Trending Video : મુંબઈની લોકલ બની ગોકુળ! ભાયંદરની ટ્રેનમાં ગુંજ્યો કાન્હાના નામનો નાદ, લડ્ડુ ગોપાલની મૂર્તિ અને દહીંહાંડી જોઈ મુસાફરો થયા લીન
મુંબઈની લોકલ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ શહેરની વિવિધતા, સંસ્કૃતિ અને ઉત્સવોની જીવંત ઝલક પણ છે. ગણેશોત્સવ, નવરાત્રી, જન્માષ્ટમી, દશેરા સહિત વિવિધ તહેવારોની ઉજવણી મુંબઈની લોકલમાં પણ અનોખી રીતે થતી જોવા મળે છે.

મુંબઈની લોકલ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ શહેરની વિવિધતા, સંસ્કૃતિ અને ઉત્સવોની જીવંત ઝલક પણ છે. ગણેશોત્સવ, નવરાત્રી, જન્માષ્ટમી, દશેરા સહિત વિવિધ તહેવારોની ઉજવણી મુંબઈની લોકલમાં પણ અનોખી રીતે થતી જોવા મળે છે. આવી જ એક ભક્તિમય પહેલમાં ભાયંદરથી સવારે આશરે 10:20 વાગ્યે ઉપડતી લોકલમાં ભગવાન શ્રીકૃષ્ણના નામનો ગુંજ સંભળાયો અને મુસાફરોને જાણે મથુરા જેવી આધ્યાત્મિક અનુભૂતિ થઈ.
રોજિંદા ભાગદોડ વચ્ચે મળ્યો આધ્યાત્મિક માહોલ
ઇન્સ્ટાગ્રામ omkar_bhajan_charitable_trust શેર કરવામાં આવેલો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ‘ૐકાર ભજન ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા આયોજિત આ વિશેષ ભજન કાર્યક્રમમાં લોકલના મુસાફરો પણ ભક્તિના રંગે રંગાયા હતા. ટ્રેનના ડબ્બામાં શ્રીકૃષ્ણના ભજનો અને કીર્તનથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રોજિંદી ભાગદોડ વચ્ચે અચાનક મળેલા આ આધ્યાત્મિક માહોલે મુસાફરોના ચહેરા પર ખુશી લાવી દીધી હતી. ટ્રેનમાં કેટલાક મુસાફરો ભજનમાં જોડાયા, જ્યારે અન્ય લોકોએ આ અનોખી પહેલને મોબાઇલમાં કેદ કરી હતી. ભક્તિ ગીતો વચ્ચે ‘રાધે-રાધે’ અને ‘જય શ્રીકૃષ્ણ’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
લોકલનો ડબ્બો ફેરવાયો મથુરામાં
ટ્રસ્ટનો હેતુ માત્ર ભજન-કીર્તન સુધી મર્યાદિત ન રહીને મુંબઈ જેવા વ્યસ્ત શહેરમાં લોકો સુધી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંદેશ પહોંચાડવાનો હોવાનું જણાવાયું હતું. લોકલમાં થતી આવી ઉજવણીઓ મુસાફરોને થોડા સમય માટે રોજિંદા તણાવથી દૂર લઈ જઈને તહેવારની ખુશી અને સામૂહિકતાનો અનુભવ કરાવે છે. ભાયંદરથી શરૂ થયેલી આ સફર દરમિયાન લોકલનો ડબ્બો જાણે નાનકડી મથુરામાં ફેરવાઈ ગયો હતો. રોજની દોડધામ વચ્ચે કાન્હાના નામ સાથે થયેલી આ ભક્તિમય સફર મુસાફરો માટે ચોક્કસપણે યાદગાર બની રહી.
ટ્રેનની અંદરનો માહોલ ગોકુળ જેવો બન્યો
વીડિયોમાં લોકલના ડબ્બામાં સુંદર રીતે સજાવેલી દહીંહાંડી, ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની મૂર્તિ અને પ્રસાદની વ્યવસ્થા જોવા મળે છે. ભક્તિમય વાતાવરણ વચ્ચે મુસાફરો માટે પ્રસાદ તરીકે કેડબરી ચોકલેટ પણ રાખવામાં આવી હતી. દહીંહાંડી અને લડ્ડુ ગોપાલની હાજરીએ સમગ્ર ઉજવણીને ગોકુળની પરંપરાગત યાદ સાથે જોડી દીધી હતી. ટ્રેનની અંદરનો માહોલ જાણે મુંબઈ નહીં, પરંતુ સીધો ગોકુળ બની ગયો હોય તેવી અનુભૂતિ કરાવતો હતો.
જુઓ Video
View this post on Instagram
