ઉત્તર ભારતના લોકો માટે ખાસ કરીને દેશની રાજધાની દિલ્હી અને ગુજરાત માટે દક્ષિણના બે મોટા રાજ્યોમાંથી સારા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં આપણે આ બે રાજ્યોમાંથી ટામેટાંના પુરવઠામાં વધારો જોઈ શકીએ છીએ. જે બાદ ટામેટાંના ભાવમાં ઘટાડો થવાની આશા છે.
હાલમાં દિલ્હીમાં ટામેટાની કિંમત 75 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, સપ્લાયમાં વિક્ષેપને કારણે ટામેટાં અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે, તે ટૂંક સમયમાં સ્થિર થવાની અપેક્ષા છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના અધિકારીએ કહ્યું કે, દિલ્હી અને કેટલાક અન્ય શહેરોમાં ટામેટાં, બટેટા અને ડુંગળીના ભાવ ખૂબ ઊંચા છે. ભારે વરસાદને પગલે સળગતી ગરમીએ પુરવઠો ખોરવ્યો હતો. જેના કારણે છૂટક ભાવમાં ઉછાળો આવ્યો હતો. તેમણે કહ્યું કે, નવી દિલ્હીમાં ટામેટાની કિંમત 75 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે, પરંતુ જો ભારે વરસાદને કારણે સપ્લાય ચેન ખોરવાઈ નહીં તો તે નીચે આવી શકે છે.
મંત્રાલયના ડેટા અનુસાર 13 જુલાઈના રોજ દિલ્હીમાં ટામેટાની છૂટક કિંમત 77 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં કિંમત 150 રૂપિયા પ્રતિ કિલો હતી. 13 જુલાઈના રોજ ટામેટાની અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમત 67.65 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે ગયા વર્ષે તે 53.36 રૂપિયા પ્રતિ કિલો હતી. હાલમાં દેશના 13 રાજ્યોમાં ટામેટાના ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો છે. હાલમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી દિલ્હીમાં ટામેટાંની સપ્લાય કરવામાં આવી રહી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી હાઇબ્રિડ ટામેટાં રાષ્ટ્રીય રાજધાનીમાં પહોંચતાં ભાવમાં નરમાઈ શરૂ થશે. સરકાર સબસિડીવાળા ટામેટાંનું વેચાણ ફરી શરૂ કરવાનું વિચારી રહી નથી. આ પગલું ગયા વર્ષે ત્યારે લાગુ કરવામાં આવ્યું હતું જ્યારે ભાવ પ્રતિ કિલો રૂપિયા 110ને પાર કરી ગયો હતો. અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી પુરવઠો સુધરતાં એકથી બે અઠવાડિયામાં ભાવ સામાન્ય થઈ જશે.