Gujarat : એક સમયે AAP એ સુરક્ષા વધારવાની કરી હતી માગ, હવે કેજરીવાલ સુરક્ષાનો કરી રહ્યા છે ઈન્કાર !
અરવિંદ કેજરીવાલ રીક્ષા ચાલકના (Auto Driver) ઘરે જવા પર અડગ હતા, જ્યારે સુરક્ષા પ્રોટોકોલના કારણે પોલીસકર્મીઓએ તેમને મંજૂરી આપી રહ્યો નહોતા.
Ahmedabad : ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) મંગળવારે અમદાવાદમાં એક ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેની પોલીસકર્મીઓ (Ahmedabad police) સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તો બીજી બાજુ કેજરીવાલ રીક્ષા ચાલકના (Auto Driver) ઘરે જવા પર અડગ હતા, જ્યારે સુરક્ષા પ્રોટોકોલના કારણે પોલીસકર્મીઓએ તેમને મંજૂરી આપી રહ્યો નહોતા. દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી કહ્યું કે તેમને સુરક્ષાની જરૂર નથી. તો સાથે જ જો તેને કંઈ થશે તો તેના માટે તે પોતે જ જવાબદાર રહેશે તેવુ પણ જણાવ્યુ હતુ. જો કે સૌથી નવાઈની વાત તો એ છે કે આ પહેલા 21 ઓગસ્ટે જ AAPએ અરવિંદ કેજરીવાલ પર હુમલાની શક્યતા વ્યક્ત કરીને ગુજરાતમાં DGP પાસે સુરક્ષાની માગ કરી હતી.
સુરક્ષા અંગે કેજરીવાલે પોલીસને આપી લેખિત બાંહેધરી
દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન ગુજરાત પર ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. અરવિંદ કેજરીવાલે ગઈકાલે અમદાવાદમાં રીક્ષા ચાલકો સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઘણા રીક્ષા ચાલકોએ તેમની સમસ્યાઓ અને તેમના પ્રશ્નો કેજરીવાલની સામે મૂક્યા. આ દરમિયાન વિક્રમ દંતાણી (Viktram Dantani) નામના રીક્ષા ચાલકે અરવિંદ કેજરીવાલને તેમના ઘરે જમવા માટે બોલાવ્યા અને કહ્યું, “મેં એક વીડિયોમાં જોયું હતું કે તમે પંજાબમાં એક રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા, તો શું તમે મારા ઘરે જમવા આવી શકો છો ?”
અરવિંદ કેજરીવાલે રીક્ષાચાલકનું (Auto Driver) આમંત્રણ સ્વીકારી તેની સાથે ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અરવિંદ કેજરીવાલ સિંધુ ભવન રોડ પરની હોટલથી ઘાટલોડિયા જવા રીક્ષા નીકળ્યા હતા. જો કે પોલીસે સુરક્ષાના કારણો આગળ ધરીને તેમની રિક્ષા અટકાવી હતી. જે બાદ પોલીસ અને અરવિંદ કેજરીવાલ વચ્ચે થોડા સમય માટે ભારે રકઝક થઈ હતી. આખરે અરવિંદ કેજરીવાલે પોતાને કંઈપણ થાય તો પોતાની જવાબદારી રહેશે તેવી લેખિતમાં બાંહેધરી આપતા પોલીસે જવા દીધા હતા.