Surat : વરાછામાં 15 વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઓરિસ્સાથી ઝડપ્યો
આરોપી સામે વરાછા પોલીસ મથકમાં વર્ષ 2008માં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપી તે ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો હતો. જેને ઓરિસ્સાથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
Surat : સુરતના વરાછા વિસ્તારમાં શેઠના પુત્રની હત્યા કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમે ઓરિસ્સાથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે વર્ષ 2008માં વરાછા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપી છેલ્લા 15 વર્ષથી ફરાર હતો.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે, વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની ટીમ ઓરિસ્સા ખાતે ગઈ હતી અને ગંજામ જિલ્લામાં આવેલા ગેલેરી ગામ ખાતે વોચમાં રહીને આરોપી લાલુ ઉર્ફે લુલુ ધોબો ગૌડાને ઝડપી પાડ્યો હતો.
વરાછા પોલીસ મથકમાં વર્ષ 2008માં હત્યાનો ગુનો નોંધાયો હતો
આરોપી સામે વરાછા પોલીસ મથકમાં વર્ષ 2008માં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપી તે ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી અને તેનો સાગરિત અશોક વર્ષ 2008માં સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહી ફરીયાદી હીરાભાઈ પુનાભાઈ જામડીયાના અશ્વિની કુમાર રોડ ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલા એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતો હતો. આ દરમ્યાન ગત તારીખ 02 નવેમ્બર 2008ના રોજ રાત્રીના સમયે શેઠના પુત્ર મહિપાલ સાથે કામ બાબતે તકરાર થતાં તીક્ષ્ણ હથીયાર વડે ચહેરા તથા ગળાના ભાગે જીવલેણ ઈજાઓ કરી હત્યા કરી ફરાર થઇ ગયો હતો.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓરિસ્સા ખાતેથી આરોપીને ઝડપ્યો હતો
વધુમાં આ ગુનામાં આજ દિન સુધી કોઈ આરોપી પકડાયો ન હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને પકડવા માટે 3 મહિના સુધી વર્ક આઉટ કર્યું હતું. આરોપી ગુનો કર્યા બાદ તમિલનાડુ ખાતે કામધંધો કરવા લાગ્યો હોવાની અને હાલ થોડા સમય થયે વતનમાં કડિયા કામની મજુરી કરતો હોવાની માહિતી મળતા જ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓરિસ્સા ખાતે જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો