Breaking News : ઈરાન-અમેરિકા યુદ્ધની સીધી અસર હવે ખેતી પર પડી, જુઓ Video
એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, ત્યારે મોંઘા ખાતર, મોંઘું ઇંધણ અને ડીઝલની અછત વચ્ચે ખેડૂતો આર્થિક માર સહન કરી રહ્યા છે.ખેતી કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે.
ઈરાન-અમેરિકા યુદ્ધની સીધી અસર હવે ખેતી પર પડી છે યુદ્ધ ને કારણે ખાતર, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધ્યા બાદ હવે ખાતર ડીઝલ પેટ્રોલ ની અછતથી ધોરાજીના ખેડૂતોમાં ચિંતા વધી છે અને રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો હાલ ભારે આર્થિક સંકટ અને ખર્ચાળ ખેતીનો સામનો કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે ઉભા થયેલા યુદ્ધ જેવા તણાવની સીધી અસર હવે કૃષિ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, રાસાયણિક ખાતરના વધેલા ભાવ અને ડીઝલની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે.
ખેતી કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ
ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ જે એસપી ખાતર 1150માં મળતું હતું તે હવે વધીને 2250 સુધી પહોંચી ગયું છે. એએસપી ખાતર જે 1550માં મળતું હતું તે પણ હવે 2250 સુધી વેચાઈ રહ્યું છે, જ્યારે એમોનિયા ખાતર જે 950માં મળતું હતું તે હવે 1400 સુધી પહોંચી ગયું છે. ખાતરના ભાવમાં થયેલા આ ભારે વધારાથી ખેતીનો ખર્ચ બમણો થયો છે અને ખેડૂતો પર મોટો આર્થિક બોજ ઊભો થયો છે.ખાતરના ભાવ વધારા બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ડીઝલમાં અંદાજે3નો વધારો થતાં ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિત ખેતી માટેના વાહનો અને સાધનો ચલાવવાનો ખર્ચ વધી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ ડીઝલ મોંઘું બન્યું છે અને બીજી તરફ પૂરતા પ્રમાણમાં ડીઝલ પણ મળતું નથી, જેના કારણે હાલની ખેતી કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે.
આગોતરા વાવેતરમાં વિલંબ
હાલ રવિ પાકની લણણીનો સમય ચાલી રહ્યો છે, પરંતુ ડીઝલની અછતને કારણે હાર્વેસ્ટર અને ટ્રેક્ટર સમયસર ચલાવી શકાતા નથી. જેના કારણે પાકની લણણીમાં વિલંબ થઈ રહ્યો છે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેતરોમાં ખેડ કરવાની કામગીરી પણ સમયસર થઈ શકતી નથી. જો આવી જ સ્થિતિ રહેશે તો આગોતરા વાવેતરમાં વિલંબ થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે એક તરફ ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે તો બીજી તરફ કૃષિ ઉપજના પૂરતા ભાવ મળતા નથી. મોંઘા ખાતર, મોંઘું ઇંધણ અને ડીઝલની અછત વચ્ચે ખેડૂતો આર્થિક માર સહન કરી રહ્યા છે. “જગતનો તાત” કહેવાતા ખેડૂતો આજે સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
માત્ર ખેડૂતો જ નહીં પરંતુ હાર્વેસ્ટર, ટ્રેક્ટર અને અન્ય કૃષિ વાહનો ચલાવતા વાહન માલિકો તેમજ ડ્રાઈવરો માટે પણ રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે. પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા વાહનો બંધ રાખવાની ફરજ પડી રહી છે, જેના કારણે તેમની આવક પર પણ સીધી અસર પડી રહી છે.ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે ખેતી માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવે, ખાતરના વધતા ભાવ પર નિયંત્રણ લાવવામાં આવે તેમજ ખેડૂતોને આર્થિક રાહત પેકેજ આપવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી શકે અને સમયસર ખેતી કામગીરી પૂર્ણ થઈ શકે.