ટ્રક ડ્રાઇવરોની હડતાળની માઠી અસર ખેડૂતોને પહોંચી, હિંમતનગરમાં શાકભાજીનો ભરાવો થતા ભાવ ગગડ્યા
સાબરકાંઠા જિલ્લામાં ટ્રાન્સપોર્ટરોની હડતાળની માઠી અસર જોવા મળી છે. જિલ્લામાં ટ્રક ચાલકો વાહન હંકારવાથી દૂર રહેવાને લઈ ટ્રકોની અવર જવર બંધ થઈ જતા શાકભાજી ઉત્પાદન કરતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. શાકભાજીને બહારના શહેરોમાં મોકલવાનું બંધ થઈ જવાને લઈ ખેડૂતોની શાકભાજીનો સ્થાનિક શાકમાર્કેટમાં ભરાવો થવા લાગ્યો છે.
હિટ એન્ડ રનના નવા કાયદાને લઈ ટ્રક ચાલકો હડતાળા પર ઉતર્યા છે. કાયદામાં સજાની જોગવાઈને લઈ વિરોધના સૂર ઉઠ્યા છે. આ દરમિયાન હવે તેની આડ અસરનો ભોગ ખેડૂતો બન્યા છે. ટ્રાન્સપોર્ટ સેવા બંધ થઈ જવાને લઈ ખેડૂતોની શાકભાજીના ઉત્પાદન હિંમતનગર, પ્રાંતિજ, ઈડર સહિતના સ્થાનિક શાકમાર્કેટમાં તો પહોંચ્યા છે, પરંતુ તેને રોજની જેમ અન્ય શહેરોમાં નહીં પહોંચતો કરી શકવાને લઈ ભરાવો થવા લાગ્યો છે.
આ પણ વાંચોઃ ભારતથી 496 KM દૂર દરિયાઈ ટાપુ પર ઇન્ટરનેટ 100 ગણું ઝડપી બન્યું, 3 ગુજરાતીઓની મહત્વની ભૂમિકા
સ્થાનિક બજારોમાં શાકભાજીનો જથ્થો મોટા પ્રમાણમાં ભરાવા લાગતા ખેડૂતોની સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. મંગળવારે સવારે લગભગ 60 ટકા જેટલો ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. શાકભાજીની નિકાસ અન્ય શહેરોમાં શરુ નહીં થાય તો હજુ પણ ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવનાઓ છે. જેને લઈ સ્થાનિક ખેડૂતોમાં રોષ ફેલાયો છે. સાબરકાંઠા જિલ્લામાંથી નિયમિત રુપે અમદાવાદ, વડોદરા, સુરત, વાપી જેવા શહેરોમાં શાકભાજી નિકાસ થતી હોય છે.