કરોડોની જનસંખ્યાવાળા આપણા દેશમાં કોર્ટની કાર્યવાહી પણ ઘણીવાર વર્ષો સુધી ચાલતી જ રહે છે.. અનેક કિસ્સા એવા છે કે, જ્યારે ચુકાદો આવે.. ત્યારે આરોપી અને ફરિયાદી બંન્નેનું નિધન થઈ ચૂક્યું હોય છે. આ લાંબી ચાલતી પ્રક્રિયા, ઘણીવાર કાયદાકીય ગૂંચનું કારણ હોય છે. પરંતુ એ વાત પણ ધ્યાને આવી છે કે, વકીલો તેમના લાભ માટે તારીખો લીધા કરે છે અને તેના જ કારણે ન્યાય સતત પાછો ઠેલાયા કરે છે.
આ વાતો માત્ર ઉપજાવી કાઢેલી નથી. ગુજરાતના વકીલોને આ ટકોર કરી છે ખુદ મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે. બાર કાઉન્સિલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ચીફ જસ્ટિસે વકીલોને પોતાના વિચારોમાં પરિવર્તન લાવવા સલાહ આપી છે. ચીફ જસ્ટિસે ખૂબ સખત શબ્દોમાં કીધું છે કે, વારંવાર તારીખો લેવી એ ખૂબ મોટી તકલીફ આજના સમયમાં થઈ ગઈ છે. જાણે કે, તારીખો લેવાનો ટ્રેન્ડ ચાલ્યો હોય. વકીલો વારંવાર તારીખ લીધા કરે છે અને કેસ લાંબો ચાલ્યા જ કરે છે. ચીફ જસ્ટીસે આ વાત ધ્યાને લીધી છે, અને કાર્યક્રમમાં વકીલોને સૂચન કર્યું છે કે, બને તેટલું તારીખો લેવાનું ટાળો. એવું જરા પણ નથી કે, કેસ લાંબો ચાલશે તેમ અસીલ વધુ આવશે. તારીખો પર તારીખે લેવામાં આવે છે અને કેસ લંબાતો જાય છે. તેના જ કારણે ન્યાયમાં વિલંબ થાય છે. ચીફ જસ્ટીસે વકીલોને સારા શબ્દોમાં સુધરી જવા કહ્યું છે કે, વિચારોમાં પરિવર્તન લાવો.
કોર્ટના પગથિયા ચડનારા અનેક લોકોને અનુભવ હોય છે કે, ખિસ્સા ખાલી થઈ જાય છે. આ જ પ્રકૃતિવાળા વકીલો માટે આ ટકોર છે.. જે ખિસ્સાનો ફાયદો છોડી દો.. તમારા ફાયદામાં કોઈને ન્યાય મળવામાં વર્ષો લાગી જાય છે. એક ખૂબ સરસ વાત ચીફ જસ્ટીસે નોંધી છે કે, “Justice Delayed is Justice Denied” મતલબ મોડો ન્યાય એ અન્યાય બરાબર છે અને આવો અન્યાય કરવાનો અધિકાર વકીલોને તો કાયદાએ ક્યારેય આપ્યો નથી. જ્યારે ચીફ જસ્ટીસને આવી ટકોર કરવી પડતી હોય, તો હવે એટલી આશા તો રાખવી જ રહી છે, વકીલો કાળા કોટની આડમાં તારીખોના કાળા કૌભાંડ તો નહીં જ કરે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:48 pm, Sat, 27 July 24