Gujarat Assembly Election 2022 : અમદાવાદમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ પદયાત્રાની શરૂઆત, કાર્યકરોની પાંખી હાજરી
કોંગ્રેસની(Congress) આ પદયાત્રામાં 5 સપ્ટેમ્બરે અમદાવાદમાં યોજાનાર રાહુલ ગાંધીની પરિવર્તન સંકલ્પ સંમેલનમાં નાગરિકોને જોડાવવા, 10 સપ્ટેમ્બરે કોંગ્રેસના સાંકેતિક ગુજરાતને સમર્થન આપવા અપીલ કરાઈ રહી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022 )પહેલા શહેરી મતદાતાઓ સુધી પહોંચવા કોંગ્રેસે(Congress) પદયાત્રાનો રસ્તો અપનાવ્યો છે. 1-2 સપ્ટેમ્બરે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ પદયાત્રા થકી અમદાવાદ(Ahmedabad)શહેરની તમામ 16 વિધાનસભા બેઠકો પર જનતાના મુદ્દાઓ લઈ પહોંચી રહી છે.. 1 સપ્ટેમ્બરે કોંગ્રેસે અમદાવાદ શહેરની આઠ વિધાનસભાઓમાં પદયાત્રા યોજી છે. જેમાં જન-જન સુધી પહોંચવા અને જનસમર્થન મેળવવા પદયાત્રા ઉત્તમ માધ્યમ છે ત્યારે પદયાત્રાના માધ્યમ થકી મતદાતા સુધી પહોંચવાનો પ્રયત્ન કોંગ્રેસે શરૂ કર્યો છે.
પરિવર્તનનો સંકલ્પ સાથે કોંગ્રેસ જનજન સુધી પહોંચી
અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠક પર પરિવર્તન સંકલ્પ પદયાત્રા પૈકી 1 સપ્ટેમ્બર સવારે 4 અને સાંજે 4 વિધાનસભા બેઠક પર પદયાત્રા યોજાઈ છે. જેમાં સવારે વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકમાં પદયાત્રા યોજાઇ છે. જેમાં સાંજે એલિસબ્રિજ, દાણીલીમડા, જમાલપુર-ખાડિયા અને દરિયાપુર વિધાનસભામાં પદયાત્રા યોજાઈ હતી. જેમાં મોંઘવારીના મારથી મુક્તિ માટે મહિલા કરે પરિવર્તનનો સંકલ્પ, બેરોજગારીથી બચવા યુવાનો, કથળેલી કાયદો અને વ્યવસ્થાથી મુક્તિ માટે જનતા, શિક્ષણના વ્યાપારીકરણથી પરેશાન વાલીઓ અને વિદ્યાર્થીઓ, નશાખોરીથી યુવાધનને બચાવવા માતા-પિતા અને વારંવાર ફૂટતા પેપરોથી ત્રસ્ત યુવાનો કરે પરિવર્તનનો સંકલ્પ સાથે કોંગ્રેસ જનજન સુધી પહોંચી રહી છે.
આ કોંગ્રેસની આ પદયાત્રામાં 5 સપ્ટેમ્બરે અમદાવાદમાં યોજાનાર રાહુલ ગાંધીની પરિવર્તન સંકલ્પ સંમેલનમાં નાગરિકોને જોડાવવા, 10 સપ્ટેમ્બરે કોંગ્રેસના સાંકેતિક ગુજરાતને સમર્થન આપવા અપીલ કરાઈ રહી છે. આ વિધાનસભા ચૂંટણી પૂર્વે શહેરી વિસ્તારના મતદાતાઓ સુધી પહોંચવા માટે પદયાત્રા તો શરૂ કરાઇ પરંતુ આમાં પણ કેટલીક વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોમાં જ નિરસતા જોવા મળી હતી.. ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી અને એલિસબ્રિજ વિધાનસભા બેઠકની પદયાત્રામાં માત્ર જૂજ કાર્યકરો જ જોડાયા હતા.