PM SVANidhi Yojana: 23 લાખ લોકોને ઉપયોગી થઈ છે આ યોજના, જાણો શું છે ફાયદા અને કઈ રીતે લઈ શકાય છે લાભ
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 2,278.29 કરોડ રૂપિયાની 23 લાખ લોન આપવામાં આવી છે. પ્રોજેક્ટ ઓફિસર સૌરભ ત્રિપાઠી જણાવે છે કે જેમનો નાનો વેપાર છે અને તેમને મૂડીની જરૂર છે, તો આ યોજના દ્વારા તેમને મૂડી મળે છે.
કોરોના સમયગાળા દરમિયાન, રેકડી – ઠેલાં લગાવનારા નાના વેપારીઓ સામે જ્યારે રોજગારીનું સંકટ ઉભું થયું, ત્યારે કેન્દ્ર સરકારે મદદનો હાથ લંબાવ્યો. આવા વ્યાપારીઓને પ્રધાનમંત્રી સ્વ-નિધિ યોજનાથી ઘણી રાહત મળી છે. આ યોજના હેઠળ, રસ્તાની બાજુએ રેકડી – ઠેલાં લગાવનારા વેપારીઓને તેમની આજીવિકા ફરી શરૂ કરવા માટે સરળતાથી લોન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
એક અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના તેના ઉદ્દેશ્યમાં સફળ થઈ રહી છે અને નાના દુકાનદારોને તેનાથી ઘણો લાભ મળી રહ્યો છે. ઉત્તરપ્રદેશના ઘણા નાના વેપારીઓને આ યોજનાનો લાભ મળ્યો છે, જેથી તેઓ ફરી ઉભા થઈ શક્યા.
નાના વેપારીઓએ શરૂ કર્યો વેપાર
બારાબંકી જિલ્લાના રાજેશ જયસ્વાલને પણ આ યોજના દ્વારા ફરી ઉભા થવાની હિંમત મળી છે. રાજેશ જયસ્વાલ જણાવે છે કે અચાનક આવેલી કોરોના મહામારીએ રોજગાર છીનવી લીધો. ધીરે ધીરે તેની બચત પણ ખતમ થઈ ગઈ. હવે તેની પાસે ફરી વેપાર શરૂ કરવા માટે પુરતા નાણા ન હતા.
ચારે બાજુથી નિરાશ થયેલા રાજેશને જ્યારે પીએમ સ્વ-નિધિ યોજના વિશે ખબર પડી ત્યારે તેમણે આ યોજના હેઠળ લોન માટે અરજી કરી. રાજેશને કોરોના સંકટ દરમિયાન પીએમ સ્વ-નિધિ યોજના દ્વારા મદદ મળી અને તેમનો વેપાર ફરી શરૂ થયો.
જ્યારે દુકાન બંધ થઈ ગઈ
રાજેશ કહે છે કે કોરોના પહેલા, તે પાનની દુકાન ચલાવતા હતા, પરંતુ કોરોના આવતાં જ દુકાન ચાલતી બંધ થઈ ગઈ. આર્થિક સ્થિતિ પણ નોંધપાત્ર રીતે કથળી ગઈ હતી. આ દરમિયાન, દુકાનના એક ગ્રાહકે તેમને સ્વ-નિધી યોજના વિશે માહિતી આપી. આ પછી, તેમણે બેંકમાં ફોર્મ ભરીને સબમિટ કર્યું અને 10 હજારની લોન મેળવી.
હવે તે નવેસરથી પોતાનો વેપાર ચલાવી રહ્યા છે. માત્ર રાજેશ જ નહીં પણ રામદીપ સિંહનું કહેવું છે કે એક દિવસ તેમને સ્વ-નિધી યોજના વિશે પાલિકા તરફથી માહિતી મળી હતી. તેમણે 10 હજારની લોન માટે અરજી કરી અને તેમને તરત જ લોન મળી ગઈ.
આ યોજના સાથે જોડાયેલા અધિકારીઓનુ શું કહેવુ છે?
આ યોજના વિશે બારાબંકી પ્રોજેક્ટ ઓફિસર સૌરભ ત્રિપાઠી કહે છે કે આ એક ખૂબ મહત્વની યોજના છે, જેમનો વેપાર નાનો છે અને નાની મૂડીની જરૂર છે. આ યોજના દ્વારા તેઓ મૂડી મેળવી શકે છે. આ લોનની મૂડી સીધી તેમના ખાતામાં પહોંચે છે. તેમણે કહ્યું કે 2022 સુધીમાં બારાબંકીમાં 5800 સ્ટ્રીટ વેન્ડરોને આ યોજના દ્વારા મદદ પૂરી પાડવાનો ઉદેશ્ય છે.
પીએમ સ્વ નિધી યોજના જૂન, 2020 માં શરૂ થઈ
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે 1 જૂન, 2020 ના રોજ પીએમ સ્વ-નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશભરના લગભગ 50 લાખ શેરી વિક્રેતાઓને એક વર્ષના સમયગાળા માટે 10,000 રૂપિયા સુધીની ગેરંટી (બિન-સુરક્ષિત) વગરની લોન આપવાનો છે.
લોનની નિયમિત ચુકવણી પર વાર્ષિક 7 ટકા વ્યાજ સહાય અને નિયત ડિજિટલ વ્યવહારો કરવા માટે પ્રતિમાસ 100 રૂપિયા સુધીનું કેશબેક પ્રોત્સાહન તરીકે આપવામાં આવે છે.
આ ઉપરાંત, લોન સમયસર અથવા વહેલી ચૂકવનાર વેપારી આવનારા સમયમાં વધુ લોન મેળવવાને પાત્ર બનશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 2,278.29 કરોડ રૂપિયાની 23 લાખ લોન આપવામાં આવી છે.
આ પણ વાંચો : Maharashtra: થાણેમાં કોરોના વાઈરસના 226 નવા કેસ, છ દર્દીઓના મોત