ડિજિટલ અરેસ્ટનો ભય હવે ભૂતકાળ બનશે ! કેન્દ્રનો ‘સર્જિકલ સ્ટ્રાઈક’ પ્લાન તૈયાર: ફસાયેલા પૈસા પણ પરત મળશે
માત્ર 3 કલાકમાં જ ખેલ ખતમ! કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો સાયબર ફ્રોડ રોકવાનો એવો પ્લાન, જેનાથી હવે ઠગબાજોના સીમ અને ડિવાઈસ પણ થશે કાયમ માટે બેન.

દેશમાં સતત વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ અને ઓનલાઈન ફ્રોડ સામે કેન્દ્ર સરકારે હવે કમર કસી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એવી વ્યૂહરચના રજૂ કરી છે જે સાયબર ગુનેગારોનો નેટવર્ક તોડવા માટે ‘સર્જિકલ સ્ટ્રાઈક’ સમાન સાબિત થશે. આ પ્લાન મુજબ, સાયબર ઠગ જે સીમ કાર્ડથી તમને કોલ કરશે, તે સીમ માત્ર 2 થી 3 કલાકમાં જ કાયમ માટે બંધ થઈ જશે.
3 કલાકમાં ખેલ ખતમ
અત્યાર સુધી સાયબર ગુનેગારો સીમ કાર્ડ બ્લોક થાય ત્યાં સુધીમાં તો અનેક લોકોને લૂંટી લેતા હતા. હવે કેન્દ્ર સરકારે આ સમય ઘટાડીને માત્ર 2 થી 3 કલાક કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ ઉપરાંત, દેશભરમાં ‘બાયોમેટ્રિક આઈડેન્ટિટી વેરિફિકેશન સિસ્ટમ’ (BIVS) લાગુ થશે, જેનો અર્થ છે કે હવે બનાવટી દસ્તાવેજો પર સીમ લેવું અશક્ય બની જશે.
વોટ્સએપ પર કડક નજર અને સીમ બાઈન્ડિંગ
ડિજિટલ અરેસ્ટમાં સૌથી વધુ ઉપયોગ વોટ્સએપનો થાય છે. હવે વોટ્સએપે ડિલીટ થયેલા એકાઉન્ટનો ડેટા પણ 180 દિવસ સુધી સાચવવો પડશે. નવા ‘સીમ બાઈન્ડિંગ’ ફીચરથી ઠગબાજો નવો નંબર બદલીને ફરીથી એકાઉન્ટ બનાવી શકશે નહીં. એટલું જ નહીં, જો કોઈ ડિવાઈસનો ઉપયોગ ફ્રોડ માટે થયો હશે, તો આખું ડિવાઈસ જ આઈડીથી બ્લોક કરી દેવાશે.
બેન્કિંગ સેક્ટરમાં મોટા ફેરફાર અને પૈસાની વાપસી
રિઝર્વ બેંક (RBI) એ નવી SOP તૈયાર કરી છે જે મુજબ શંકાસ્પદ ખાતાઓમાં ‘ડેબિટ ફ્રીઝ’ તરત જ અમલી બનશે. ખાસ કરીને સિનિયર સિટિઝન્સ માટે વધારાના ઓથેન્ટિકેશન અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સમય આધારિત વિલંબ (Lagged Credit) જેવી સુવિધાઓ ઉમેરવામાં આવશે, જેથી ઠગાઈનો ભોગ બનતા બચી શકાય.
પ્લાનના મુખ્ય પાસાઓ:
- CBI ની એન્ટ્રી: 10 કરોડથી વધુના મોટા ફ્રોડ કેસોની તપાસ સીધી સીબીઆઈને સોંપવામાં આવશે.
- નવા પોર્ટલ: IT એક્ટ હેઠળ ફરિયાદ માટે MeitY દ્વારા નવું પોર્ટલ તૈયાર કરાઈ રહ્યું છે.
- PIK મોડલ: નવું સીમ લેતા પહેલા તમારા જૂના (પ્રાથમિક) નંબર પરથી કન્ફર્મેશન લેવું પડશે.
- વળતરની વ્યવસ્થા: જો બેંક કે ટેલિકોમ કંપનીની બેદરકારી સાબિત થશે, તો પીડિતને 85 ટકા સુધીનું વળતર આપવા માટે સિંગાપોર અને EU મોડલનો અભ્યાસ થઈ રહ્યો છે.
કેન્દ્ર સરકારના આ 17 મુદ્દાઓના એક્શન પ્લાનથી હવે સાયબર માફિયાઓ માટે બચવું મુશ્કેલ બનશે. આ સિસ્ટમ અમલી બનતા જ સાયબર ગુનાખોરીના ગ્રાફમાં મોટો ઘટાડો આવવાની પૂરી સંભાવના છે.
