Interim Budget 2024 Education Sector : બજેટમાં એજ્યુકેશન સાથે સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મુકાયો, કોલેજોની સંખ્યા વધશે, વાંચો શું મળ્યું ખાસ
નાણામંત્રી નિર્મલા સીતારમણે 58 મિનિટ સુધી બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે તેમની સરકારની ઘણી સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે, અમારી સરકારે 7 IIT, 16 IIIT, 7 IITM અને 16 AIIMS ખોલી છે. આ સિવાય દેશભરમાં 390 યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. 58 મિનિટના આ બજેટ ભાષણમાં તેમણે ઘણી મહત્વની જાહેરાતો કરી છે. જો કે, આ બજેટને ન તો નવા બોજ તરીકે જોવામાં આવી રહ્યું છે કે ન તો નુકશાન. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ યુવાનો માટે કેટલીક ખાસ જાહેરાતો કરી છે. તેમણે સ્કિલ ઈન્ડિયા, લખપતિ દીદી યોજના અને નવી કોલેજો વિશે માહિતી શેર કરી છે.
બજેટ સત્રમાં યુવાનો શાળા શિક્ષણ, કોલેજ શિક્ષણ, વ્યાવસાયિક અભ્યાસક્રમો અને રોજગાર જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપે છે. ચાલો શિક્ષણ બજેટ 2024ના મહત્વના પાસાઓ પર એક નજર કરીએ.
કેવું છે એજ્યુકેશન 2024 બજેટ?
- સ્કીલ ડેવલોપ પર ભાર મુક્યો : બજેટ 2024 રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ કેટલાક સુધારા કરવામાં આવી રહ્યા છે. જેમાં દેશના 1.4 કરોડ યુવાનોને પીએમ શ્રી સ્કિલ ઈન્ડિયા મિશન હેઠળ તાલીમ આપવામાં આવશે.
- રોજગારની તકો: નાણામંત્રીએ કહ્યું કે 54 લાખ યુવાનોને નોકરી આપવાનું કામ કરવામાં આવ્યું છે. રોજગાર મેળા દ્વારા આઈટીઆઈના યુવાનોને નોકરી આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, પર્યટન ક્ષેત્રમાં વિસ્તરણ સાથે રોજગારીની ઘણી તકો ઉભી થવા જઈ રહી છે.
- કોલેજોની સંખ્યામાં વધારો થયો : બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે, 2014ની સરખામણીમાં ત્રણ ગણી વધુ નવી કોલેજો ખોલવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર જ્યાં વર્ષ 2014માં 7 એઈમ્સ હતા ત્યાં હવે 22 છે. આઈઆઈટીની સંખ્યા હવે 16 થી વધીને 23 થઈ ગઈ છે. આ સિવાય યુનિવર્સિટીની સંખ્યા 723 થી વધીને 1113 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, અમારી સરકારે 7 IIT, 16 IIIT, 7 IITM પણ ખોલ્યા છે.
- નવી કોલેજો ખુલશે : બજેટમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં ઘણી નવી મેડિકલ કોલેજો ખુલશે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. મેડિકલ એજ્યુકેશનને મજબૂત બનાવવામાં આવશે. દેશના વિદ્યાર્થીઓને મેડિકલ એજ્યુકેશન માટે વિદેશ નહીં જવું પડે. મોર્ડન ટેક્નોલોજી સાથે નવી કોલેજો બનાવવામાં આવશે.
- રિસર્ચ પર ફોકસ : નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવા રિસર્ચ થઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને રોજગાર અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે નવા રિસર્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ જય જવાન, જય જવાન, જય વિજ્ઞાનની સાથે જય અનુસંધાનનો નારો આપ્યો છે અને આ અંતર્ગત કામ કરવામાં આવી રહ્યું છે.