સુરત: પુણા-કુંભારીયામાં ખાડીના પાણી ઘરમાં ઘૂસતા લોકો ઘર વેચવા મજબૂર, ભાજપ સામે રોષ અને કોંગ્રેસ પાસે માગ્યા જવાબ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે સુરતના પુણા-કુંભારીયા વિસ્તારના નાગરિકોએ રાજકીય પક્ષો સામે મોરચો માંડ્યો છે. દર ચોમાસે ઘરવખરી ડૂબાડતા ખાડી પૂરની સમસ્યાથી કંટાળેલા લોકોએ પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના ઉમેદવારને આકરા સવાલો પૂછી પક્ષપાતી રાજકારણ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર તેજ બન્યો છે, પરંતુ પુણા-કુંભારીયા વિસ્તારમાં દ્રશ્યો કંઈક અલગ જ છે. અહીંના સ્થાનિકો વર્ષો જૂની ‘ખાડી પૂર’ની સમસ્યાને લઈને અત્યંત આકરા પાણીએ છે. પ્રચાર કરવા પહોંચેલા કોંગ્રેસના ઉમેદવારને લોકોએ આડેહાથ લેતા સવાલ કર્યો હતો કે, “આટલા વર્ષોથી ભાજપ શાસનમાં કોઈ ઉકેલ આવ્યો નથી, તો હવે કોંગ્રેસ પાસે શું ગેરંટી છે?”
સ્થાનિકોનો આક્ષેપ છે કે દર ચોમાસે ખાડીના ગંદા પાણી લોકોના ઘરોમાં ફરી વળે છે, જેના કારણે લાખોનું નુકસાન થાય છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે અનેક લોકો હવે પોતાના ઘર વેચવા મજબૂર બન્યા છે. જનતાનો સ્પષ્ટ સંદેશ છે કે હવે માત્ર પોલા વચનો નહીં, પણ નક્કર કામ જોઈએ છે. ચૂંટણી ટાણે જ નેતાઓ યાદ આવે છે તેવી લાગણી સાથે મતદારોએ ઉમેદવારોને પરસેવો પાડી દીધો હતો. સુરતના આ પૂર્વ વિસ્તારમાં જનતાનો આ મૂડ આગામી પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
(ઈનપુટ ક્રેડિટ: બળદેવ સુથાર)
Breaking News: નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જ સાંસદે જનતાને આપી ચીમકી, ‘કોંગ્રેસ જીતશે તો એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપું’
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
