Rajkot : તમે બિમાર છો, સારવાર માટે વિધી કરવી પડશે, સાધૂના વેશમાં આવેલો શખ્સ સોનાના દાગીનાની કરતો તસ્કરી
સાધુના વેશમાં આવીને ભિક્ષાવૃતિના બહાને મહિલાઓ પાસેથી સોનાના દાગીના લઇને રફુચક્કર થનાર શાતિર ચોર પોલીસના સકંજામાં આવી ગયો છે.
Rajkot : સાધુના વેશમાં આવીને ભિક્ષાવૃતિના બહાને મહિલાઓ પાસેથી સોનાના દાગીના લઇને રફુચક્કર થનાર શાતિર ચોર પોલીસના સકંજામાં આવી ગયો છે.વીહા પરમાર નામનો શખ્સ ગત ૧૮મી તારીખના રોજ રામનગર વિસ્તારમાં હેતલ લાઠિયા નામની મહિલા પાસેથી ૧૯ તોલા જેટલુ સોના-ચાંદીના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને બાતમીના આધારે પોલીસે આ શખ્સને પકડીને ૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
કેવી છે મોડસ ઓપરેન્ડી ?
રાજકોટના ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે આ શખ્સ રીઢો ગુનેગાર છે.મોટાભાગે બપોરના સમયે શિકારની શોધમાં નીકળે છે.ભિક્ષાવૃતિ કરવાના હેતુથી તેઓ એકલા રહેતા મહિલાઓના ઘરે પહોંચે છે. પાણી અથવા ભિક્ષાની માંગ કરે છે જ્યારે મહિલા મદદ કરવા આવે છે. ત્યારે આ શખ્સ મહિલાને તમે બિમાર છો તમારી ધાર્મિક વિધી કરવી પડશે તેવું કહીને વિશ્વાસમાં લે છે. જ્યારે મહિલા તેના વિશ્વાસમાં આવી જાય છે ત્યારે તેના દાગીના સાથે રાખીને વિધી કરવાનું કહે છે. અને મહિલા જ્યારે દાગીના લઇને આવે છે ત્યારે કેફી પદાર્થ પીવડાવીને બેભાન કરીને સોનાના દાગીના લઇને રફુચક્કર થઇ જાય છે.
ભોગ બનનાર લોકોને આગળ આવવા પોલીસે કરી અપીલ
પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સ રિઢો ગુનેગાર છે અને અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા છે પરંતુ કેટલાક લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે જેના કારણે આવા લેભાગુતત્વો લોકોને શિકાર બનાવતા હોય છે.પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે આવા કોઇ વ્યક્તિ શિકાર બન્યા હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરે.હાલમાં આ શખ્સના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે ત્યારે પોલીસ તપાસમાં આ શાતિર કેટલા ગુનાની કબૂલાત આપે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો : જંબુસરમાં નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપાઇ, પ્રતિબંધિત એફેડ્રિન ડ્રગ્સ સાથે 4 ની ધરપકડ