Breaking News: AMC ઊંઘતું રહ્યું ને અમદાવાદ ડૂબ્યું… સેટેલાઇટ, ઇસ્કોન અને પ્રહલાદનગર પાણીમાં ડૂબ્યા, મનપાના ‘પાપ’ નું પરિણામ ભોગવતી ‘જનતા’
અમદાવાદના બોપલ વિસ્તારમાં સવા ત્રણ ઇંચ વરસાદથી સર્જાયેલ જળબંબાકારની સ્થિતિએ જનજીવન ખોરવી નાખ્યું છે. વાહનચાલકો ફસાયા છે અને વાહનો બંધ પડ્યા છે. નાગરિકો સ્માર્ટ સિટીના દાવાઓ અને ડ્રેનેજ વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉઠાવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, જે દર વર્ષની સમસ્યા બની રહી છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં પડેલા સવા ત્રણ ઇંચ જેટલા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. અનરાધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા છે અને રાહદારીઓ તેમજ વાહનચાલકો ફસાયા છે. અમદાવાદના સેટેલાઇટ, શિવરંજની, વેજલપુર, જોધપુર, પ્રહલાદનગર, ઇસ્કોન અને હેલ્મેટ સર્કલ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે.
‘તંત્ર’ તેના કામને ક્યારે ગંભીરતાથી લેશે?
સ્થાનિક નાગરિકો આ વાર્ષિક સમસ્યાથી ત્રસ્ત છે અને તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. એક નાગરિકે જણાવ્યું કે, “દર વર્ષે આ રીતે આવુંને આવું થતું રહે છે. અમારી પરિસ્થિતિ પ્રમાણે તો આનો કોઈ નિકાલ AMC કે કોઈ લાવતું નથી અને બધી ગટરો છલોછલ ભરાઈ જાય છે.”
તંત્ર દ્વારા આરસીસી અને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા હોવાના દાવાઓ કરવામાં આવે છે, જેમાં ડ્રેનેજ લાઇન સુદ્રઢ બનાવવાનો ઉલ્લેખ હોય છે. જો કે, બોપલના રહેવાસીઓ આ દાવાઓને “ખોટી વાત” ગણાવી રહ્યા છે. તેઓ પ્રશ્ન કરી રહ્યા છે કે, જો આટલા સારા રોડ બનાવ્યા હોય તો પાણીનો નિકાલ શા માટે નથી થતો?
અમદાવાદ બરબાદ અને તંત્ર તાગડધિન્ના કરે
વર્ષોથી બોપલ જેવા મોંઘા વિસ્તારોમાં રહેતા લોકો પણ સારી સુવિધાની અપેક્ષા રાખે છે પરંતુ સાત વર્ષથી દર વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહી છે. એક સ્થાનિકે જણાવ્યું કે, “નાનામાંથી નાનો પાંચ મિનિટ પણ વરસાદ પડે ને તોય અહીંયા આટલું પાણી તો ભરાઈ જ જાય છે.” ટેક્સ ભરવા છતાં પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ નાગરિકોમાં રોષ જગાવી રહ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે ડી-વોટરિંગ મશીનો મૂકવામાં આવ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે, આ માત્ર કામચલાઉ ઉપાય છે અને કાયમી ડ્રેનેજ વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટ દેખાય છે. તંત્ર આગામી સમયમાં વૈશ્વિક ગેમ્સનું આયોજન કરવા અને શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાના દાવા કરે છે પરંતુ વર્ષ 2026 માં પણ આવી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જે વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યું છે.
પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા, જવાબદાર કોણ?
નાગરિકો ઓફિસે જઈ શકતા નથી, વાહનચાલકો રસ્તામાં ફસાય છે અને સોસાયટીઓના બંગલોમાં પણ પાણી ઘૂસી રહ્યા છે. વ્રજ વિલા જેવી સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સ્થિતિ અમદાવાદના વરસાદી માળખાકીય સુવિધાઓની વાસ્તવિકતા દર્શાવે છે અને તંત્રને તેની નીતિઓ અને અમલીકરણ પર પુનર્વિચાર કરવા મજબૂર કરે છે, જેથી ભવિષ્યમાં આવી હાલાકીનો સામનો ન કરવો પડે.
