ગૌતમ અદાણીની કંપની Adani Energy Solutions ગુરુવારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. આ ક્વાર્ટરમાં કંપનીને 824 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કંપનીએ રૂપિયા 175 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.
કંપનીનું કહેવું છે કે કંપનીના ઊંચા ખર્ચને કારણે આ નુકસાન થયું છે. કંપનીના રિપોર્ટ અનુસાર કંપનીની આવકમાં 47 ટકાનો વધારો થયો છે. પ્રથમ ક્વાર્ટરમાં કામગીરીથી કંપનીની આવક રૂપિયા 5379 કરોડ રહી હતી. બીજી તરફ ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં તે રૂપિયા 3664 કરોડ હતો. જોકે, આ સમયગાળા માટે ચોખ્ખી ખોટ રૂપિયા 1191 કરોડ હતી જ્યારે કર પછીનો નફો રૂપિયા 182 કરોડ હતો.
કંપનીએ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે વ્યાજ, કર, ઘસારા અને ઋણમુક્તિ (EBITDA) પહેલાં કંપનીની ઓપરેટિંગ કમાણી આ ક્વાર્ટરમાં રૂપિયા 1628 કરોડ હતી જે વાર્ષિક ધોરણે 29.7 ટકા વધુ છે. કંપનીએ જણાવ્યું હતું કે આ સમયગાળા માટે એડજસ્ટેડ PAT રૂપિયા 315 કરોડ હતો. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 73 ટકા વધુ છે. તાજેતરમાં ચાલુ કરાયેલી વારોરા કુર્નૂલ, કરુર, ખારઘર-વિક્રોલી અને ખાવરા-ભુજ ટ્રાન્સમિશન લાઇનને કારણે કંપનીની આવકમાં 47 ટકાનો વધારો થયો છે એમ ફાઇલિંગમાં જણાવાયું છે. અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇ લિમિટેડ (AEML) અને MUL ખાતે ઉચ્ચ ઊર્જા વપરાશ અને સ્માર્ટ મીટરિંગ વ્યવસાયો દ્વારા આનું યોગદાન આપવામાં આવ્યું હતું.
કંપની ફાઇલિંગ દર્શાવે છે કે નુકસાન અસાધારણ ખર્ચને કારણે થયું હતું. કંપનીએ તેની ESG પ્રતિબદ્ધતાને માન આપીને નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દહાણુ થર્મલ પ્લાન્ટ વેચવાનું નક્કી કર્યું છે એમ ફાઇલિંગમાં જણાવાયું છે. આ નિર્ણયથી કંપનીને 1506 કરોડ રૂપિયા મળ્યા છે. AEMLએ દહાણુ થર્મલ પાવર પ્લાન્ટ (ADTPS)નું ડિસઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું છે એમ ફાઇલિંગમાં જણાવાયું છે. આ સાથે અદાણી એનર્જી સોલ્યુશન્સ વિશ્વની ટોચની કંપનીઓમાં સ્થાન મેળવવાની નજીક પહોંચી શકશે.