video
કોંગ્રેસ અને NSUI બાદ હવે NEET, UG-NETની પરીક્ષામાં ચાલી રહેલી ગેરરીતિને લઈને ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPએ સરકાર સામે મોરચો માંડ્યો છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સાથે મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓએ ઉગ્ર દેખાવો યોજી NEETમાં સામે આવેલી ગરબડીઓ સામે CBI તપાસની માગ કરી છે.
NEETની પરીક્ષામાં સામે આવેલી ગેરરીતિ મામલે હવે રાજનીતિ પણ તેજ થઈ છે. આ મુદ્દે કોંગ્રેસ દેશભરમાં ફ્રન્ટફુટ પર રમી રહી છે અને સરકારને સતત ઘેરવાની કોશિશ થઈ રહી છે. ગઈકાલે ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસના નેતાઓ અને NSUIના કાર્યકર્તાઓએ મળીને નક્લી નોટો ઉડાડી ઉગ્ર દેખાવો કર્યા હતા. જે બાદ હવે ભાજપની જ વિદ્યાર્થી પાંખ ગણાતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ આ મામલે સતત વિરોધ થઈ રહ્યો છે. આજે ABVPના કાર્યકર્તાઓએ પણ ગુજરાત યુનિવર્સિટી ખાતે NEET તેમજ UG-NETમાં સામે આવેલી ગેરરીતિ મામલે ઉગ્ર દેખાવ કર્યા અને આ સમગ્ર ગરબડીઓની તપાસ માટે CBI તપાસની માગ કરી છે.
આ મામલે કોંગ્રેસ દ્વારા પણ સતત સરકારને ઘેરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ પણ વિદ્યાર્થીઓને મળી તેમની સમસ્યાઓ જાણી હતી અને તેમના પ્રશ્નોને મજબુતાઈથી સડકથી લઈને સંસદ સુધી ઉઠાવવાનું આશ્વાસન આપ્યુ છે. રાહુલે એ પણ આરોપ લગાવ્યો કે શિક્ષણમાં સામે આવેલી ગરબડીમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત ત્રણ રાજ્યો મુખ્ય છે અને સંસદમાં પણ નીટ મુદ્દે ચર્ચા થવી જોઈએ.
વિદ્યાર્થીઓ દ્વારા NTAને રદ કરવાની માગ
આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં NEET-UG સામે દાખલ કરાયેલી અરજીમાં NEET-UG ની કાઉન્સિંલીંગ પ્રક્રિયા પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટ દ્વારા્ ફગાવી દેવામાં આવી છે. નીટ-યુજીની કાઉન્સિંલગ પ્રક્રિયા 6 જૂલાઈથી શરૂ થવાની છે. જ્યારે NEET પેપરલીક, NEETની પરીક્ષા રદ કરવી અને NEETમાં સામે આવેલી ધાંધલી સામે CBI તપાસની માગ કરતી યાચિકા પર સુપ્રીમ કોર્ટમાં 8 જૂલાઈએ સુનાવણી થવાની છે.
2019થી નીટની કાર્યપ્રણાલી સામે ઉઠી રહ્યા છે સવાલ
બીજી તરફ NTA દ્વારા જે 6 એક્ઝામ સેન્ટર પરના 1563 ઉમેદવારોને ગ્રેસીંગ માર્ક્સનો લાભ અપાયો હતો તેમને હાલ બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમા ઉમેદવારો RE-NEET એક્ઝામ આપે અથવા ગ્રેસીંગ માર્ક્સ વિનાના સ્કોર સાથે 6 જૂલાઈએ થનારી કાઉન્સિલિંગ પ્રોસેસમાં સામેલ થાય. RE-NEET એક્ઝામ 23 જૂને આયોજિત થશે, જ્યારે રિઝલ્ટ 30 જૂને જારી કરવામાં આવશે. આ સમગ્ર મામલે અત્યાર સુધીની NTAની કામગીરી સતત શંકાસ્પદ રહી છે. આથી વિદ્યાર્થીઓએ NTA ને જ રદ કરવાની માગ કરી રહ્યા છે. 2018 થી અત્યાર સુધીમાં નીટ દ્વારા JEE Main, NEET, UGC NET, JNUEE, CMAT સહિત અનેક પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી પરંતુ 2019થી સતત દર વર્ષે નીટ, JEE Mains અને CUET ની પરીક્ષાઓમાં નાની-મોટી ગેરરીતિઓ જોવા મળી છે. જો કે નીટ-યુજીમાં એક કરતા વધુ ગેરરીતિઓ દર વર્ષે સામે આવતી રહે છે આથી નીટની વિશ્વસનિયતા પર અને કાર્યપ્રણાલી અનેક સવાલ ખડા કરે છે.