હવે સોનું, ચાંદી કે શેર જ નહીં, પણ વરસાદ પર પણ રમાશે દાવ ! દેશમાં લોન્ચ થયું પહેલું વેધર ડેરિવેટિવ્ઝ
ભારતીય બજારમાં એક નવો આર્થિક યુગ શરૂ થયો છે. જો ઉનાળા કે ચોમાસાના કારણે વેપારમાં નુકસાન થવાનો ડર હોય, તો આ નવી સિસ્ટમ કંપનીઓ માટે સુરક્ષા કવચ બનશે. જાણો આખું ગણિત.

ભારતના નાણાકીય બજારમાં અત્યાર સુધી તમે શેર, સોનું, ચાંદી, અનાજ કે ક્રૂડ ઓઇલ પર ટ્રેડિંગ થતું જોયું હશે. પરંતુ હવે એક એવો ઐતિહાસિક બદલાવ આવ્યો છે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ NCDEX એ ભારતનું સૌપ્રથમ “વેધર ડેરિવેટિવ્ઝ” (હવામાન આધારિત ટ્રેડિંગ પ્રોડક્ટ) લોન્ચ કરીને હલચલ મચાવી દીધી છે. આ અનોખી સિસ્ટમ હાલમાં મુંબઈમાં પડનારા વરસાદના આંકડા સાથે જોડવામાં આવી છે.
આ પગલું ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ મોટું માનવામાં આવે છે, કારણ કે આ ટેકનોલોજી દ્વારા હવે મોટી કંપનીઓ અને વેપારીઓ ખરાબ મોસમને કારણે થતા આર્થિક નુકસાન સામે વીમો કે સુરક્ષા મેળવી શકશે, જેને ફાયનાન્સની ભાષામાં હેજિંગ કહેવામાં આવે છે.
શું છે આ વેધર ડેરિવેટિવ્ઝ અને તે કેવી રીતે કામ કરશે?
આ એક એવો ફાઇનાન્સિયલ કોન્ટ્રાક્ટ છે જેમાં નફો કે નુકસાન હવામાનના આંકડા પર આધાર રાખે છે. જો કોઈ બિઝનેસને અતિશય વરસાદ અથવા બિલકુલ વરસાદ ન પડવાના કારણે મોટું નુકસાન થવાનો ભય હોય, તો તે કંપનીઓ પોતાની નાણાકીય સુરક્ષા માટે આ કોન્ટ્રાક્ટ ખરીદી શકે છે.
ચોમાસાની સીઝન શરૂ થાય તે પહેલાં જ આ વ્યવહારુ રિસ્ક મેનેજમેન્ટ ટૂલ તરીકે લોન્ચ કરાયું છે. આમાં મુંબઈના વરસાદના આંકડાના આધારે સેટલમેન્ટ થશે. જો નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ કે ઓછો વરસાદ થાય, તો તે જ પ્રમાણે ઓટોમેટિક ચૂકવણી થઈ જશે. આમાં કોઈ ફિઝિકલ ડિલિવરી આપવાની હોતી નથી.
વરસાદના સાચા આંકડા કોણ આપશે?
આ આખી સિસ્ટમ ખૂબ જ પારદર્શક રાખવામાં આવી છે. આ માટે ઇન્ડિયન મેટોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એટલે કે હવામાન વિભાગના સત્તાવાર આંકડાનો ઉપયોગ કરવામાં આવશે. એક્સચેન્જે આ માટે આઈએમડી સાથે એક ખાસ કરાર (MoU) પણ કર્યો છે, જેથી વરસાદના સાચા અને લાઈવ આંકડા મેળવી શકાય. તેને “પેરામેટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ” કહેવાય છે, એટલે કે વરસાદના આંકડા નક્કી કરેલા સ્તરથી ઉપર કે નીચે જાય એટલે ઓટોમેટિક હિસાબ થઈ જાય છે, આમાં નુકસાનનો અલગથી કોઈ સર્વે કરવો પડતો નથી.
એક સરળ ઉદાહરણથી સમજો
ધારો કે મુંબઈની કોઈ લોજિસ્ટિક્સ કે ટ્રાન્સપોર્ટ કંપનીને ડર છે કે ભારે વરસાદને કારણે તેનો કરોડોનો બિઝનેસ ઠપ થઈ જશે. આવી સ્થિતિમાં તે કંપની એક્સચેન્જ પર જઈને આ વેધર ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ ખરીદી લેશે. હવે જો મુંબઈમાં ભારે વરસાદ ખાબકે અને કંપનીનો ધંધો બંધ રહે, તો આ કોન્ટ્રાક્ટમાંથી જે વળતર મળશે તેનાથી કંપની પોતાના નુકસાનની ભરપાઈ કરી શકશે.
કયા સેક્ટર્સને આનાથી સૌથી વધુ ફાયદો થશે?
ભારતની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે મોસમ પર નિર્ભર છે, તેથી આ સુવિધાથી ઘણા સેક્ટર્સને સીધો ફાયદો થશે:
- ખેતી અને કૃષિ આધારિત ઉદ્યોગો
- લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ કંપનીઓ
- એફએમસીજી (રોજિંદી ચીજવસ્તુઓ બનાવતી કંપનીઓ)
- કન્સ્ટ્રક્શન (બાંધકામ ક્ષેત્ર)
- એનર્જી અને પાવર કંપનીઓ
- રિટેલ બજારના મોટા વેપારીઓ
શરૂઆત માટે મુંબઈને જ કેમ પસંદ કરાયું?
મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને ત્યાં ભારે વરસાદ પડતાં જ આખી સપ્લાય ચેઈન તૂટી જાય છે, વાહનવ્યવહાર અટકી જાય છે અને અબજો રૂપિયાનું નુકસાન થાય છે. આ જ કારણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મુંબઈથી શરૂઆત કરાઈ છે. ભવિષ્યમાં તાપમાન આધારિત કોન્ટ્રાક્ટ્સ, હીટ વેવ ઇન્ડેક્સ અને અન્ય રાજ્યોના વરસાદ આધારિત ડેરિવેટિવ્ઝ પણ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. ક્લાઇમેટ ચેન્જના આ યુગમાં વેપારીઓને મોસમની અનિશ્ચિતતાથી બચાવવા માટે આ એક ક્રાંતિકારી પગલું સાબિત થશે.
