Breaking News : પેટ્રોલના ભાવમાં ₹5નો ઘટાડો; ડીઝલના ભાવમાં ₹3નો ઘટાડો ! જુલાઈના પહેલા જ દિવસે મોટી રાહત
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જુલાઈના પહેલા દિવસે નોંધપાત્ર રાહત મળી છે. પેટ્રોલના ભાવમાં ₹5નો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં ₹3નો ઘટાડો થયો છે. આ ઘટાડો નાયરા એનર્જી દ્વારા કરવામાં આવ્યો છે.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે. જ્યારે પેટ્રોલના ભાવમાં ₹5નો ઘટાડો થયો છે, ત્યારે ડીઝલના ભાવમાં ₹3નો ઘટાડો થયો છે. આ ઇંધણના ભાવમાં ઘટાડો ભારતની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલર નાયરા એનર્જી દ્વારા કરવામાં આવ્યો છે અને નવા ભાવ બુધવાર, 1 જુલાઈ, 2026 થી લાગુ કરવામાં આવ્યા છે. બે વર્ષથી વધુ સમયમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડો કર્યો છે. આ પાછળનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થવાનું છે.
7000 પેટ્રોલ પંપ પર સસ્તું પેટ્રોલ અને ડીઝલ
નાયરા એનર્જી રશિયાની રોસનેફ્ટના સમર્થન ધરાવતી ફ્યુઅલ કંપની છે. તેણે તાજેતરમાં ભારતમાં તેના 7000થી વધુ પેટ્રોલ પંપોની સંખ્યા વટાવી છે. આ સાથે નાયરા એનર્જી કંપની દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પેટ્રોલ-ડીઝલ રિટેલર બની ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી ઈંધણના વધતા ભાવથી ગ્રાહકો પર પડતા બોજને ધ્યાનમાં રાખીને કંપનીએ હવે દેશભરના તેના નેટવર્ક પર પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 જુલાઈ 2026થી નાયરા એનર્જીના 7000થી વધુ ફ્યુઅલ સ્ટેશનો પર નવા ભાવ અમલમાં આવી ગયા છે. જોકે વિવિધ રાજ્યોમાં સ્થાનિક કર (VAT) અને અન્ય ટેક્સના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડો ફરક હોઈ શકે છે.
STORY | Nayara Energy cuts petrol price by Rs 5 a litre, diesel by Rs 3 as global oil rates cool down
”Nayara Energy, India’s largest private fuel retailer, on Wednesday cut petrol prices by Rs 5 per litre and diesel by Rs 3 a litre across its nationwide network, marking the… pic.twitter.com/jupNEvPiV9
— Press Trust of India (@PTI_News) July 1, 2026
સરકારી ઓઈલ કંપનીઓના ભાવ યથાવત
એક તરફ નાયરા એનર્જીએ ઈંધણના ભાવમાં ઘટાડો કરીને ગ્રાહકોને રાહત આપી છે. જ્યારે બીજી તરફ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) જેવી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તેમના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ ત્રણેય કંપનીઓ મળીને દેશના 1 લાખથી વધુ પેટ્રોલ પંપમાંથી 90 ટકાથી વધુનું સંચાલન કરે છે. રાજધાની દિલ્હીમાં IOCના પેટ્રોલ પંપ પર હાલ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹102.12 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹95.20 યથાવત જોવા મળી રહ્યો છે.
જેટલો વધારો કર્યો હતો, એટલો જ ઘટાડો કર્યો
ઉલ્લેખનીય છે કે યુએસ-ઈરાન યુદ્ધથી વૈશ્વિક તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરનાર નાયરા એનર્જી પ્રથમ ઇંધણ રિટેલર્સમાંની એક હતી. 26 માર્ચે, કંપનીએ પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. હવે તેણે ભાવમાં પણ તે જ રકમનો ઘટાડો કર્યો છે. નાયરા એનર્જી બાદ લગભગ ચાર વર્ષ સુધી સ્થિર રહેલા ભાવ પછી સરકારી ઓઈલ કંપનીઓએ પણ મે મહિનામાં અનેક તબક્કામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા હતા. કુલ મળીને ₹7.50 પ્રતિ લિટર સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. કંપનીઓએ આ વધારાનું કારણ મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે વધેલા ક્રૂડ ઓઇલની કિંમતને ગણાવ્યું હતું.
યુદ્ધ બંધ થવાની અસર અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
નાયરા એનર્જી ગુજરાતના વાડીનારમાં 20 મિલિયન ટન પ્રતિ વર્ષ તેલ રિફાઇનરી ચલાવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થયા પછી અને એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલ્યા પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો દર્શાવે છે. દરિયાઈ માર્ગ ખુલવા સાથે ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસની અવરજવર ફરી શરૂ થઈ છે અને તેનાથી પુરવઠામાં વિક્ષેપની ચિંતા ઓછી થઈ છે.
