Ahmedabad : IPLમાં જોવા મળ્યો કોમી એકતાનો સંગમ, 425 હિન્દુ-મુસ્લિમ લોકોએ એકસાથે નિહાળી મેચ
Ahmedabad News : દર વર્ષની જેમ, આ વર્ષે પણ કોમી સૌહાર્દ પૂર્ણ રીતે રથયાત્રા નીકળે તે માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે. જેને લઈને શહેરના કારંજ અને શાહપૂર પોલીસ દ્વારા શાંતિ સમિતીના સભ્યોને IPLની મેચ જોવા માટેનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મંગળવારે ગુજરાત અને દિલ્હીની ટીમ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં એક લાખથી પણ વધુની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં હિન્દુ-મુસ્લિમ લોકોને પોલીસ મેચ જોવા લઈ આવી હતી. આવનારા દિવસોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં રથયાત્રા નીકળે તે માટે પોલીસે અત્યારથી જ પ્રયાસ હાથ ધર્યા છે. જેના ભાગરૂપે કારંજ પોલીસ અને શાહપૂર પોલીસ દ્વારા શાંતિ સમિતીના સભ્યોને IPLની મેચ જોવા માટેનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો-મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના ખબર અંતર પૂછ્યા, જુઓ Video
અમદાવાદ શહેર કારંજ પોલીસ અને શાહપૂર પોલીસ સ્ટેશન વિસ્તારના યુથ કમિટી તેમજ શાંતિ સમિતીના સભ્યો માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ મેચ જોવાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 425 જેટલા હિન્દુ-મુસ્લિમ સભ્યોને મેચ બતાવવામાં આવી હતી. તેમજ દરેક વ્યક્તિને ગુજરાત ટાઇટનની ટીશર્ટ પણ આપવામાં આવી હતી.
અમદાવાદ પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી
અમદાવાદ આમ તો કોમી એકતા માટે ઉદાહરણરૂપ છે. હિન્દુ માટે દિવાળી હોય કે મુસ્લિમ માટે ઇદ હોય દરેક લોકો શાંતિથી હળીમળીને એક સંપથી તહેવારની ઉજવણી કરતા હોય છે. કોરોનાકાળમાં બે વર્ષ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી ન શકી, જ્યારે ગત વર્ષે ખૂબ ધામધૂમથી મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા હતા. આ વર્ષે પણ જેમ જેમ રથયાત્રાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે સરકાર અને અમદાવાદ પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી છે.
રથયાત્રામાં થાય છે કોમી એકતાના દર્શન
સરકાર અને પોલીસ માટે અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા એક કસોટી સમાન છે. આ રથયાત્રામાં ખૂબ મોટી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. રથયાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી હોય છે જેને લઇને પણ પોલીસ સતર્ક રહે છે. આ રથયાત્રા પર સુરક્ષાની દૃષ્ટિએ સરકારમાં ગાંધીનગર અને દિલ્હીની પણ નજર હોય છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદની આ રથયાત્રા કોમી એકતાના અનોખા દર્શન પણ કરાવે છે.
ગત વર્ષે પણ યોજવામાં આવી હતી ટુર્નામેન્ટ
રથયાત્રા પહેલા શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકો, વિસ્તારમાં મુજબ બેઠકો, હિન્દુ મુસ્લિમ આગેવાનોને બોલાવી યોગ્ય સંવાદ કરવામાં આવે છે. કોઈ અનિચ્છિનીય બનાવ બને નહિ તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવે છે. ગત વર્ષે પોલીસ દ્વારા ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે રથયાત્રાના અનુસંધાને કોમી એકતા અને પોલીસ પબ્લિક વચ્ચે સેતુ અને વિશ્વાસ જળવાઈ રહે તેના માટે કારંજ અને શાહપૂર પોલીસ સ્ટેશન વિસ્તારના યુથ કમિટી તેમજ શાંતિ સમિતીના સભ્યોને આઈપીએલ મેચ બતાવવામાં આવી નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…