Breaking News : ઇબોલા વાયરસને લઈ ગુજરાત સરકાર એલર્ટ, હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર, એરપોર્ટ સ્ક્રીનિંગ શરૂ, જુઓ Video
કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં ઈબોલા કેસોને પગલે ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. ગુજરાત રાજ્યમાં ઈબોલાનો એકપણ કેસ નોંધાયો નથી, તેથી નાગરિકોએ ગભરાવું નહીં.

કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઈબોલા વાયરસના કેસો સામે આવતા ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને SOP મુજબ તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જોકે, હાલ ગુજરાત કે સમગ્ર ભારતમાં ઈબોલાનો એકપણ કેસ નોંધાયો નથી, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. આ માહિતી આરોગ્ય રાજ્ય મંત્રી Prafull Pansheriya દ્વારા આપવામાં આવી હતી.
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આરોગ્ય રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજ્યમાં ઈબોલા સામેની સજ્જતા, આગોતરા આયોજન અને તકેદારીના પગલાં અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી આ દેશોમાંથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ સ્ક્રીનિંગ માત્ર અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે જ છે અને અન્ય દેશોના મુસાફરો માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ખાસ વ્યવસ્થાઓ પણ ઉભી કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 32 બેડ અને સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડની અલગ સુવિધા તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલમાં શંકાસ્પદ મુસાફરો માટે 60 બેડનો અલગ આઇસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. જો કોઈ મુસાફર શંકાસ્પદ જણાશે તો કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ તાત્કાલિક સારવાર શરૂ કરી શકાય તેવી તમામ વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે.
આરોગ્ય મંત્રીશ્રીએ નાગરિકોને આશ્વાસન આપતા જણાવ્યું કે હાલ ગુજરાત કે ભારતમાં ઈબોલાનો એકપણ કેસ નોંધાયો નથી. તેથી લોકોમાં ભય કે અફવા ફેલાવાની જરૂર નથી. માત્ર અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરોએ જરૂરી તકેદારી રાખવાની છે. રાજ્યનું આરોગ્ય તંત્ર નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું.
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, કાર-ટ્રક ભયાનક ટક્કરમાં 4ના મોત, જુઓ Video
