જો કરતા હોવ વિદેશમાં જોબ અને ઘર હોય ઇન્ડિયામાં, તો તમારા માટે શું છે Tax ના નિયમો ? જાણો શું કહે છે ‘ઇન્કમ ટેક્સ એક્ટ’
ઘણા ભારતીયો વિદેશમાં નોકરી કરે છે પણ તેમનો પરિવાર કે ઘર ભારતમાં હોય છે. આવા સમયે મનમાં એ મૂંઝવણ રહેતી હોય છે કે, આખરે Tax ક્યાં ભરવો? મોટાભાગના લોકો માને છે કે, ભારતમાં ઘર હોવાથી જ ટેક્સ લાગુ થઈ જાય છે પરંતુ ઇન્કમ ટેક્સનો એક એવો નિયમ છે કે, જેનાથી ઘણા લોકો અજાણ છે.

દેશના એવા ઘણા લોકો છે કે, જેઓ વિદેશમાં નોકરી કરે છે પરંતુ તેમનું ઘર ભારતમાં છે અથવા તો પરિવાર ભારતમાં રહે છે. જો કે, કેટલાંક લોકો થોડો સમય ભારતમાં રહે છે અને થોડો સમય ભારતની બહાર રહે છે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે, આવા લોકો ટેક્સને લઈને હંમેશા મૂંઝવણમાં રહે છે કે તેઓ આખરે ક્યાં ટેક્સ ભરે? તેઓ ભારતમાં ટેક્સ ભરે કે જ્યાં નોકરી છે ત્યાં?
ઘણા લોકોને એવો ડર પણ હોય છે કે, ઇન્કમ ટેક્સ વિભાગ તેમને કઈ પરિસ્થિતિમાં એનઆરઆઈ (NRI) માનશે અને કઈ પરિસ્થિતિમાં એનઆરઆઈ નહીં માને?
તમને જણાવી દઈએ કે, આ પરિસ્થિતિ માટે ઇન્કમ ટેક્સમાં પહેલેથી જ જોગવાઈઓ છે, જે અંતર્ગત તેઓ પોતાનું રેસિડેન્શિયલ સ્ટેટસ (રહેણાંક સ્થિતિ) ક્લિયર કરીને સાચા ટેક્સ નિયમોનું પાલન કરી શકે છે.
પોતાનું રેસિડેન્શિયલ સ્ટેટસ ચેક કરો
જરૂરી નથી કે, તમારે ભારતમાં તમારી વિદેશની આખી કમાણી પર ટેક્સ ચૂકવવો પડે. ભારતમાં ટેક્સની જવાબદારી એ વાત પર નિર્ભર કરે છે કે, આવકવેરા કાયદા અનુસાર તમારું રેસિડેન્શિયલ સ્ટેટસ શું છે, નહીં કે માત્ર એ વાત પર કે તમારું ઘર ભારતમાં છે.
કેવી રીતે નક્કી થાય છે ‘રેસિડેન્શિયલ સ્ટેટસ?’
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કોઈ વ્યક્તિનું ટેક્સ રેસિડેન્સી સ્ટેટસ મુખ્યત્વે એ આધારે નક્કી કરે છે કે, તે ફાઇનાન્સિયલ યર (નાણાકીય વર્ષ) દરમિયાન ભારતમાં કેટલા દિવસ રહ્યો, જેના માટે ટેક્સ ભરવામાં આવી રહ્યો છે. આ માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એક મર્યાદા નક્કી કરી રાખી છે.
ક્યારે ઇન્ડિયન રેસિડેન્ટ માનવામાં આવે છે?
જો ફાઇનાન્સિયલ યર દરમિયાન કોઈ વ્યક્તિ 182 દિવસ કે તેથી વધુ ભારતમાં રહે છે, તો તે ઇન્ડિયન રેસિડેન્ટ (ભારતીય નિવાસી) ગણાય છે. જો ફાઇનાન્સિયલ યર દરમિયાન કોઈ વ્યક્તિ 182 દિવસ કરતા ઓછો સમય ભારતમાં રહે છે, તો તેને નોન-રેસિડેન્ટ (NRI) માનવામાં આવે છે.
NRI છો, તો કઈ ઇન્કમ પર ટેક્સ લાગશે?
જો તમારું સ્ટેટસ NRI છે, તો વિદેશમાં કમાયેલ સેલેરી (પગાર) પર સામાન્ય રીતે ભારતમાં ટેક્સ લાગતો નથી. ભારતમાં માત્ર નીચે જણાવેલ આવક પર જ ટેક્સ લાગે છે:
- ભારતમાં મળતી સેલેરી
- ભારતમાં ભાડાની આવક
- બેંકનું વ્યાજ (નિયમો અનુસાર)
- કેપિટલ ગેઈન (મૂડી નફો)
- ભારતમાંથી થતી અન્ય આવક
જો રેસિડેન્ટ છો, તો શું થશે?
જો તમે ભારતીય ટેક્સ કાયદા અનુસાર રેસિડેન્ટ છો, તો તમારી ગ્લોબલ ઇન્કમ (વૈશ્વિક આવક) ભારતમાં ટેક્સના દાયરામાં આવી શકે છે, એટલે કે વિદેશમાં મળેલી સેલેરી પણ ITR માં દર્શાવવી પડી શકે છે.
શું બેવડા ટેક્સથી બચી શકાય છે?
હા, જો તે આવક પર વિદેશમાં પહેલેથી જ ટેક્સ ચૂકવવામાં આવ્યો હોય અને ભારતનો તે દેશ સાથે Double Taxation Avoidance Agreement (DTAA) હોય, તો તમે બેવડા ટેક્સમાંથી રાહતનો દાવો કરી શકો છો.
ઘર ભારતમાં હોવાથી શું ટેક્સ બદલાઈ જાય છે?
ના, માત્ર ભારતમાં ઘર હોવાથી કે પરિવાર રહેતો હોવાથી તમારું ટેક્સ રેસિડેન્સી સ્ટેટસ નક્કી નથી થતું. ફાઇનલ નિર્ણય એ વાત પર નિર્ભર કરે છે કે, તમે નાણાકીય વર્ષમાં ભારતમાં કેટલા દિવસ વિતાવ્યા અને આવકવેરા અધિનિયમની બીજી શરતો પૂરી થાય છે કે નહીં.
ITR ભરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- પહેલા તમારું રેસિડેન્શિયલ સ્ટેટસ સાચી રીતે નક્કી કરો.
- વિદેશમાં કમાણી અને તેના પર ચૂકવાયેલા ટેક્સનો રેકોર્ડ રાખો.
- જો DTAA નો લાભ લેવો હોય, તો જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો.
- સાચું ITR ફોર્મ પસંદ કરો અને વિદેશી આવકની માહિતી, જ્યાં લાગુ પડતી હોય ત્યાં સાચેસાચી ભરો.
