બનાસકાંઠામાં ગાય સ્વિકારવાનો નનૈયો ભણનાર 4 ગૌશાળાઓની સરકારી સહાય અટકાવી દેવાઈ
રખડતા ઢોર એ રાજ્યમાં મોટી સમસ્યા બની ચુકી છે. રખડતાં ઢોરને નિયંત્રણમાં લેવા માટે રાજ્યમાં હાલમાં મોટા પાયે અભિયાન શરુ કરવામાં આવ્યુ છે અને જે હાલમાં જરુરી પણ છે. આવી સ્થિતિ વચ્ચે નગર પાલિકાઓ પકડેલ રખડતાં ઢોરને ગૌશાળા-પાંજરાપોળ દ્વારા સ્વિકાર કરવાનો ઈન્કાર કરવામાં આવતા કાર્યવાહી કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાની 4 ગૌશાળાની સહાય અટકાવી દેવાઈ છે.
રખડતાં ઢોરને નિયંત્રણમાં લેવા માટે રાજ્યના મોટાભાગના શહેરોમાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ગાયોને રસ્તા પર છોડી દેવાને લઈ આવી ગાયને પણ ગૌ શાળામાં મોકલીને તેમને પોષણક્ષમ આહાર મળી રહે અને પ્લાસ્ટિક ખાવાથી છૂટકારો રહે એ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ચાર જેટલી ગૌશાળા-પાંજરાપોળે પાલિકાએ પકડેલ ગાયોને સ્વિકારવાની ના પાડવાને લઈ તેમને મળતી સહાયને અટકાવી દેવામાં આવી છે.
પાલનપુર અને ધાનેકા નગર પાલિકાએ આ અંગેની રજૂઆત જિલ્લા ક્લેકટરને કરી હતી. તેમની રજૂઆત મુજબ રખડતાં ઢોર કે ગાયને ઝડપ્યા બાદ તેમને રાખવાથી કે સ્વિકાર કરવાથી ગૌશાળા-પાંજરાપોળ નનૈયો ભણી રહી છે. જેને લઈ ગૌમાતા પોષણ યોજના હેઠળ મળનારી સહાયને અટકાવી દેવામાં આવી છે. આ અંગે ક્લેકટરે જણાવ્યુ હતુ કે, તેમને પાલિકાઓ તરફથી કરાયેલ રજૂઆતોને પગલે હાલ પૂરતુ વિચારણા હેઠળ સહાય અંગેનો નિર્ણય સ્થગિત રાખેલ છે.