Breaking News : લોકોના વ્યાપક રોષ-વિરોધ બાદ એકાએક જાગી સરકાર, CBSE ના ચેરમેન-સચિવની કરી નાખી બદલી
CBSE પરીક્ષાના પેપરના મૂલ્યાંકનમાં મોટાપાયે સામે આવેલ ગેરરીતિઓ બાદ, લોકોમાં ભારે ગુસ્સો અને વિરોધની લાગણી પ્રવર્તી રહી હતી. જેના કારણે આખરે કેન્દ્ર સરકારને સમગ્ર મામલો થાળે પાડવા માટે એક્શન લેવાની ફરજ પડી છે. આજે 2 જૂનને મંગળવારના રોજ, કેન્દ્ર સરકારે CBSE ના ચેરમેન અને સચિવ બંનેની બદલી કરી નાખી છે. વધુમાં, પરીક્ષાના પેપરના મૂલ્યાંકનમાં થયેલ કથિત ગેરરીતિઓની તપાસ માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

CBSE બોર્ડની ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓને અસર કરતી સમસ્યાઓના પગલે CBSE ના ચેરમેન રાહુલ સિંહની કેન્દ્ર સરકારે બદલી કરી નાખી છે. આ સાથે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના વર્તમાન સચિવ હિમાંશુ ગુપ્તા (IAS) ને પણ તેમની ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. વધુમાં, સરકારે OSM સિસ્ટમ સાથે સંકળાયેલી ગેરરીતિઓની તપાસ માટે ઔપચારિક રીતે એક સમિતિની રચના કરી છે.
બદલી કરાયેલા અધિકારી, IAS રાહુલ સિંહ, CBSE બોર્ડના એકંદર કાર્યપ્રણાલી અને પરીક્ષા સુધારા માટે જવાબદાર હતા. જ્યારે સચિવ હિમાંશુ ગુપ્તા (IAS) વહીવટ, નાણાં અને જોડાણો સંબંધિત બાબતોનું કામકાજ સંભાળી રહ્યાં હતા. હાલમાં, સરકાર દ્વારા કરાયેલ બદલીની કાર્યવાહીથી CBSE બોર્ડ સહીત શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. એવું અહેવાલ છે કે સંસદીય સમિતિની બેઠક બાદ સરકારને સમગ્ર બાબતની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ સરકારે આ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસ સમિતિની રચના, એક મહિનામાં રિપોર્ટ આવશે
કેબિનેટ સચિવાલયે CBSE ની ‘ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ’ માટે સેવાઓની ખરીદીની તપાસ કરવા માટે એક સભ્યની સમિતિની રચના કરી છે. એવા અહેવાલ સામે આવ્યા છે કે આ સમિતિએ એક મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરવો જરૂરી છે. સમિતિની અધ્યક્ષતા ક્ષમતા નિર્માણ આયોગ (CBC) ના અધ્યક્ષ એસ. રાધા ચૌહાણ કરશે.
આ પેનલને જ્યારે પણ જરૂર પડે ત્યારે અન્ય વિભાગોના અધિકારીઓ પાસેથી સહાય મેળવવા માટે અધિકૃત કરવામાં આવી છે. આ સમિતિ માટે સચિવાલય સહાય ક્ષમતા નિર્માણ આયોગ દ્વારા પૂરી પાડવામાં આવશે. સમિતિને એક મહિનાની અંદર ‘કાર્મિક અને તાલીમ વિભાગ’ ને તેનો અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સાર્થક સિદ્ધાંતે પ્રેઝન્ટેશન દરમિયાન અનેક પ્રશ્નો ઉઠાવ્યા
આજે વહેલી સવારે, ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમથી પ્રભાવિત 17 વર્ષનો વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંત શિક્ષણ સંસદીય સમિતિ સમક્ષ હાજર થયો. આ હાજરી દરમિયાન, સિદ્ધાંતે COEMPT કંપનીને ટેન્ડર આપવાના કથિત સંદર્ભમાં થયેલી ગેરરીતિઓ પર પ્રકાશ પાડતી એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિતિની બેઠકમાં સાર્થકે પોતાની પ્રેઝન્ટેશન દરમિયાન અનેક પ્રશ્નો ઉઠાવ્યા.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે, તાજેતરના સમયમાં, CBSE ની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ, તેની મૂલ્યાંકન પ્રક્રિયા અને OSM ટેન્ડર પ્રક્રિયા અંગે અસંખ્ય પ્રશ્નો ઉભા થયા હતા. આ વચ્ચે, વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોએ પણ પારદર્શિતા અને જવાબદારીની માંગણી કરી હતી. સરકારના તાજેતરના નિર્ણયને હવે CBSE-સંબંધિત બાબતોમાં જવાબદારી સ્થાપિત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.