શું ભાજપ લડ્યા પહેલા જ હાર ભાળી ગઈ? અમદાવાદમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ટિકિટ પરત લેવા દબાણ કરાતુ હોવાના કર્યા આક્ષેપ
ગુજરાતની સૌથી મોટી અમદાવાદ મહાનગપાલિકાની ચૂંટણીનો જંગ દિવસે ને દિવસે વધુ આક્રમક બની રહ્યો છે. સત્તાપક્ષ દ્વારા વિરોધી પક્ષના ઉમેદવારને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આરોપો એક બાદ એક વોર્ડમાંથી સામે આવી રહ્યા છે. શહેરના પોશવિસ્તાર ગણાતા જોધપુર વોર્ડ, તેમજ ચાંદલોડિયા વોર્ડના ઉમેદવારને આ પ્રકારે ધમકાવવાનો આરોપ બંને વોર્ડના કોંગ્રેસના સદસ્યોએ લગાવ્યો છે.
Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. 15 એપ્રિલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો લાસ્ટ દિવસ છે. ત્યારે હવે સત્તાપક્ષ દ્વારા વિરોધી પાર્ટીના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા માટેનું દબાણ લાવવામાં આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પહેલે થી જ ઉમેદવારોને તૂટતા બચાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને તેમને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે; જેમા રાજકોટ, સુરત, ખેડા, મહેસાણા સહિતના જિલ્લાના ઉમેદવારો સામેલ છે. જો કે આ તમામ વચ્ચે અમદાવાદમાં પણ અનેક ઉમેદવારો દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમના પર ફોર્મ પરત લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. લોભ, લાલચ, પ્રલોભન, ધાક ધમકી, આપી તેમને ફોર્મ પરત લેવા માટે કહેવામાં આવતુ હોવાનો આક્ષેપ કોંગ્રેસના જોધપુર વોર્ડના ઉમેદવાર રૂહી શાહ, ચાંદલોડિયા વોર્ડના નેહલ પંચાલ અને પ્રદીપ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.
મધરાત્રે મહિલા કેન્ડીડેટના ઘરે જઈ ધમકાવવામાં આવ્યા
જોધપુર વોર્ડના કેન્ડીડેટ રૂહી શાહના જણાવ્યા અનુસાર તેમની સામેના ઉમેદવાર વિનોદ પટેલે ફોન કરીને ફોર્મ પરત લેવા કહ્યુ હતુ, જો તેઓ ફોર્મ પરત લઈ લે છે તો પાંચ વર્ષની અંદર કોર્પોરેટર બનાવી આપવાની તેમજ જે અમાઉન્ટ બોલે તે આપવાનું પ્રલોભન આપ્યુ હતુ. હદ તો ત્યાં સુધી કરી નાખી કે મધરાત્રે એક મહિલા ઉમેદવારના ઘરે જઈને તેમને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમા મહિલા ઉમેદવારના સોસાયટીના અગ્રણી લોકોને પણ સાથે લેવામાં આવ્યા, તેમના દ્વારા પણ ફોર્મ પરત લેવા માટે દબાણ કરવામાં આવ્યુ હોવાનો રૂહી શાહનો આરોપ છે.
ચાંદલોડિયામાં નેહલ પંચાલને ફોર્મ પરત લેવા ભાજપ દ્વારા દબાણ કરાયુ
આ તરફ ચાંદલોડિયા વોર્ડના કેન્ડીડેટ નેહલ પંચાલ દ્વારા પણ ભાજપના ભરત પંચાલ સહિતના લોકો દ્વારા ફોર્મ પરત ખેંચવા માટે ધાક ધમકી અપાઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમનો આરોપ છે કે તેમને બે નાના બાળકોને લઈને હાલ તેમને ઘર છોડીને નીકળી જવુ પડ્યુ છે. માગે એટલા પૈસા આપીને ટિકિટ પરત લેવા માટે દબાણ કરવામાં આવતુ હોવાનો નેહલ પંચાલે ભાજપ પર આક્ષેપ કર્યો છે.
ચાંદલોડિયામાં પ્રદીપ પટેલે ફેમિલીને ધમકાવવાનો લગાવ્યો આરોપ
બીજી તરફ ચાંદલોડિયા વોર્ડના જ પ્રદીપ પટેલે પણ ભાજપ સામે દાદાગીરી કરવાનો અને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે તેમના ઘરે જઈને ફેમિલીને પણ ફોર્મ પરત લેવા માટે દબાણ કરી રહ્યા છે. ભાજપના 10 થી વધુ લોકોના ટોળા દ્વારા સતત ધમકાવવામાં આવતા હોવાનો તેમનો આક્ષેપ છે. હાલ તો આ ત્રણેય કોંગ્રેસના ઉમેદવારોએ પ્રદેશ કાર્યાલયે જઈને રજૂઆત કરી છે. જો કે આ તમામ ઉમેદવારોનો એક જ સૂર છે કે તેઓ ભાજપથી ડરતા નથી અને નીડરતાથી ચૂંટણીમાં ભાજપના કેન્ડીડેટનો સામનો કરશે અને હેલ્ધી કોમ્પીટિશન પણ આપશે. જો કે કોંગ્રેસના ઉમેદવારો હાલ જે પ્રકારે આક્ષેપ કરી રહ્યા છે તે જો સાચા હોય તો એક સવાલ ચોક્કસ થી થાય કે 30-30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ શું ચૂંટણી લડ્યા પહેલા જ હાર ભાળી ગઈ છે કે સત્તા પર ટકી રહેવા માટે સામદામદંડ નો સહારો લઈ રહી છે?
Input Credit- Narendra Rathod- Ahmedabad