Gujarat Election 2022 : ડેડિયાપાડામાં AAP ઉમેદવાર ચૈતર વસાવાએ ફોર્મ ભરતા પહેલા કર્યું શક્તિ પ્રદર્શન, શું BTPને મજબૂત કરનારને ફળશે AAP ?
ચૈતર વસાવા એક સમયે છોટુ વસાવાના દિકરા મહેશ વસાવાના ખાસ સાથીદાર હતા. AAP-BTPનું જોડાણ તૂટી ગયા બાદ ચૈતર વસાવાએ BTP ને રામ રામ કહી AAP જોઈન કરી લીધી હતી.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: સામાન્ય રીતે એવુ કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઈનું સગું હોતું નથી. સત્તા માટે લોકો કોઈપણ સંબંધને વટાવી લેવા તૈયાર હોય છે. એમાં પણ પોલિટિકલ પાવરની વાત હોય તો લોકો કોઈ પણ સંબધને ધ્યાને લેતા નથી. AAP એ ડેડિયાપાડાથી ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. ચૈતર વસાવા એક સમયે છોટુ વસાવાના દિકરા મહેશ વસાવાના ખાસ સાથીદાર હતા. AAP-BTPનું જોડાણ તૂટી ગયા બાદ ચૈતર વસાવાએ BTP ને રામ રામ કહી AAP જોઈન કરી લીધી હતી.
ચૈતર વસાવાનું જંગી રેલી દ્વારા શક્તિ પ્રદર્શન
ગઈકાલે નર્મદા જિલ્લાની બે બેઠકો માટે 15 ઉમેદવારીપત્રો ભરાયા છે. જેમાં નાંદોદ બેઠક માટે સૌથી વધુ 10 ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે ડેડીયાપાડા બેઠકની વાત કરીએ તો અહીં 6 ફોર્મ ભરાયા છે. જેમાં ડમી ઉમેદવાર ના ફોર્મ પણ સામેલ છે. ચૈતર વસાવાએ પણ પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લા દિવસે જંગી રેલી કાઢીને ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે ઉમેદવારીપત્ર ભર્યું હતું. સાથે જ રેલી દ્વારા તેમણે શક્તિપ્રદર્શન કર્યું. હાજરોની સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા.
ડેડિયાપાડા બેઠકનો રાજકીય ઈતિહાસ
આમ તો નર્મદા જિલ્લો આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. જેમાં ડેડીયાપાડા વિસ્તારમાં આદિવાસી લોકો વધુ રહે છે, વર્ષોથી આ વિસ્તારમાં વસાવા સમાજ નું પ્રભુત્વ રહ્યું છે. છતાં પણ આ બેઠક પર કોઈપણ પાર્ટીના ઉમેદવાર સતત બે ટર્મ વિજેતા નથી થયા. આ વિસ્તારના મતદાનની વાત કરીએ તો લોકસભા ચૂંટણી હોઈ કે વિધાનસભા ની ચૂંટણી હોઈ અહીં રેકોર્ડ બ્રેક મતદાન થતું હોય છે. વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીની વાત કરીયે તો 79.15 ટકા મતદાન થયું હતુ.
જેમાં BTP ના ઉમેદવાર મહેશ છોટુ વસાવાનો 21 હજાર મતોથી વિજય થયો હતો. જો કે આ વિજયમાં યુવા નેતા ચૈતર વસાવાનો સિંહફાળો હતો. ડેડીયાપાડામાં ભાજપ સામે BTP ને ઉભું કરવામાં ચૈતર વસાવાનો સિંહ ફાળો હતો. આપને જણાવી દઈએ કે, ચૈતર વસાવાને BTP માંથી ટિકીટ આપવાનું 3 વર્ષ પહેલાં જ મહેશ વસાવા એ કહ્યું હતું, પણ જેમ- જેમ ચૂંટણી આવી તેમ મહેશ વસાવા અને છોટુ વસાવાની આંતરિક લડાઈમાં ચૈતર વસાવાએ સહન કરવાનો વારો આવ્યો. અને જેના કારણે જ ચૈતર વસાવાએ BTP માંથી છેડો ફાડી AAP નો હાથ પકડ્યો છે. જો કે આ રેલીમાં ઉમટેલા મતદારોના હાથ AAP ના બટન પર પહોંચે છે કે કેમ તે તો ચૂંટણીનું પરિણામ જ બતાવશે.
જયારે આજ બેઠક પર ભાજપ એ યુવા નેતા હિતેશ દેવજી વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. હિતેશ વસાવા એ ડેડીયાપાડ માં પહેલા યુવા મોરચામાં કામ કર્યું. તેમજ ભાજપના જીલ્લા પંચાયત સભ્ય રહી ચૂક્યા છે. BTP સાથે છેડો ફાડી 4 વર્ષ પહેલાં ભાજપમાં જોડાયેલ હિતેશ વસાવા દેવજીભાઈ વસાવાના પુત્ર છે, છેલ્લા ત્રણ- ચાર વર્ષથી ભાજપમાં સક્રિય બન્યા છે.
(ઈનપૂટ ક્રેડિટ- વિશાલ પાઠક, નર્મદા)