Gujarat Election 2022: ભરતસિંહ સોલંકી પર કેમ ફેંકાઈ કાળી શાહી, જાણો કારણ
Gujarat Election 2022: કોંગ્રેસે તેના 43 ઉમેદવારોની યાદી જાહેર કરતા જ અસંતોષનો ઉકળતો ચરૂ બહાર આવ્યો છે. આ અસંતોષની આગનો ભોગ ભરતસિંહ સોલંકી પણ બન્યા છે. ભરતસિંહ પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. જાણો શું હતો સમગ્ર ઘટનાક્રમ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરતાની સાથે જ વિરોધનો સૂર ઉઠવાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદારી કરનાર રશ્મિકાંત સુથારને ટિકિટ ના મળતા તેમના પુત્ર રોનીલ સુથારે પક્ષના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી પર કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર જ કાળી શાહી ફેંકી પોતાનો વિરોધ દર્શાવ્યો. પિતાની ટિકિટ કપાતા નારાજ પુત્રએ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસ મોવડીમંડળ પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા.
એલિસબ્રિજથી કોંગ્રેસના રશ્મિકાંત સુથારને ન મળી ટિકિટ
રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓની એક મહત્વકાંક્ષા ચૂંટણી લડવાની હોય છે. જેના માટે તેઓ પક્ષને પોતાનો સમય ફળવતા હોય છે. વર્ષો પાર્ટીમાં ફળવ્યા બાદ ઉપેક્ષા થતા નારાજગી છલકાતી હોય છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તા રશ્મિકાંત સુથાર કે જેવો છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. 2017 અને ત્યારબાદ 2022 એમ બંને વિધાનસભા ચૂંટણીમાં એમને ટિકિટ ના મળતા તેઓ નારાજ છે. અનુભવી કાર્યકર્તા હોવાના કારણે તેઓ નારાજગી છતાં ઉપેક્ષાને પચાવી ગયા. જો કે તેમનો પુત્ર રોનીલ પિતાની અવગણના સ્વીકારી ના શક્યો અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પર કાળી શાહી ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો.
રોનિલ સુથારે પિતાને ટિકિટ ન મળતા ભરતસિંહ પર ફેંકી શાહી
ભરતસિંહ સોલંકી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહારથી બપોરના સમયે નીકળી રહ્યા હતા ત્યારે રોનિલ એકાએક ધસી આવી ભરતસિંહ પર કાળી શાહી ફેંકી પિતાને ટિકિટ ના મળવા અંગે વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે રોનીલની અટકાયત કરી હતી. જો કે ભરતસિંહ એ રોનિલ સુથાર સામે કાયદાકીય કાર્યવાહી ના કરવાનું જણાવતા પોલીસે રોનિલને છોડી દીધો હતો.
ગુજરાત કોંગ્રેસ મળતિયાઓને જ ટિકિટ આપે છે-રોનિલ
ભરતસિંહ પર શાહી ફેંકનાર રોનીલે જણાવ્યું કે પિતાને ટિકિટ ના મળતા મને દુઃખ લાગ્યું અને વિરોધ કરવા માટે ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકી. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પોતાના મળતિયાઓને જ ટિકિટ આપે છે. તેમની આજુબાજુમાં ફરતા હોય તેવા ચાટુકારીતા કરતાં લોકોને અગ્રતા આપવામાં આવે છે જ્યારે વર્ષોના પાયાના કાર્યકર્તાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. અને મારા પિતા સાથે અન્યાય થતાં મેં ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકી મારો આક્રોશ વ્યક્ત કર્યો.