પામ ઓઈલની કિંમત એક વર્ષની નીચી સપાટીએ, શું સમાન્ય ગ્રાહકોને થશે ફાયદો ?
Edible Oil Price : કંપનીઓએ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કર્યો છે, તેમ છતાં તેલની કિંમતો સામાન્ય લોકોને પરેશાન કરી રહી છે, કારણ કે ભાવ એટલા ઓછા નથી આવ્યા કે જેથી સામાન્ય લોકોને રાહત મળી શકે.
Edible Oil Price : આ તહેવારોની સિઝનને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાદ્યતેલ(Edible Oil) ના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. તેલના ભાવ ઘટવાને કારણે પામ ઓઈલના ભાવ એક વર્ષની નીચી સપાટીએ આવી ગયા છે. વૈશ્વિક મંદીના કારણે સોયાબીન, સીપીઓ, પામોલિન (Palm Oil) અને સનફ્લાવરના ભાવ લગભગ અડધા જેટલા નીચે આવી ગયા છે. બીજી તરફ સોયાબીનના નવા પાકની આવક પણ શરૂ થઈ ગઈ છે જેના કારણે તેના ભાવ પર મોટી અસર જોવા મળી છે. વિદેશી બજારોમાં મંદીની અસર ખાદ્યતેલના ભાવ સહિત તમામ ચીજવસ્તુઓના ભાવ પર પડી રહી છે. વિદેશી બજારોમાં ઘટાડા બાદ સ્થાનિક બજારોમાં તેલ અને તેલીબિયાંના ભાવ પર પણ અસર જોવા મળી રહી છે.
સામાન્ય લોકોને મોંઘા ખાદ્યતેલમાંથી રાહત આપવા માટે સરકારે તેની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં છૂટની મર્યાદા માર્ચ 2023 સુધી વધારી દીધી છે. સરકારના આ નિર્ણયથી ખાદ્યતેલના પુરવઠાને જાળવી રાખવામાં મદદ મળશે, સાથે જ સ્થાનિક બજારમાં કિંમતને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ મળશે. એ પણ રાહતની વાત છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલના ભાવ ઘટ્યા છે તો તેની સાથે ડ્યુટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પામ ઓઈલના ભાવમાં 40 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું તેલના ભાવમાં ઘટાડો અને સરકારના પગલાનો ફાયદો સામાન્ય લોકોને મળ્યો છે કે કેમ?
ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર સપ્ટેમ્બર 2022માં મગફળીનું તેલ સરેરાશ રૂ. 188 પ્રતિ કિલોના ભાવે મળી રહ્યું છે. તો સરસવનું તેલ 172.66 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. સોયાબીન તેલ 156 રૂપિયા પ્રતિ કિલો સનફ્લાવર ઓઇલ 176.45 રૂપિયા, પામ ઓઇલ 132.94 રૂપિયા પ્રતિ કિલો અને વેજીટેબલ 152.52 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યું છે.
ભાવ ઘટાડા પછી આયાત વધી છે
તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલની કિંમતમાં ઘટાડો થયા બાદ ભારત દ્વારા પામ ઓઈલની આયાત 11 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં આયાતમાં 94 ટકાનો વધારો થયો છે. આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બર મહિનામાં પણ કંપનીઓ વધુ આયાત કરવા જઈ રહી છે. પરંતુ સવાલ એ થાય છે કે શું સામાન્ય લોકોને સસ્તા ખાદ્યતેલનો લાભ મળશે. ભારત તેના કુલ વપરાશના 60 ટકા માટે રસોઈ તેલની આયાત કરે છે.
ભારત 10 લાખ ટન પામ ઓઈલની આયાત કરી શકે છે
ભારત વિશ્વના સૌથી મોટા પામ ઓઈલ આયાતકાર દેશોમાંનો એક છે. આનાથી દેશમાં ખાદ્યતેલની માત્રામાં ઘટાડો કરવામાં મદદ મળશે. ઓગસ્ટમાં ભારતે 994,997 ટન પામ ઓઈલની આયાત કરી હતી જે જુલાઈમાં 530,420 ટન હતી. એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બરમાં ભારત 10 લાખ ટન પામ ઓઈલની આયાત કરી શકે છે.
તમને જણાવી દઈએ કે પામ તેલ બાકીના ખાદ્ય તેલ કરતા સસ્તું મળે છે, તેથી કંપનીઓએ આક્રમક રીતે પામ તેલની આયાત કરી છે. તે જ સમયે, ભારતમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે. તો લગ્નની સિઝન પણ એકસાથે આવી રહી છે. આવી સ્થિતિમાં પામ ઓઈલની માંગમાં વધારો થઈ શકે છે. તેના સસ્તા ખાદ્યતેલનો લાભ લોકોને મળશે કે કેમ તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.